shabd-logo

કોઠે પડી ગયેલું મૃત્યુ!

26 February 2023

12 જોયું 12

*ધીમી પણ મક્કમ ગતિએ રોજ મરતો રહેતો માણસ!*

******************************************

આ એક લાઈન..ફક્ત એક જ લાઈનને બહુ જુદાં જુદાં દ્રષ્ટિકોણથી જોઈ શકાય છે. એ મરવું વાતાવરણનો બદલાવ કે ગ્લોબલ વોર્મિંગ કે ઍઇર પોલ્યુશન કે કોઈપણ પર્યાવરણને લગતી સમસ્યાઓ વિષે પણ હોઈ શકે!મોંઘવારી, રોજબરોજના જીવનમાં દુનિયા સાથે કદમ મિલાવવા માટેની હાડમારી પણ હોઈ શકે! ઈમોશનલ લેવલ કાં તો બહુ હાઈ થાય કાં તો સાવ જ ડાઉન જાય એ પણ હોઈ શકે પણ હું રોજીંદી લાઈફમાં, રેઢિયાળ ઘરેડ ગોઠવવામાં કરવા પડતાં  એડજસ્ટમેન્ટ અને ઈમોશનલ કૉમ્પ્રોમાઇઝીસની વાત કરવા માંગુ છું.

એક સ્મૂધર શૉલથી લપેટેલો શબ્દ છે "સમાધાન વૃત્તિ"! ખરેખર, તો એ ચાર વ્યક્તિમાં સારાં દેખાવા, સામાજિક ઢાંચામાં એ ઢાંચા મુજબ પોતાને અને પોતાનાં વિચારોને (બળજબરી)ગોઠવવાની લગભગ લગભગ અજાણપણે થતી ક્રિયા માત્ર છે! એ રીતે ઢળવામાં માણસ રોજ ધીમે ધીમે અંદરથી મરતો રહેતો હોય છે. પોતાની ઈચ્છાઓને રોજ મરવા મૂકવી પડતી હોય છે. કેમકે, ઘણીવાર સામાજિક રીતે તો ઘણીવાર નૈતિક રીતે એ ઈચ્છાઓને પૂરી નથી કરી શકાતી!  એ ઈચ્છા, આકાંક્ષાઓને રોજબરોજ ફાંસીએ લટકાવવી જ પડે ને!એ ઈચ્છાઓનું મૃત્યુ થતું જાય એમ મનુષ્ય પણ અજાણતાં માનસિક મૃત્યુમાર્ગે આગળ વધતો જ રહેતો હોય છે.

સમાજવ્યવસ્થાનો અનુસરવાની મજબૂરી, જે તે સ્થાને ટકી રહેવાની જીદ કે, "હું હવે આમ તો ન જ કરી શકું"  વાળો એટીટ્યુડ એ માનસિક રીતે ઘણીવાર પરેશાન કરી મૂકે છે. બહારથી ઠહાકા મારતો વ્યક્તિ અંદરથી સખત રીતે આહત હોય શકે છે! એવી કેવી મજબૂરી કે આપણે આપણી રીતે જેમ છીએ એમ વ્યક્ત પણ ન થઈ શકીએ?! બધી જ રીતે ટકી રહેવા દેખીતી રીતે કરવા પડતાં સમાધાનો કરતાં મનથી કરવા પડતાં સમાધાનો કદાચ વધી જતાં હશે!

બાલ્યકાળથી જ આ માનસિક મરણની પ્રોસેસ શરૂ થઈ જતી હોય છે! સૌ સૌની સોસાયટી મુજબ બાળકોને ટ્રેઈન કરે, પોતપોતાની જ્ઞાતિ, ધર્મ કે ફૂડ હેબીટ પણ પોતાની રીતે કેળવાવે! બિકોઝ ઓફ વી આર સોશિયલ ઍનિમલ! સાંભળવામાં આવે છે, "સમાજમાં રહેવું હોય તો બહુ બધું જરૂરી બની રહે છે. જે ઢાંચો છે એને બદલી ન શકાય એટલે આપણે જ એ રીતે ઢળવું જરૂરી છે!" હવે બીજી વાત કે,આપણે એટલે જ સમાજ એમ પણ કહેવાય છે ને? તો આપણે બદલવાની શરૂઆત કરીએ તો સમાજ ન બદલાય? પણ"અબ કૌન સાલા ઉઠે?" જેવી વિચારસરણી ઘર કરી ગઈ છે. સૌ પોતપોતાનો બાહ્ય-આર્થિક વિકાસની હોડમાં લાગ્યાં છે એટલે આવું 'ઈચ્છામૃત્યુ' કોઠે પડી ગયું છે.

ખરેખર, જો આપણી ભારતીય લગ્નવ્યવસ્થા વિષે પણ જો વિચારવામાં આવે તો દર વર્ષે જે-તે કપલ્સ કે જે લગ્નનાં અમુક વર્ષનો પડાવ પસાર કરી ચૂક્યા હોય છે એ લોકો (મોટેભાગે)માનસિક છૂટાછેડા સાથે જ જીવી રહ્યાં હોય છે! (આ એક દોસ્તનો વિચાર છે મને જબરદસ્ત લાગ્યો!) એ લોકો લગભગ આમ જ આખી જિંદગી કાઢી નાંખે છે!'સાથ નિભાવવો રહયો' કેવું નહિ?!  સાથે જીવવું નહિ પણ નિભાવવું ગજબ! માંડ થોડાંક હિંમત કરીને દેખીતા છૂટાછેડા લે છે!  એમનાં પર પણ માછલાં ધોવાવા જ માંડે! અરે તો પણ એ લોકો જાણે એ લોકોની જિંદગી જાણે એ લોકોનાં પ્રોબ્લેમ્સનું સોલ્યુશન એ લોકો પોતાની રીતે જુએ એવું નહિ વિચારાય?  પણ ના,એ પણ આ કહેવાતાં સમાજને બેહૂદી ચર્ચાનો વિષય બની જાય છે!પરિણામે આ માનસિક રીતે અલગ હોવાં છતાં નિભાવવું(વેંઢારવુ), પ્રેમનાં ઉભરા લાવવાના સતત પ્રયત્ન કરવા, લાગતાં વળગતાં સૌના મન સાચવવા એ બધું બહુ ધ્યાનપૂર્વક વિચારીએ તો આપણે આપણી અંદર રહેલી લાગણીઓ સાથે કેટલી બળજબરી કરતાં હોઈએ છીએ એ ખ્યાલ આવે. અંદરથી સતત તૂટતો મનુષ્ય ફક્ત બહારની દુનિયામાં ટકી રહેવા માટેનાં આ બધાં ફન્ડાઓથી લગભગ ટેવાઈ ગયો છે! રિઅલ ઇમોશન્સની દફનવિધી કરી કરીને જીવતો યા છાનગપતિયા કરીને મૃગજળી સુખનાં આશરા શોધીને જીવતો મનુષ્ય ખરેખર ફક્ત માનસિક બુદ્ધિશાળીની શ્રેણીમાં મૂકી શકાય એમ જીવે છે!

સમાધાનવૃત્તિ જ્યાં-ત્યાં ટકી રહેવા જરૂરી છે. મન સાથે બળવો કરી શકાય અંદર અંદર મરી શકાય પણ દુનિયામાં કદમ સે કદમ મિલાવી ચાલવા માટે, સંસારમાં  તાલ સે તાલ મિલાવી (કહેવાતાં) યોગ્ય સૂર રેલાવવા માટે સમાધાનવૃત્તિ કેળવવી જ રહી! જબરદસ્ત વિરોધાભાસી વિચારો કરવા ને હોવા છતાં સોઈ તો અહીં જ અટકે છે!

કુંતલ ભટ્ટ.

સુરત.

કુંતલ ભટ્ટદ્વારા વધુ પુસ્તકો

Gaurav Borse

Gaurav Borse

A Book with how society creates the atmosphere of restrictions around their mind and creativity

20 May 2023

એક પુસ્તક વાંચો