shabd-logo

દરબારમાં જવાની તૈયારીયો.

26 October 2023

3 જોયું 3

પ્રકરણ ૧૧.

દરબારમાં જવાની તૈયારીયો.

ણા લોક જેની વાટ જોઈ રહ્યા હતા એ ચૈત્ર સુદ પડવો આવ્યો. ઉગતા મળસ્કામાંથી દરબારીયોનાં ઘરમાં ચંચળતા વ્યાપી ગઈ. શઠરાય ન્હાઈ ધોઈ તૈયાર થવા લાગ્યો. નરભેરામ કારભારીની સેવા બજાવવા સઉથી પ્હેલો આવી ઉભો. સીપાઈયો બારણા આગળ ગરબડ મચાવતા એકઠા થવા લાગ્યા. શઠરાય જરાક નીરાંત વાળી ગાદીતકીયે બેઠો, એક ચાકરે તેને બંડી અંગરખું પ્હેરાવ્યું તે પ્હેરી આદર્શ (તકતો) મંગાવી વિચાર કરતો કરતો તેમાં મ્હોં જોતો જોતો મુછો આમળતો કારભારી બેઠો. નરભેરામ આમથી તેમ હેરાફેરી કરતો હતો તે જરાક ઉભો અને કારભારીને જોઈ મનમાં બોલ્યો:“મુખડા ક્યા દેખો દર્પન મેં ? “નહી કછુ દયા ધર્મ હેં દીલમેં ! ”

“હે ઇશ્વર !” કરી માથું અને શરીર કંપાવતો કંપાવતો , બીજી દિશામાં ચાલ્યો.

દુષ્ટરાયની મેડીના બારણા આગળ પોલીસસીપાઈયોની ઠઠ બાઝી. હતી. એ અંદર એક પલંગ પર રૂપાળી સાથે બેઠો હતો. રૂપાળી, કપડાં અાણતી આણતી, જવાની ત્વરામાં મદદ કરતી હતી. દુષ્ટરાય, કપડાં પ્હેરતો પ્હેરતો, પાળીની સાથે કંઈકંઈ અટકચાળાં કરતો કરતો, પોતાની હોંશીયારીની બડાશો બાયડીને સંભળાવતો હતો, બુદ્ધિધનના ભાગ્યની મશ્કરીય કરતો હતો, અને “આજ રાત્રે તો અલકકિશોરી - કુમુદસુંદરી - અને સૌભાગ્યદેવીને પણ અાવી અાવી અવસ્થામાં અાણવાનાં છે - મ્હારું, ફક્કડપણું આમ જણાવાનું છે” ઈત્યાદિ વાતો પ્રફુલ્લ અને આનંદમગ્ન બની કરતો હતો, અને પરપુરુષલંપટ કુલટા પતિની સ્ત્રીલંપટ બડાશો સાંભળી પોતે સૌભાગ્યની સીમાએ પ્હોંચી સમઝતી હતી. ​ સર્વ પાસ ગરબડ મચી રહી હતી અને સઉ, વાતોમાં, આમ તેમ ફરવામાં, કંઈ કંઈ હુકમ કરવામાં અથવા અમલમાં આણવામાં, ગુંથાયાં હતાં એવામાં નરભેરામે મેરુલાને શોધી ક્‌હાડ્યો. મેરુલો એક ઠેકાણે ઉભો ઉભો ખલકનંદાનાં લુગડાંની ઘડીયો કરતો હતો. પાસે એક ત્રાંબાનું પવાલું ઉંધુ પડ્યું હતું તેપર ઉઘાડે માથે લાંબી ચોટલી છુટી રાખી નરભેરામ બેઠો.

“આજ તો કાંઈ બ્હેનનાં લુગડાં સમાં કરવાં માંડ્યાં છે ?”

"હાસ્તો. કરવાં કની.”

"બ્હેન ખરાં કની,”

"એ તો હોય તો ના ક્‌હેવાય ?”

"હા, ભાઈ હા, ત્હારોએ વારો છે. ગોપીયોમાં , ક્‌હાન, નહી મ્હાલું તો ભોગ. જમાલ ગયો એટલે ત્હારે એકનાં બે થયાં. અલ્યા જમાલનું કાંઈ જણાયું ?”

“મુવો તરકડો. કોણ જાણે ક્યાંયે ક્‌હોઈ જતો હશે. બલા ગઈ.”

“અલ્યા, પણ ત્હેં વાત ઉડાવી. ત્હારી બ્હેનની વાત ન કહી.”

“બ્હેન હોય તેની. જુવો નરભેરામભાઈ – આપણે તો ચોખ્ખા માણસ ! મ્હોટી એટલી મા ને ન્હાની એટલી બ્હેન.”

"ને સરખી એ ?”

“સરખી એ તો મ્હારે સમાણી. જમાલની સરખી તે મ્હારે એ સરખી."

“અલ્યા, પણ રૂપાળી અદેખાઈ નથી કરતી ?”

“શી બાબત અદેખાઈ કરે ? એને ગરબડ મળ્યો તેની હું અદેખાઈ કરું છું ? એનેયે બે ને મ્હારેયે બે.”

“એ ગરબડ મ્હારો વ્હાલો જોને પ્હેધો પડ્યો છે !”

“ભાઈસાહેબ, કહું? ગ૨બડે કરી ગરબડ. અમારા કારભારી કારભારમાં પડ્યા ને ફોજદાર ફોજદારી કરવા ગયા. ઘરમાં એમાંથી કોઈ ન હોય ત્યારે ગરબડદાસ એને મળવા આવે ને તે પાછા ફરવાના એટલે વાટ જુવે. બુદ્ધિધનને ખરાબ કરવામાં એનું કામ, એટલે સદર પરવાનગી મળેલી તે ભાઈને પાછા ક્‌હાડવાનો અમને અખત્યાર નહી. એટલે એકલા દીવાનખાનામાં બેસે ને બારીયે ડોકીયાં કરે ને અગાસીમાં પણ હેરાફેરા કરે.”

"ત્યારે તેવામાં તું ક્યાં મુવોતો જે ? ” ​ "અરે, ભાઈસાહેબ, હું તો પેલા કામમાં રોકાયો હતો કની, તેમાં એનું ફાવ્યું, હં, એણે તો આમ કરવા માંડ્યું. પછી કની તે ખલકબ્હેન – બ્હેન એના ભાઈની – તો એને સાસરે હોય એટલે રુપાળી પડે એકલાં, ચોકમાં આવે – માથે ચોટલો છુટો રાખે, ને પેલો ઉપર ઉભો હોય.”

“તે જાણી જોઈને કે ?”

“ના, ભાઈસાહેબ, પ્હેલું તો અજાણમાં. એ તો એવી એને ટેવ જ છે. પછી તો એક દિવસ ગરબડથી છાનાં ર્‌હેવાયું નહી તે તે ખોંખાર્યો. પછી તો જાણો જ છોસ્તો. આગાશીમાં આવજાવ થવા માંડી !”

“ત્હેં બધી વાત શાથી જાણી ?”

“કંઈક નજરે પડી ને બાકીની ફોસલાવી - ધમકાવી મનાવી.”

"ત્યારે અાજ તો ગમત પડશે.”

“હાસ્તો. મ્હોટાં માણસો દરબારમાં કારભારની ઉથલપાથલ કરશે. મ્હારા જેવાં માણસ એમના ઘરનો કારભાર કરશે. એક પાસ રુપાળી ને બીજી પાસ લટકાળી. પણ ભાઈસાહેબ, અાજ દરબારમાં કેટલીવાર થશે ?”

“ એ-બાર વાગ્યા સુધી ત્યાં રોકાશે. ત્હારે ત્યાં સુધી રાજધાની છે. તને ખબર નહી હોય ક્યાં સુધી દરબાર છે તેની ? ” 

“મને તો સાંઝના દરબારની ખબર છે, અલકકિશોરી અને બધાંને પકડી અાણવાં છે તે વખતની. ત્યારે હું બાર વાગ્યા સુધી ઘરનો રાજા.”

“આજ તો સીપાઈયોએ સાથે આવવાના છે. તું ફીકર ન કરીશ. સઉ પહેલો હું આવીશ ને છેક બારણેથી બુમ પાડીશ.”

"પાડ તમારો.”

“જો ભોગ હશે તો બાર વાગ્યા પ્હેલો બ્હીનીશ.”

“અરે, ભાઈસાહેબ, આસપાસ ગોપીયો ને વચ્ચે ખેલે કનૈયો. તેવે વખતે કેની તો શઠરાચ જાતે અાવે ત્હોયે બ્હીનું નહીં ને. એ તો કરતા હોય સો કીજીયે. બધાને સમઝાવું ને પ્હોંચું એવો છું.”

“ફક્કડ ! પણ અલ્યા બે સંપે છે ભલાં !”

નણુંદ ભોજાઈ આખું ગામ ધ્રુજાવે એવાં છે પણ મ્હારી પાસેબકરીયો - ગઉવાં"

જે કુટુંબમાં વડીલવર્ગ સળેલો તે કુટુંબમાં સર્વ સળેલું હોય છે. ઉપરીની નીતિ-અનીતિનું છોકરાં અને ચાકરો સૂક્ષ્મ અવલોકન કરે છે, ઉપરી​ના ઉપર જેટલું માન તેટલા માનનો આરોપ તેની નીતિ-અનીતિ ઉપર મુકવામાં આવે છે અને તેને જ ઉત્તમ ગણવામાં આવે છે, તેનું જ દૃષ્ટાંત લેવાય છે, તેનું જ અનુકરણ થાય છે; અને તેનાં જ પુણ્યપાપ આખા કુટુંબને તો શું પણ તેની સાથે સહવાસ કરનાર સર્વને વળગે છે. જો આમ ન હોય તો શઠરાય જેવા ઉગ્ર કારભારીની વ્હાલામાં વ્હાલી વહુદીકરી ઉપર એક હલકો ચાકર આટલું જોર શી રીતે કરી કરી શકે ? સ્વર્ગ અને નરક એ વાનાં ઈશ્વર આ જગતમાં જ દેખાડે છે તેનાં દૃષ્ટાંત બુદ્ધિધન અને શઠરાયના ઘરમાં પ્રત્યક્ષ જ છે, આ પ્રમાણે વિચાર કરતો કરતો નરભેરામ મેરુલા પાસેથી ઉઠ્યો.

એટલામાં સઉ એકઠા થયા. ચપોચપ જોડા પ્હેરવા મંડી ગયા અને સરઘસ ધીમે ધીમે ઝુલતું ઝુલતું દરબાર ભણી ચાલ્યું. નરભેરામે દુષ્ટ૨ાયને શોધી ક્‌હાડ્યો – એનો સંગાત કર્યો - સઉથી આગળ નીકળી આંગળીયે વળગી બે ગૃહસ્થો જેવા એકલા પડી ચાલ્યા. એક બે સીપાઈયો બારણું સાચવવા રહ્યા. રુપાળી બારીયે સઉને જતા જોતી ઉભી. દુષ્ટરાયે પાછાં ફરી તેના મ્હોં સામું જોયું ને મલકાયો; અને છાતી ક્‌હાડી મનમાં ફુલાયો. સઉ નજર બહાર થયા એટલે રુપાળી નીચે ઉતરી. મેરુલો નીચે બેઠો બેઠો કાંઈક કામ કરતો હતો તેના વાંસા ઉપર પડી. થોડી વારે અલકનંદા આવી. મેરુલાને આસપાસથી ગળે બાઝી બે જણી હીંચકા ખાવા લાગી. એ સ્થિતિ ન ક૯પતા શઠરાયનું સરઘસ બુદ્ધિધનનો વિનાશ કરવા દરબાર ભણી વાધતું હતું. પરવિનાશની નિઃસંશયતાની કલ્પના મનપાત્રમાં ઉકળતી ઉકળતી ઉભરાતી હતી અને તેના જો૨થી અહંકારનું ઢાંકણું તે પાત્ર પર ઘડી ઘડી ઉછળતું ખખડતું હતું. 

નરભેરામઃ “કહો, ફોજદાર સાહેબ, આજ તો પૂરવેગમાં છો.”

દુષ્ટરાયઃ “હાસ્તો.” 

"હવે જડસિંહના વખતમાં ચાલતું હતું એટલું ચાલવા માંડશે ?”

“એમાં કાંઈ વાંધો કે ? અરે જુવોને ! ”

“પણ દરબારને જ રંગમ્હોલ કરી મુકતા હતા તે કાંઈ થશે ?”

"એ પણ વખત આવશે.” 

“કરોને આજ શ્રીગણેશાય નમઃ !”

"શી રીતે?"

"આજ તો નાચ હશે."

"તે?" ​“તમારાં કલાવતીબાઈ વેશ બદલવા એરડામાં જશે કની ? આપણેયે સાથે ભરાયા. સદર પરવાનગીવાળા માણસ છો.”

“ ના, ના, આજ શું ? આવશે વખત.”

“હીમ્મત ક્યાંથી મળે જે ! જાઓ મ્હારા સાહેબ, બ્હાદુર થાઓ. એ તો હમ્! કારભાર તો તમારો જ છે કની ! એ તો સ્વાહા ! કરો મંગળાચરણ ! પછી તો તમે જાણો.”

“રાણો ચેતે તો ખોટું.” 

"ચેત્યો, ચેત્યો, એ તે શું ગરાસીયો સમઝવાનો છે ? એ તો હુક્કો ફુંકે.” 

“ત્યારે ઝંપલાવું ? ખરે, એમાં શી હરકત છે ? બહુ વરસ થયાં છુટ ભોગવ્યે."

"કંઈ હરકત નથી. હું રાણાનું ધ્યાન બીજી બાબતમાં નાંખીશ.”

“ ઠીક છે ત્યારે. પણ બાપા જાણે ત્યારે ?” 

"અંહ ! આવા બીકણ બીલાડી તો કોઈ ન દીઠા. બાપાયે ન્હાનપણમાં કીયા બીજા હતા જે ? ન્હાનપણમાં સઉ નાગું.”

"જો, જો, ત્યારે."

“ હા, હા, હમ્. એ તો એ.” 

"ઠીક છે ત્યારે. જો જો આજ બંદાનાં પરાક્રમ. પણ તમે યાદ રાખજો હોં !” 

"હા હાઃ” કરી નરભેરામ મનમાં બોલ્યો: “અડચણ પડે તો મને ક્‌હેજો. હું હાથીને શીયાળવે કહ્યું હતું તેમ કહીશ.-भगवन् मम पुच्छवालंवनं कुरु - ભાઈ પુંછડું પકડો મ્હારું. સાળો, લુચ્ચો, જોને, ગરજ આગળ અક્કલ આંધળી. બાપનું રાજ્ય થઈ ગયું ! આજ જ જોવાનું છે તો ! હત, તમારી માના લુચ્ચાઓ-ગદ્ધાઓ !” કહી ચાલતાં ચાલતાં અમસ્તો હાથ ઉગામ્યો અને નીચલો ઓઠ કરડ્યો. કારભારીયો, ન્યાયાધીશો અને વહીવટદારોના સીપાઈયોના પાલવવાળો પટ રસ્તામાં હાલતો હાલતો કરચલીયોવાળો થતો થતો પ્રસરતો હતો, તેની વચ્ચે માખીની પેઠે ભમતો ભમતો નરભેરામ ભરાઈ ગયો.

બુદ્ધિધનને ઘેર પણ દરબારમાં જવાની ધામધુમ હતી. રાતના ચાર વાગે બે કલાકની નિદ્રા ભોગવી ઉઠ્યો અને ન્હાઈ ધોઈ સંધ્યા પૂજા કરી દીવાનખાનામાં ફરવા લાગ્યો. સૌભાગ્યદેવી પણ ન્હાઈ અને કપાળે ભસ્મની ત્રિરેખા તથા મધ્યભાગે કંકુનો ચાંલ્લો કરી સૂર્યોદય પ્હેલાં શિવપૂજા કરવા મંડી ગઈ રૂપાનાં વાસણ પાસે રાખ્યાં છે, ઘીના દીવા બે પાસ દીવીઓમાં ​બળી રહ્યા છે, અગરબત્તીનો ધૂપ આખો ખંડ સુવાસિત કરે છે, અને પલાંઠી વાળી તકીયાવાળા પાટલા ઉપર બનાતની વિવિધરંગી આસની પર સ્વચ્છ વસ્ત્ર ધારી યોગીશ્વરી જેવી બેઠેલી સુઘડ પતિવ્રતા સૌભાગ્યદેવીને જોઈ નવીનચંદ્રને કાદમ્બરીમાંની મહાશ્વેતા સ્મરણમાં આવી અને ઘડીકવાર તેનું પૂજનીય પ્રતાપી મુખારવિંદ અને પ્રતિમા જોઈ એનાં જ દર્શન કરતો હોય તેવો પવિત્ર વિકાર એના મનમાં ઉગ્યો.

કુમુદસુંદરી ઈંગ્રેજી ભણી હતી પરંતુ ધર્મવિષયમાં બાળક જ હતી અને સુધરેલા સંસકાર આ બાબતમાં લાગ્યા ન હતા. સાસુને પૂજા કરતી જોઈ પૂજાનો ઠાઠ જોઈ અને એ ઠાઠને સાસુ શોભા આપતી તે જોઈ, બાળક અબળાની સંસ્કૃત ક૯પના પ્રફુલ્લ થઈ. કુમુદસુંદરી આમ એ પવિત્ર દેખાવ પર મોહી પડી હતી અને સાસુ પાસે સૂર્ય પૂજા શીખવાનો એણે આરંભ કર્યો હતો. પુત્રીને આ વિષય પર ચિત્ત ન હતું પણ વહુનું ચિત્ત જોઈ સાસુ સંતોષ પામતી અને ઉત્સાહથી એને પોતાના સંસ્કારવાળી કરવા મથતી. સૂર્યપૂજા હજી પુરી આવડી ન હતી એટલે વહુ માત્ર સાસુને સામગ્રી કરી આપવામાં ગુંથાઈ હતી અને માતુશ્રીની સેવા પોતે કરી હતી, તેમ પોતાની સેવા કુમુદસુંદરીને કરતી જોઈ સૌભાગ્યદેવીને સંસારનો ઓરીયો વીતતો હતો. બુદ્ધિધનને જવાનું હતું એટલે સર્વ કામ ઉતાવળથી સમેટાતું હતું. સાસુની સામગ્રી પુરી કરી, દરબારમાં બહુ વાર લાગવાની એટલે પુરુષવર્ગ સારું હાજરી તૈયાર કરવાની સામગ્રી કરવામાં વહુ પડી. વહેલો ઉઠેલો નવીનચંદ્ર દાતણ કરી, ન્હાઈ બીજું કાંઈ કામ ન હોવાથી અગાશીની રવેશ આગળ એકલો બેઠો બેઠો અમાત્યના ઘરનું આ મંગળ આહ્નિક જોતો હતો. સામગ્રીની વેતરણમાં પડેલી કુમુદસુંદરી, હાથમાં દીવો લઈ ચોકમાં આવતી જતી, થતા ઝળઝાંખળામાં ઝાંખી દેખાતી રવેશ પરની મુખાકૃતિ પર છાનીમાની દૃષ્ટિ કરતી અને ચાલી જતી હતી. 

ખડકીમાં સમરસેન અને બીજાં માણસો ખડખડાટ ભડભડાટ કરતાં હતાં. ઘરના ચાકરો ઝાડુ ક્‌હાડવામાં, સાસુવહુના હુકમ પાળતાં ફેરાહેરા કરવામાં, અને એવાં બીજાં કામોમાં રોકાયા હતા. પ્રમાદધનને પિતાયે કેટલુંક કામ સોંપેલું તે દીવી પાસે બેસી તૈયાર કરતો હતો. અને તે કરી રહ્યો એટલે દયાશંકરકાકા અને બીજા કેટલાક સ્નેહીયોને તેડવા માણસ મોકલવા નીચે ઉતર્યો. એટલામાં માણસ લેઈ સાસરેથી અલકકિશેરી ન્હાઈ ધોઈ આવી અને ઘરકામમાં ભળી ગઈ.

બુદ્ધિધનના દીવાનખાનામાં પણ માણસો ભરાતાં હતાં. એને ચિત્ર ​વિચિત્ર માણસોનું સંગ્રહસ્થાન કરવાનો અને તેમની સાથે પરિચય પાડી વિનોદ પામવાનો શોખ હતો. દયાશંકરકાકા લાકડી લઈ ધીમે ધીમે આવ્યા અને એક કોચ પર પડ્યા. સ્કુલનો હેડમાસ્તર બૂટ્સ્ટોકિંગ ક્‌હડાવી આવ્યો અને ટેબલ આગળ ખુરસી પર બેસી પ્હેલા દિવસે આવેલું વર્તમાનપત્ર વાંચવા મંડ્યો તેમાં નવીનચંદ્રવાળો આર્ટિકલ્ હતો. એણે લખ્યો હતો એ ગુપ્ત હતું. શાસ્ત્રી મહારાજ શ્લોક ગાતા ગાતા દાદર પર ચ્હડયા અને દયાશંકર સાથે બેસી વાતોમાં પડ્યા. કાજીસાહેબ ગંભીર દેખાવ ધારણ કરી આવ્યા અને વિવેકભરી સલામો કરી. માસ્તરસાહેબ પાસે બેઠા. નગરનો ન્યાયાધીશ જીલ્લાવકીલની પરીક્ષામાં પાસ થયેલો, પ્રમાણિક, અને સ્પષ્ટવક્તા હતો તે પણ આવ્યો. એને કરવતરાય સાથે કડાકડી ઉડતી અને બીજા અમલદારોને, કોઈ ઉપરીને, અથવા રાણાને, કારભારીને, કે અમાત્યને કાંઈ ઉઘાડું ક્‌હેવડાવવું હોય ત્યારે આ ન્યાયાધીશને ઉભો કરતા. એની બુદ્ધિ ચોખ્ખી હતી પણ આડા રસ્તા પસંદ ન કરતી અને સ્વાભાવિક રીતે ૨જવાડામાં એનું હિત કરવા અયોગ્ય હતી. પણ બાસ્કિન્ સાહેબના વખતમાં એમની ભલામણથી પેશી ગયો હતો અને બુદ્ધિધનની એને ઢાલ હતી. દરબારમાં જવા બધા અમલદારો શઠરાયને ઘેર ભેગા થયા ત્યારે એ બુદ્ધિધનને ઘેર આવ્યો. એ ખરેખર બેપરવા માણસ હતો અને એની પાસે કામ ક્‌હડાવવું હોય ત્યારે સઉ એની પ્રમાણિકતા અને સ્વતંત્રતા વખાણી તે બેને નિમિત્તે સ્વાર્થ સારતા. એનું નામ તર્કપ્રસાદ હતું પણ ભુજંગવૃત્તિવાળા અમલદારો આ સીદ્ધો રસ્તો લેનારને ઘેલો ગણતા ને પુંઠ પાછળ એનું નામ તેઓએ “ડાહ્યાભાઈ” પાડ્યું હતું. ડાહ્યાભાઈ ડાહ્યો પણ હતો. ચારે પાસની અવસ્થાઓ વિચાર કરી તેણે સિદ્ધાંત કરી મુક્યો હતો કે જતે દિવસે ધર્મજય અને પાપક્ષય થશે - શઠરાય નાશ પામશે અને બુદ્ધિધનનો ઉદય થશે. બુદ્ધિધનના પક્ષને તે વળગી ર્‌હેતો તેમાં આવી સ્વાર્થબુદ્ધિ પણ હતી. તર્કપ્રસાદ આવી સઉને નમસ્કાર અથવા સલામ યથાયોગ્ય કરી એક આરામખુરશી પર પડ્યો. બુદ્ધિધનનો જમાઈ વિદુરપ્રસાદ આવ્યો અને તર્કપ્રસાદ જોડે એક હાથ વિનાની ખુરશી પર બેસી ન્યાયાધીશોને વાતોમાં નાંખ્યો. એને હીસાબી ખાતામાં ગરબડદાસના 'આસિસ્ટંટ'ની નોકરી હતી. થોડાક દિવસ પોલીસ ખાતામાં તથા થોડાક દિવસ ભાયાતી ખાતામાં પણ એણે નોકરી કરી હતી. જાતે નરમ સ્વભાવનો હતો પણ કોઈ કોઈ વખત માબાપના શીખવ્યાથી બુદ્ધિધનને કનડતો અને યોગ્યતા ઉપરાંત ઇચ્છાઓ શ્વશુર પાસે પુરી પડાવવા મથતો, તેમ કરતાં બુદ્ધિધનને બીજી પ્રતિકૂળતા છે કે નહી તેનો વિચાર ન કરતો, એક ​ઈચ્છા પુરી પડતાં બીજી ઈચ્છા રાખતો, અને બુદ્ધિધન કાંઈ પણ કરે તો “હોય સ્તો, એમાં શી નવાઈ કરી ?” એવો વિચાર કરી ઉપકારવૃત્તિને ભાગ્યે જ મનમાં પેસવા દેતો; પરંતુ અલકકિશોરી આગળ 'જી લબ્બે' થઈ રહ્યો હોવાથી ઘણું ખરું શાંત રહેતો. બીજી રીતે સમજુ પણ હતો, પરંતુ શ્વશુરપક્ષનું ઘસાતું બોલાય ત્યારે તેનો શુભેચ્છક હોવા છતાં જરા રસથી સાંભળતો. કામકાજમાં આવડ હતી તે છતાં ભુલો કરતો તેની બુદ્ધિધન ઘરમાં વાતો કરે તે સરત રાખી અલકકિશોરી રાત્રે વખતસર જીભ વડે ચાબકા લગાવતી તે વિદુરપ્રસાદ એક બોલ બોલ્યાવિના વેઠતો. એનાં માબાપ પણ તેમની અણઓશીયાળી વહુ ઘરમાં પગ મુકે એટલે ચુપ થઈ જતાં અને નિંદાને વહુની પુંઠ પાછળ જ પુરી રાખતાં. દયાશંકરનો દીકરો જયમલશંકર પણ આવ્યો. બુદ્ધિધને આપેલી દ્રવ્યની સહાયતાથી એ ઈંગ્રેજી ભણ્યો હતો અને “મેટ્રીકયુલેશન”માં મુંબાઈ જઈ પાસ થઈ આવ્યો હતો. એ શરીરે પ્રચંડ હતો, દેખાવમાં પ્રતાપી હતો, અને વ્યવહારકાર્યમાં બુદ્ધિ ઠીક ચલાવતો. એના મોસાળ ભણીથી એ શઠરાયનો સગો હતો, અને ભૂપસિંહના મ્હેલમાં ખરચખુટણ તથા બીજી વ્યવસ્થાની દેખરેખ પર નીમાયો હતો. બુદ્ધિધન એની બાબતમાં વાંધો નહી આણે જાણી શઠરાયે એને આ જગ્યાએ ગોઠવી દીધો હતો અને તેને ગોઠવી દેવા શઠરાયને ઉશ્કેરનાર નરભેરામ હતો. રાણાએ જયમલશંકરને બુદ્ધિધનને તેડવા મોકલ્યો હતો. એ આવ્યો કે તરત એણે બુદ્ધિધનને શોધી ક્‌હાડ્યો અને કાનમાં સમાચાર કહ્યા:

"ભાઈસાહેબ, આજ કલાવતી આખી રાત દરબારમાં ર્‌હી સવારે ચારવાગે ઘેર ગઈ. રણજીતે ક્‌હાવ્યું છે કે એણે ૨ાજબાની જ વાતો કર્યા કરી છે અને રાણા ઉશ્કેરાયા છે. રાણાનો વિશ્વાસ કરવો ન કરવો એ તમે જાણો. કલાવતી ગયા પછી એમણે શઠરાય પર ચીઠી લખી મોકલી. કોણ જાણે શું લખ્યું હશે. એમ બબડતા હતા કે 'આટલું બધું જુઠાણું ન હોય' -'રમાબાઈ' કે પછી એવું કંઈ નામ દીધું અને લવ્યા કે એણે પણ કાંઈક એવી જ વાત કરી હતી.” 

આા વાત સાંભળી બુદ્ધિધને જયમલને પાછો દરબારમાં રવાને કર્યો અને ક્‌હાવ્યું કે હું થોડી વારમાં આવું છું. રાણો શઠરાયને ઠગે છે કે પોતાને ઠગે છે એ એને સમજણ ન પડી. તો પણ હવે લાંબો વિચાર કરવાનો વખત ન હતો. સર્વ વિચાર, સર્વ ગોઠવણ, થઈ ગયાં હતાં. માત્ર ત્વરાના ગભરાટથી એક વાત નવી સુઝી. થોડા સહવાસમાં એણે નવીનચંદ્રને નાણી જોયો હતો અને એ રુપીઓ બાદલો નથી એવી તેની ખાત્રી થઈ હતી. એને ​શઠરાયસાથે સંબંધ નહીં ને દરબારમાં સ્વાર્થ નહી એટલે નરભેરામ કરતાં પણ વધારે વિશ્વાસપાત્ર ગણાયો. જયમલશંકર ગયો એટલે તરત નવીનચંદ્રને અને અલકકિશોરીને બોલાવ્યાં. “દશમીનું તરત મેડીમાં આણો” કહી અલકકિશોરીને મોકલી અને નવીનચંદ્રને ખભે હાથ મુકી તેની આંખો સામું જોઈ રહી અમાત્ય બોલ્યોઃ 

“નવીનચંદ્ર, આજ મ્હારે તમને એક કામ સોંપવાનું છે – ઘણા વિશ્વાસનું અને છાનું કામ છે. મ્હારાં અમૂલ્ય રત્ન તમારા હાથમાં મુકવા જેવું છે. તમે વિદ્વાન છો, કુલીન દેખાઓ છો, અને સર્વ બાબતમાં પ્રમાણિક સમજુ છું. હું ધારું છું કે મ્હારી આંખની શરમ ન ર્‌હે તેવે સમયે પણ એ ગુણ તમારામાં ર્‌હેશે.” 

નવીનચંદ્રને કાંઈક નવાઈ લાગીઃ “હાજી, મ્હારે મ્હોંયે મ્હારી વાત કરવી યોગ્ય નથી. મ્હારાપર જે વિશ્વાસ રાખશો તેનું કુપાત્રે દાન નહી થાય એવી દ્રઢ શ્રદ્ધા રાખજો. આપે મને ઉપકારથી બાંધી લીધો છે. આપની કાંઈ પણ યોગ્ય સેવા કરવી તે હું ઈશ્વરપ્રીત્યર્થે જ કરીશ.”

“તમે જાણો છો કે દરબારમાં આજ નવાજુની થવાની છે.”

“હાજી, વીગત નથી જાણતો.”

“વીગત પછીથી જણાશે. હાલ એટલું ક્‌હેવાનું છે કે આજ ગમે તો શઠરાય કે ગમે તે હું એ નક્કી થશે. ઈશ્વર કરશે તો સારું જ પરિણામ થશે. પણ વખત છે, મ્હારે માથે કાંઈ અડચણ આવી લાગે અથવા હું સૂચના કરું તો એકદમ તમારે ઘેર આવવું અને આ કુટુંબને લેઈ લીલાપુર જઈ ઘરબર ભાડે રાખી રહેવું. મ્હારા દ્રવ્ય તથા દાગીના બાબત સઉ વાત અલક જાણે છે તે બાબત દયાશંકરકાકાની સલાહ લેઈ વર્તવું. લીલાપુર ગયા પછી સાહેબને મળી મ્હારા સમાચાર ક્‌હેવા અને વિદ્યાચતુરને લખવું તથા એ ક્‌હે તે પ્રમાણે યોજના કરવી. પ્રમાદ બાળક છે – એની સંભાળ લેવાની પણ તરત તમારે શિર છે. જવું પડે તો જોડેના ડ્‌હેલામાં ગાડી તથા વાહનો મ્હેં તૈયાર રખાવ્યાં છે. સમરસેન કે એ મોકલે તેને હથીયારબંધ સાથે લેવા.”

નવીનચંદ્ર આભો બન્યો. એકદમ આ પ્રસંગ આવશે - આટલા વિશ્વાસનું પાત્ર પરરાજ્યમાં પોતાને થવું પડશે – એ તેની કલ્પનામાં પણ ન હતું.

“શઠરાય અથવા તેના દીકરાનો – અજાણ્યા કોઈ પણ માણસનો વિશ્વાસ કરવો નહી. એકદમ કુચ કરવી. એ લોકના વિચાર અતિદુષ્ટ છે. હું ધારું છું કે આ કામ તમારા ગજા ઉપરાંતનું નહી લાગે.” અમાત્ય એક ટશે અને આતુરતાથી જોઈ રહ્યો. ​“આપે બીલકુલ ડર ન રાખવો. મ્હારી કુલીનતાની પરીક્ષાનો સમય ઈશ્વરે આ પહેલવ્હેલો આણ્યો છે, અને હું નિષ્ફળ નહીં થાઉં.”

કપાળથી આંખો ઉપર, અને આંખો ઉપરથી મ્હોં ઉપર, હાથ ફેરવી, નીકળતા નિઃશ્વાસને ઢાંકી, અમાત્ય બોલ્યો.

“નવીનચંદ્ર, હું મ્હારાં વ્હાલામાં વ્હાલાં ૨ત્ન તમને સોંપું છું. આજ સુધી આવો વખત મ્હારે આવ્યો નથી.”

“ભાઈસાહેબ, મને આપના ભાઈ જેવો - પુત્ર જેવો –ગણજો. હું આપને પગે હાથ મુંકું છું. આપનું કુટુંબ તેની સાથે મ્હારે ભિન્નલાવ નથી- વધારે શું કહું ? કહ્યા કરતાં કરી બતાવવું એ વધારે યોગ્ય છે. આપનું દ્રવ્ય મ્હારે શિવનિર્માલ્ય છે. દેવી મ્હારાં માતુશ્રી છે અને અલકબ્હેન મ્હારાં બ્હેન છે–.”

“મ્હારા બીજા મિત્રો છે. પણ તેમને રાજ્યમાં સ્વાર્થ છે. શઠરાય દ્રવ્યવાન્ છે–.”

“ભાઈસાહેબ, હું આપના સંપૂર્ણ વિશ્વાસનું પાત્ર થવા ઈચ્છું છું. હું અપાત્ર નથી. પઈસાથી મને કોઈ ફોડે એમ નથી. મ્હારી ગુપ્ત વાત હું પણ આપને કહું છું. મ્હારા પિતા લક્ષાધિપતિ છે.”

આ વાત અમાત્ય ન માનતો હોય એમ દેખાયો. નવીનચંદ્રને તે જોઈ કાંઈક ખેદ થયો. 

“સાબીતીમાં આ મુદ્રા મ્હેં મ્હારી પાસે રાખેલી છે તે જુવો.” હીરાની વીંટી જનોઈચે બાંધેલી અને પંચ્યાંની બેવડમાં કેડે સંતાડેલી બતાવી. બુદ્ધિધને તે હાથમાં લીધી અને જોઈ રહ્યો. સાત આઠ હજારનો હીરો લાગ્યો.

“ભાઈસાહેબ, આપની કેટલીક ગુપ્ત વાતો પણ હું જાણું છું. દુષ્ટ શઠરાયે આપની હત્યા કરવા ધારેલી છે. તે મને ખબર છે. કલાવતીની બાબત હું જાણું છું—” . .

બુદ્ધિધન ચમક્યો, ટટાર થયો, ખભા ઉંચા કર્યા, હાથ ઉંચો કર્યો, મ્હોંડે અરકાડ્યો, આંખો વિકસાવી, કીકીયો ફેરવી-ચ્હડાવી, ભમ્મર ભાંગી, અને મ્હોં પહોળું કર્યું -“ હેં !” 

“ભાઈસાહેબ, ચમકશો નહી. એ બધી વાત શી રીતે જાણું તે હું પછી કહીશ. આટલી વાત જાની પણ્ હજી સુધી કોઈને મ્હોંયે - પ્રમાદભાઈને મ્હોંચે પણ – ઓઠ ફરફડ્યો હોય તો ઈશ્વરની આણ છે. હું વાત છાની રાખી શકું છું. આપની છાની વાતનો મ્હેં ગેરઉપયોગ કર્યો નથી - આપના વિશ્વાસને હું પાત્ર છું એ જણાવવા હું આ કહું છું.” ​બુદ્ધિધન વિચારમાં પડ્યો.

“મને આ કામ સોંપતાં આપના મનમાં કાંઈ આશંકા ર્‌હેતી હોય તો હું તે કામ લેવા આતુર છું એમ નથી. હું તો પરદેશી–પ્રવાસી–પંખી છું. આપને અનુકૂળ હોય તો બીજે દેશ અબઘડી, છાનો માનો જતો ર્‌હેવા તૈયાર છું અને આપ મને સોંપો છે તે કામ ગમે તેને સોંપજો.”

“ના, ના. એવું કંઈ નથી. ચાલો, ચાલો. તમે મ્હારા ભાંડુ છો. એ કામ તો તમારે જ માથે પડશે. એટલું સરત રાખજો કે દાંતને જીભ ભળાવવી નથી પડતી. મ્હારાં અમૂલ્ય રત્ન–”

“જી, કાંઈ ચિંતા ન કરો.”

અલકકિશોરી આવી. સઉ દશમી કરવા ગયા. જમાઈપણ દશમીમાં દાખલ થયો. દયાશંકર એક પાટલા પર વાતો કરવા બેઠો. સ્ત્રીવર્ગને હબકાવવો નહી કરી આજ સુધી રાજ્ય ખટપટમાંની કાંઈ પણ વાત તેમની આગળ બુદ્ધિધને કરી ન હતી. આજ જરુર પડી. નવીનચંદ્રને કહ્યું હતું તે જ વાત સઉને કહી – તે જ યોજના પ્રમાણે સઉને આજ્ઞા કરવામાં આવી. સઉ ચમક્યાં, ચિંતામાં પડ્યાં, પણ શોક કરવા વખત ન હતો. જમી લેઈ લુગડાં પ્હે૨વા અમાત્ય શયનગૃહમાં ગયો. પાછળ શોક ભરી સૌભાગ્યદેવી આવી.

“દેવી, આ પેટીમાં કાગળીયાં છે. જે નવીનચંદ્ર જોડે લીલાપુર જવાનો પ્રસંગ આવે તો એ ઉઘાડવી અને કાગળોમાં લખ્યા પ્રમાણે કરવું.”

“પણ આ બધું છે શું ? અચિંત્યુ” ગભરાયલે મ્હોંયે દેવીએ પુછ્યું.

“કંઈ નથી, તમારે ગભરાવું નહી. હું પાછો આવું ત્યાં સુધી દયાશંકરકાકાને આપણે ઘેર રાખજો.”

"તમે મ્હારાથી આવી છાન આજ સુધી રાખતા ન્હોતા ! શું કાંઈ એવો દેાષ મ્હેં કર્યો છે કે મ્હારો ભરોસો નથી પડતો ?” આંંખ ચોળતી દેવી બોલી.

“ના, ના, એ તો સ્હેજ. બધી વાત હું પછી કહીશ. અત્યારે કહેવાનો વખત છે ? આ તો એટલું કે આજ દરબારમાં ખટપટ થવાની અને–”

“હું તમારા મ્હોં ઉપરથી સમજું છું. તમને કાંઈ મ્હોટી બ્હીક લાગે છે.”

બુદ્ધિધન ઉપરથી હસ્યો: “ના, ના, બ્હીક શાની ? શું છે તે કહ્યું જ છે કની ?” ​ “હા, એ બ્હીક તો ખરી. પણ મ્હારું મન ક્‌હે છે કે આજ સારું જ થશે. મને કાંઈ બ્હીક લાગતી નથી. કાંઈ બીજું હશે–” અલકકિશોરી આવી.

“અલક, જો નવીનચંદ્ર સાથે જવું પડે તો હોંશીયારી રાખજે હોં ! ત્હારી ભાભીને જોઈયે કેવી છાતી પર રાખે છે ?"

પ્રમાદધન આવ્યો અને કહ્યું કે સઉ એકઠા થયા છે અને દરબારમાંથી બીજું તેડું આપ્યું છે. અલકકિશોરીને કંકુ લેવા સૌભાગ્યદેવીએ મોકલી. કપડાં પ્હેરી બુદ્ધિધન નીચે ઉતર્યો, દાદર અર્ધો ઉતરે છે, એટલામાં અલકકિશેરી કંકાવટી લેઈ સામી આવી.

“ફતેહ ! પિતાજી, ૯યો. હું જ સામી મળી. હવે જોઈ લ્યો ! કપાળ ધરો. હું ચાંલ્લો કરું, આજ તો ડંકા ! ”

સઉ મેડી ઉપરથી ઉતર્યા અને ખડકીમાં આવી જોડા પ્હેરી બારણા બ્હાર નીકળવા તત્પર થયા. નવીનચંદ્ર પણ તૈયાર થયો. બુદ્ધિધનના ક્‌હેવાથી પ્રમાદધને તેને સારાં કપડાં, અંગવસ્ત્ર વગેરે પહેરાવ્યું હતું. અને અમાત્યે આંગળીયે લીધો. વનલીલા સવારમાં સાસરેથી ઘેર જવા નીકળી હતી અને વર પાસેથી કાંઈક ખટપટની વાત સાંભળી હતી તે ક્‌હેવા કુમુદસુંદરીને બારણે બોલાવી હતી. એટલે ઉભાં ઉભાં બે જણે વાતો કરી વનલીલા ગઈ અને કુમુદસુંદરી ઘરમાં પેસે છે એટલામાં અમાત્ય અને સર્વે મંડળ બ્હાર નીકળતું સામું મળ્યું એટલે સંકોડાઈ સોડીયું વાળી બ્હાર ખુણામાં ઉભી રહી અને સઉ નીકળી ચુકયા એટલે અંદર ગઈ.

“નવીનચંદ્ર, શકુન તો સારા થયા. દાદ૨ આગળ અલક મળી અને બારણા અાગળ કુમુદસુંદરી મળ્યાં” પ્રસન્ન વદને અમાત્ય બોલ્યો.

“હાજી, મંગળ શકુન સંપૂર્ણ થયા. વારું, આનંદ પામો.” સઉ અમાત્યને અભિનંદન કરવા મંડી ગયાં અને ઘર બ્હાર ચા૯યાં.

આવું છતાં બુદ્ધિધનના મનમાં આશંકા રહી. "આ ઘર પાછું જોવા વારો આવશે કે નહી ? કુટુંબનો ફરી ભેટો થશે કે અત્યારે જાઉં છું તે છેલું પ્હેલું ? નીકળતાં નીકળતાં દેવીને આખરનું સ્નેહાલિંગન ન દેવાયું ! હે ઈશ્વર, શું થશે ? આ મ્હારાં અલક અને કુમુદ – ફરી મળશે ? પ્રમાદ– " આ વિચારોથી ઉભરાતું મગજ આંખોની બારીયોમાંથી ઘરનાં બારણામાં ઉભેલી પવિત્ર સુંદરીયોને જેનું જેનું શરીરની સાથે ઘસડાયું અને, ઘર અદ્રશ્ય થતાં, ઘરને ભુલી ગયું અને દરબારના વિચારમાં લીન થયું. રંક જન્મેલાને ભવિષ્ય કારભારના બારણામાં કંઈ કંઈ વિદ્નો દેખાયાં. તે દૂર કરવાનાં સાધનો પણ પોતે ઉભાં કરેલાં દેખાયાં. એની આસપાસ વિચિત્ર ​ વિચારો કરનારું જુદા જુદા વેશવાળું વિચિત્ર મંડળ ચાલ્યું. રસ્તામાં શઠરાયના મંડળ સાથે ભેગું થયું. મળી ગયું. મળી ગયા છતાં જુદું જણાઈ આવ્યું. અને સર્વ મંડળમાં ભળેલો છતાં સર્વથી જુદો, પોતે નવો હોવાથી સર્વેની અાંખો ખેંચતો હોવા છતાં કોઈથી ન ઓળખાય એવો, નવીનચંદ્ર નવી સૃષ્ટિ નવી વૃત્તિથી નીરખતો ચાલ્યો.

26
લેખ
સરસ્વતીચંદ્ર — ૧
0.0
આજકાલ પૃથ્વી ઉપર એવો સમય આવ્યો છે કે કીર્તિ અમર કરવાનાં સાધન દિવસે દિવસે શક્તિહીન થતાં જાય છે. માનવીની રુચિ કાલ ન હતી એવી આજ થાય છે, અને અાજ નથી તેવી કાલ થશે. ભવિષ્યમાં એ રુચિને કીચો પદાર્થ પ્રિય લાગશે એ વર્તમાન કલ્પવું પણ કઠિણ છે. પ્રતિદિવસે વધતા શોધોના આ સમયમાં શાસ્ત્રીય ગ્રંથો પણ આજના કાલ નિરુપયોગી થાય છે, તેમ અપૂર્વ ત્વરાથી નિત્ય નવી થતી રુચિના અા સમયમાં સ્વભાવે ક્ષણજીવી નવલકથાઓ દીર્ઘાયુ થાય અને લખનારને ભવિષ્યકાલ સાથે કીર્તિની સાંકળથી સાંધે એ ધારણાથી અનુભવનો બોધ વિરુદ્ધ છે. નાટકોને દ્રષ્ટિમર્યાદામાંથી ખસેડી પાડી તેને સ્થળે માનવીના હાથમાં નવલકથાઓ ઉભરાવા લાગી છે, એ જ અાનું દૃષ્ટાંત છે. ગ્રંથકારના હૃદયમાં કીર્તિનો લોભ અામ નિષ્ફળ અને નિર્જીવ લાગે એ પણ વર્તમાનકાલની એક ઉત્સાહક દશા છે. માલનું મૂલ્ય તેના ઉપયોગીપણા ઉપર આધાર રાખે તો તે ઇષ્ટાપત્તિ છે, અને કીર્તિએ છેડી દીધેલા અાસન ઉપર તે ઇષ્ટાપત્તિની સ્થાપના થાય તો સાહિત્યનો ફલવિસ્તાર સ્થિર મહત્તા ભોગવે એ ઘણે અંશે સંભવિત છે. પરંતુ પાશ્ચાત્ય–દેશોની અવસ્થા અને આપણા દેશ પર પડતી તેની છાયા પ્રધાનભાગે એવી છે કે સંગીન ઉપયોગ ભુલી બાહ્ય સુંદરતાની પ્રત્યક્ષ માયાથી માનવી મોહ પામે છે, અને આથી પ્રધાન વસ્તુને ઠેકાણે ગૌણ વસ્તુનું આવાહન થાય છે. ખરી વાત છે કે, રસના–પ્રત્યક્ષ માયાથી અંતર તત્ત્વ સ્વાદિષ્ટ બની માનવીના અંતર્માં વધારે પચે છે; માયાની સુંદરતા ચિત્તની રસજ્ઞતાને અતિસૂક્ષ્મ, ઉચ્ચાભિલાષી અને વેગવાળી કરી મુકે છે; અને તેથી નવો અવતાર ધરતા મનુષ્યના જીવનને અને અન્ય પ્રાણીઓનો ભેદ વધારે વધારે. સ્પષ્ટ થતો જાય છે. પરંતુ માયાનો લય તત્ત્વમાં થઈ જાય છે. - માયા એ માત્ર તત્વની સાધક છે – માયાનો લક્ષ્ય અંત તે જ તત્ત્વનો આરંભ હોવો જોઈએ – માયાનું અંતર્ધાન થતાં તત્ત્વનો આવિર્ભાવ થવો જોઈએ – માયા - અંડ કુટતાં તત્ત્વ–જીવ સ્ફુરવો જોઈએ; એ વાત ભુલવી જોઈતી નથી. સુંદર થવું એ સ્ત્રીનું તેમ જ નવલકથાનું લક્ષ્ષય છે, પરંતુ એ લક્ષ્યની સંપત્તિ તે માત્ર કોઈ બીજા ગુરુતર લક્ષ્ય પામવાનું પગથીયું છે – એ પગથીયે ચ્હડીને પછી ત્યાં અટકવાથી તે ચ્હડવું નકામું થાય છે – હાનિકારક પણ થાય છે.
1

પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના

25 October 2023
1
0
0

પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના. આજકાલ પૃથ્વી ઉપર એવો સમય આવ્યો છે કે કીર્તિ અમર કરવાનાં સાધન દિવસે દિવસે શક્તિહીન થતાં જાય છે. માનવીની રુચિ કાલ ન હતી એવી આજ થાય છે, અને અાજ નથી તેવી કાલ થશે. ભવિષ્યમાં એ

2

ત્રીજી આવૃત્તિ સંબંધે પ્રાસંગિક સૂચના

25 October 2023
1
0
0

ત્રીજી આવૃત્તિ સંબંધે પ્રાસંગિક સૂચના શબ્દોની લેખનપદ્ધતિના વિષયમાં અા અાવૃત્તિમાં કેટલાક નિયમ પાળવા યોગ્ય ગણ્યા છે. તે નિયમોનો વિવેક “સમાલોચક” નામના મુંબાઈના ત્રૈમાસિક પત્રમાં આપેલો છે. તેને વિસ્તાર

3

पञ्चदशीના શ્લોક

25 October 2023
1
0
0

સરસ્વતીચંદ્ર ભાગ ૧ पञ्चदशीના શ્લોક इच्छा ने परेच्छा च प्रारब्धं त्रिविधं स्मृतम् ॥अपथ्यसेविनश्चोरा राजदारस्ता अपि ।जानन्त इव स्वानर्थमिच्छन्त्यारब्धकर्मतः ॥न चात्रैतद्वारयितुमीश्वरेणापि शक्यते ।यत ई

4

મંગલપુષ્પાંજલિ

25 October 2023
1
0
0

મંગલપુષ્પાંજલિ.*[૧] મનને મનસુખનું બીજ દીધું, રતિ[૨]-તંત્ર-સ્વરૂપ અનુપ કીધું; ગુરુ આશ[૩] ખડી શિશુપાસ કરી, નભ ત્હોય ઉગ્યો ન રવિ-ન શશી.       ૧. વિધિ ફાવી ચુક્યો કરી સર્વ ક્રિયા, મનુના ૨થ તે મનમા

5

સુવર્ણપુરનો અતિથિ.

25 October 2023
1
0
0

સરસ્વતીચંદ્ર. પ્રકરણ ૧. સુવર્ણપુરનો અતિથિ. “ ઘર તજી ભમું હું દૂર સ્વજન-હીન, ઉર ભરાઈ આવે, “નહીં ચરણ ઉપડે હુંથી શોકને માર્યે.”* * * * "સુખ વસો ત્યાં જ જ્યાં ભુલે રંક નિજ દુઃખો, "જયાં પામે આદરમાત

6

બુદ્ધિધનનું કુટુંબ

25 October 2023
1
0
0

પ્રકરણ ૨. બુદ્ધિધનનું કુટુંબ. નવીનચંદ્ર વાડામાં ગયો. મૂર્ખદત્તની ઓરડીમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા અને થોડીક જ વાર થઈ એટલામાં ગાડીઓનો ગડગડાટ, અને ઘોડાઓની ખરીના પડઘા સંભળાયા. કણકવાળા બે હાથ

7

બુદ્ધિધન

25 October 2023
0
0
0

પ્રક૨ણ ૩. બુદ્ધિધન રાજેશ્વર મહાદેવનું દેવાલય સુવર્ણપુરથી ત્રણેક ગાઉને છેટે હતું. એટલે લોકોનો અવર જવર થોડો હતો. કોઈ કોઈ વેળા આ કારણથી શ્રીમંત વંઠેલાનું અને કોઈ કોઈ વખત રાજ્યપ્રપંચના ખટપટી વર્ગનું તે

8

બુદ્ધિધન. ( અનુસંધાન ).

25 October 2023
0
0
0

પ્રક૨ણ ૪. બુદ્ધિધન. ( અનુસંધાન ). નમાઈ સૌભાગ્યદેવી બાળક અવસ્થામાં આજસુધી સાસરે જ રહેતી, તેનું કન્યાવય હવે બદલાવા લાગ્યું અને શરીર તથા સમાજમાં દેખાતો ફેર પડવા લાગ્યો. સસરા ગુજરી જવાથી સાસુ ઓરડે બેઠાં

9

બુદ્ધિધન. ( અનુસંધાન, સંપૂતિ.)

25 October 2023
0
0
0

પ્રકરણ પ. બુદ્ધિધન. ( અનુસંધાન, સંપૂતિ.) મ્હોટાંમાણસોનો ખોટો ડોળ ખરામાં ચાલ્યો જાય છે. અને ન્હાનાંની ખરી વાત ખોટામાં ચાલી જાય છે. રંક બુદ્ધિધનનો ક્રોધ જોઈ દયાશંકરને હસવું આવ્યું અને ઘરમાં સઉ તેની વા

10

રાજેશ્વરમાં રાજ-ખટપટ

25 October 2023
0
0
0

પ્રકરણ ૬. રાજેશ્વરમાં રાજ-ખટપટ. ॥ तटस्थ: स्वानर्थान् घटयति च मौनं च भजते ॥ સુવર્ણપુરનું રાજતંત્ર ઘેનમાં પડ્યું હોય તેમ પોતાની મેળે ચાલ્યું જતું દેખાતું હતું અને રાણો તથા અમાત્ય બે શિવાય સર્વ મંડળ ખ

11

વાડામાં લીલા.

26 October 2023
0
0
0

પ્રકરણ ૭. વાડામાં લીલા. મહાદેવની પાછળના વાડામાં થોડા દિવસ થયા મોગરો, ગુલાબ, ચંપો, અને એવાં એવાં કુલની વાડી જેવું બનાવવા યત્ન કરવામાં આવ્યો હતો. મૂર્ખદત્તનો એક સુતળીનો ભરેલો ઉંચાનીચા પાયાવાળો ખાટલો

12

અમાત્યને ઘેર

26 October 2023
0
0
0

પ્રક૨ણ ૮. અમાત્યને ઘેર નવીનચંદ્ર અમાત્યને ઘેર સવાર સાંઝ જમવા જવા લાગ્યો. શઠરાયને ઘેર કોઈનો – અતિથિનો પણ– ભાવે પુછાતો ન હતો અને શેઠ અાવ્યા તો નાંખો વખારે એમ સઉ કોઈને થતું. ઘરમાં આવનાર, પાસે બેસનાર, સ

13

અમાત્યને ઘેર

26 October 2023
0
0
0

પ્રક૨ણ ૮. અમાત્યને ઘેર નવીનચંદ્ર અમાત્યને ઘેર સવાર સાંઝ જમવા જવા લાગ્યો. શઠરાયને ઘેર કોઈનો – અતિથિનો પણ– ભાવે પુછાતો ન હતો અને શેઠ અાવ્યા તો નાંખો વખારે એમ સઉ કોઈને થતું. ઘરમાં આવનાર, પાસે બેસનાર, સ

14

ઉન્મત્તપણાનું પરિણામ

26 October 2023
0
0
0

પ્રક૨ણ ૯. ઉન્મત્તપણાનું પરિણામ  લીલાપુરથી પાછાં આવ્યા પછી રાણાની ઉદારતાને લીધે બુદ્ધિધને સારું અને વિશાળ ઘર બંધાવ્યું હતું. દરવાજા અંદર મ્હોટી ખડકી હતી અને ખડકી પાછળ મ્હોટો ચોક હતો. ચોકની બે પાસ મ

15

ખટપટનાં શસ્ત્ર અને કારભારીએાની યુદ્ધકળા.

26 October 2023
0
0
0

પ્રકરણ ૧૦. ખટપટનાં શસ્ત્ર અને કારભારીએાની યુદ્ધકળા. નવીનચંદ્રની ચિંતા અલકકિશોરીને માથે પડી. મૂર્ખદત્ત આવતો જતો અને ખબર લેતો વૈદ્ય ઔષધ કરતો. ચાકરો ચાકરજોગ કામ કરતા. સૌભાગ્યદેવી નીચે રહી પુછપરછ કરી

16

દરબારમાં જવાની તૈયારીયો.

26 October 2023
0
0
0

પ્રકરણ ૧૧. દરબારમાં જવાની તૈયારીયો. ઘણા લોક જેની વાટ જોઈ રહ્યા હતા એ ચૈત્ર સુદ પડવો આવ્યો. ઉગતા મળસ્કામાંથી દરબારીયોનાં ઘરમાં ચંચળતા વ્યાપી ગઈ. શઠરાય ન્હાઈ ધોઈ તૈયાર થવા લાગ્યો. નરભેરામ કારભારીની સે

17

રાજા, રાજદરબાર અને રાજકારભાર.

26 October 2023
0
0
0

પ્રકરણ ૧૨. રાજા, રાજદરબાર અને રાજકારભાર. “આ એકપાસ ઉતરે શશી અસ્તમાર્ગે,“આ ઉગતા રવિતણા જ કુસુંબી પાદ !“સંસાર આ અંહિ દ-શાયુગ-અંતરાળે“બે તેજના ઉદય-અસ્તથી બાંધી રાખ્યો.”  -શાકુંતલ. રાણા ભૂપસિંહનો

18

રસ્તામાં.

26 October 2023
0
0
0

પ્રકરણ ૧૩. રસ્તામાં. પ્રત્યક્ષ ઈન્દ્રજાળ પરોક્ષ થયું. પણ તેણે રચેલા સંસ્કાર રહ્યા. દરબારમાંથી અમાત્યને ઘેર જવાનું. મંદવાડના સમયમાં ત્યાં પણ કંઈ કંઈ અનુભવ થયા હતા. એ ઘરમાં જવાનું તેથી તેના પણ વિચાર થ

19

સૌભાગ્યનો સંપૂર્ણચંદ્ર.

26 October 2023
0
0
0

પ્રકરણ ૧૪. સૌભાગ્યનો સંપૂર્ણચંદ્ર. બુદ્ધિધન દરબારમાં ગયો એટલે તેના દ્વારમાં એક બે વિશ્વાસુ સીપાઈઓ સજ્જ થઈ બેઠા. સૌભાગ્યદેવી ફરી ન્હાઈ અને ભસ્મ ચોળી દેવમંદિરમાં રૂપાની દીવીયોમાં ઘીના દીવા અને ધુપીયામ

20

સરસ્વતીચંદ્ર

26 October 2023
0
0
0

પ્રકરણ ૧પ. સરસ્વતીચંદ્ર– "भभुत लगायो ! अलक जगायो ! खलक कीयो सब खारो वे !!!" દીવાનખાનામાં પુરુષો ભરાવા માંડતાં સ્ત્રીવર્ગ નીચે ઉતરી પડ્યો તે વખતે કુમુદસુંદરી એકલી પોતાની મેડીમાં ગઈ હાથમાં આવેલો

21

બુદ્ધિધન અને સૌભાગ્યદેવી.

27 October 2023
0
0
0

પ્રકરણ ૧૬. બુદ્ધિધન અને સૌભાગ્યદેવી. કુમુદસુંદરી નીચે આવી તે પ્હેલાં સર્વ પુરુષવર્ગ જમી મેડીએ ચ્હડ્યો અને પ્રધાનખંડ ઉભરાયો. બુદ્ધિધન હરતો ફરતો તેણી પાસ સર્વની દૃષ્ટિયો જતી અને તે જેની સાથે વાત કરે ક

22

પ્રમાદધન અને કુમુદસુંદરી.

27 October 2023
0
0
0

પ્રકરણ ૧૭. પ્રમાદધન અને કુમુદસુંદરી. આ સમયે પ્રમાદધન ક્યાં હતો ? તે શું કરતો હતો ? પુરુષ વેરાયું પણ સ્ત્રી મંડળ તો આજ આખો દિવસ અલકકિશોરીની આસપાસ ભમવા સરજેલું હતું. કુમુદસુંદરી પણ ત્યાં જ હતી. પ્રમાદ

23

કારભારી અને કારભાર: દિગ્દર્શન.

27 October 2023
0
0
0

પ્રકરણ ૧૮. કારભારી અને કારભાર: દિગ્દર્શન. *[૧]य: काममन्यू प्रजहाति राजा पात्रे प्रतिष्ठापयते धनं च ॥ विशेषविच्छ्रुतवाङ् क्षिप्रकारी तं सर्वलोक: कुरुते प्रमाणम् ॥ १ ॥ जानाति विश्वासयितुं मनुष्यान

24

રાત્રિ સંસાર.

27 October 2023
0
0
0

પ્રકરણ ૧૯. રાત્રિ સંસાર. જ્વનિકાનું છેદન અને વિશુદ્ધિનું શેાધન.[૧] "The Crescent Moon, the Star of Love, Glories of evening, as ye there are seen With but a span of sky between– Speak one of yo

25

૨જા લીધી

27 October 2023
0
0
0

૨જા લીધી. કોઈ પ્રતાપી સત્ત્વ પોતાની પાસેથી જતું રહેતાં મન છુંટું થાય તેમ કુમુદસુંદરી ગઈ કે સરસ્વતીચંદ્ર શાંત થયો. તેની પાછળ જોઈ રહ્યો અને બારણું બંધ થયું કે 'હાશ' 'અરેરે' કરી, બેઠો હતો તે પથારીમાં પડ

26

ચાલ્યો

27 October 2023
0
0
0

પ્રક૨ણ ૨૧. ચાલ્યો. કુમુદસુંદરીએ ખીસામાં કાગળ મુક્યો હતો તે વાંચવાની જોગવાઈ શોધવા સારુ સરસ્વતીચંદ્રે આટલી ઉતાવળ કરી. બુદ્ધિધનના ઘરમાં - ગામમાં – એ કાગળ ઉઘાડવો – એ અક્ષર કોઈ જુવે – તે પણ ભયંકર હતું; ક

---

એક પુસ્તક વાંચો