shabd-logo

હૃદયના ભેદનું ભાગવું.

6 November 2023

6 જોયું 6

પ્રક૨ણ ૨૯.

હૃદયના ભેદનું ભાગવું.

“All precious things, discover'd late“

To those that seek them issue forth ;

“For love in sequel works with fate,

“And draws the veil from hidden worth.”

Tennyson's Day-Dream,“ 

And so love–

“Yaster in being free from toils of sense–“

Was wisest stooping to the weaker heart;

“And so the feet of sweet Yasodhara“

Passed into peace and bliss, being softly led.

”Arnold's Light of Asia.

સરસ્વતીચંદ્ર : સરસ્વતીચંદ્ર ! હું કુમુદ આપને બોલાવું છું – ” સામી બેઠી બેઠી કુમુદ કેટલીક વારે બોલી.

પવનની ગર્જના પર્વત ઉપર થતી હતી તે વચ્ચે પણ આ ઝીણો સ્વર સરસ્વતીચંદ્રના કાનમાં પેઠો અને એને એની વિચારનિદ્રામાંથી જગાડ્યો. ધીમે રહી એણે આંખ ઉઘાડી પોતાના ખોળામાં જોયું અને હવે હલકા થયેલા ખોળાનો ભાર ઈષ્ટ રૂપે સામે બેઠેલો જોયો.

સર૦- કુમુદસુન્દરી, મ્હેં તમને બહુ દુ:ખી કર્યાં !

કુમુદ૦- થનારી થઈ ગઈ – બનવાની બની ગઈ. આપે મ્હારા ભાગ્યને આપની જોડે ઉરાડવા પ્રયત્ન કર્યો – એ ભાગ્યમાં એવી રીતે પણ ઉડવાની શક્તિ ન હતી તેથી પડવાનું જ હતું તે પડ્યું. આપનો એમાં હું દોષ ક્‌હાડતી નથી. શકુન્તલાના પ્રેમને દુષ્યન્ત જેવા પુરુષ ભુલી જાય ત્યારે તો દુર્વાસા જેવાના શાપનું જ અનુમાન કરવું. ચંદ્રાવલીબ્હેને આ વિષયમાં મ્હારી હૃદયભાવના આપને ક્‌હેલી જ છે તો તે વિષયે હૃદયશલ્યને સમૂળાં ક્‌હાડી નાંખો.

સર૦– થયેલી મૂર્ખતા અને દુષ્ટતા ચિત્તમાંથી ખસતી નથી. ​ કુમુ૦– એમ શું બોલો છે ? આપની ભુલ થઈ હશે, પણ દુષ્ટ તો આ૫ નથી જ. જો આપનામાં દુષ્ટતાનો અંશ હત તો સર્વસ્વ છોડી આ દુષ્ટ શરીરની પાછળ આમ આપ ભટકત નહી, અથવા ભટકત તો આ મહામોહની બે ઘડી જે આપે પ્રત્યક્ષ કરી તે કાળમાં એ મોહને વશ થઈ આ શરીરની જુદી જ અવસ્થા આપે કરી દીધી હત.

સર૦– એમાં મ્હેં કાંઈ નવું નથી કર્યું.

કુમુદ૦– આપ મ્હારાથી અન્ય સર્વ રીતે અધિક છો; પણ સંસારનાં દુઃખના અનુભવમાં હું વધારે ઘડાઈ છું અને જેવી ઘડી આપને ગાળવી પડી છે તેના કષ્ટનો પણ મને અનુભવ છે.

સર૦– તમને એમ નથી લાગતું કે આ વાત કરી દુષ્ટ સંસ્કારોને દૃઢ કરવા કરતાં એ વાત કરવી જ નહીં તે વધારે ક્ષેમકારક છે ?

કુમુદ૦– એ તો અનુભવસિદ્ધ છે.
ક્‌હેતાં ક્‌હેતાં એણે કમ્પારી ખાધી ને તે સરસ્વતીચંદ્રે દીઠી.

સર૦– તમને જોઈ રહું છું ત્યારે મનમાં એવો પ્રશ્ન ઉઠે છે કે દુષ્ટતા તે આવી વાત કરવામાં હશે કે નહી કરવામાં હશે ?

કુમુદ૦– દુષ્ટતા તો આ મુખમાં જ છે કે જેના દર્શનથી આપના જેવા ત્યાગીને આવું દુઃખ થાય છે. સ્ત્રીઓની દૃષ્ટિમાં જ આવું વિષ ભરેલું છે.

સર૦– હરિ ! હરિ ! કુમુદસુંદરી ! જો એવું વિષ સ્ત્રીઓની દૃષ્ટિમાં હોય તો તે પુરુષની વાણીમાં પણ છે કે જેના ઉદ્દગારે તમને અસહ્ય અગ્નિમાં ચલાવ્યાં.

કુમુદસુંદરી શરમાઈ ગઈ, નીચું જોઈ રહી, અને અંતે સ્વસ્થ થઈ બોલી.

“મને હવે ભાન આવે છે કે સાધુજનો મને અંહી એકલી મુકી ગયાં તે વેળાએ મ્હેં મ્હારા હૃદયના ઉભરા ક્‌હાડવા જોડી રાખેલું કાવ્ય ગાવા માંડ્યું હતું. મને લાગે છે કે તે મ્હારી મૂર્છા કાળે પણ ચાલ્યું રહ્યું હશે ને આપના પવિત્ર સુખી કાનમાં કંટક જેવા અનેક પગવાળા કાનખજુરા પેઠે પેસી ગયું હશે. પણ ક્ષમા કરજો, એ જે થયું હોય તે આ શરીરની પરવશતાને લીધેજ.

સર૦- તમારા શરીરને તો સુવર્ણપુરમાં ઘણો કાળ પ્રત્યક્ષ કર્યું હતું; પણુ હૃદયને તો એ ગાને જ પ્રત્યક્ષ કરાવ્યું અને એટલા માટે જ મ્હારી સ્વાર્થી વૃત્તિને એ દર્શન કરાવનારી તમારી મૂર્છા મને ઘણી પ્રિય થઈ પડી હતી. ​ કુમુદ૦– મ્હારે પણ એમ જ ગણવાનું કારણ છે. આપના પવિત્ર ખોળાને દૂષિત કરી આ શરીર તેમાં પડી રહ્યું હતું ત્યારે બોલવાની કે હાલવા ચાલવાની મ્હારામાં શક્તિ ન હતી ને નયન બંધ હતાં તે ઉઘાડવાની શક્તિ ન હતી; પણ કાન ઘણો કાળ જાગૃત હતા. કાચના ગોળામાં રાખેલો જન્તુ કાચમાંથી બહારની સૃષ્ટિનું અવલોકન કરી માંહ્યને માંહ્ય ફર્યા કરે અને બ્હારના પદાર્થોની ગતિથી ચમકે તેમ કાચ જેવા જડ પણ મ્હારાથી પારદર્શક મ્હારા શરીરમાં મ્હારા હૃદયની સ્થિતિ એ જન્તુના જેવી પરાધીન જાગૃત હતી. આપના તપોમય સ્નેહના મધુર ઉદ્ગાર પણ મ્હારા કાનમાં ને હૃદયમાં તે કાળે જ કંઈક આવ્યા અને મ્હારા અનેક સંશયને તેમણે દૂર કર્યા.

સરસ્વતીચંદ્ર ચમકયો.

“ત્યારે મ્હારે માટેનો તમારો અભિપ્રાય ઘણે હલકો થઈ ગયો હશે !”

કુમુદ૦– શા માટે ચમકો છો ? જે વસ્તુના અજ્ઞાને અને સંદેહે સુવર્ણપુરમાંની મ્હારી સ્થિતિના કરતાં વધારે દુ:ખ મને દીધું હતું તે આ ઉદ્ગારોથી મને પ્રકટ થઈ છે. અને તેથી તો દુ:ખ દૂર થયું છે; અને આપનું દુઃખ કંઈ દૂર કરવાની મ્હારામાં શક્તિ છે અને તેમ કરવાનો સાધુજનોએ પ્રસંગ આપ્યો છે તે સફળ કરવાનો માર્ગ પણ આ ઉદ્ગારોથી જ મને જડશે.

સર૦- મનની પરવશ દશામાં નીકળેલા ઉદ્‌ગારોથી મ્હારો ન્યાય કરવો ઉચિત નથી. 

કુમુદ૦- એ ન્યાયથી આપને કંઈ કલંક લાગતું નથી.

સર૦- ચંદ્રનું કલંક તો બ્રહ્માયે જ ઘડેલું લાગે છે પણ તેને ઢાંકનારી વાદળીનો પડદો હતો તે પવને ખસેડી નાંખ્યો.

કુમુદ૦- ચંદ્ર અને કુમુદને પરસ્પર પ્રત્યક્ષતા કરાવનાર એ પવન બહુ પરગજુ નીવડ્યો ! સરસ્વતીચંદ્ર ! હું તમારી - આપની – પાસે હું શું કહું ?

સર૦– મને “આપ” ન ક્‌હેતાં આપણા આદિકાળને સ્મરી “તમે” કહીને બોલાવો, એટલે બાકીનું બીજું જે જે ક્‌હેવાનું હશે તે જાતે જ ક્‌હેવાઈ જશે. !

“આદિકાળ સ્વપ્નવત્ થયો – જતો રહ્યો ! હવે તો હું પણ બદલાઈ ને તમે પણ બદલાયા. જે વિશેષણ એકના મુખને અને બીજાના કાનને અમૃતરૂપ અને ભૂષણરૂપ હતાં તેનો હવે ત્યાગ કરવાનો પ્રયત્ન કરવો પડે છે." કુમુદે નિ:શાસ મુકી કહ્યું. ​ “સાધુજનોની સાધુતાને સાધુ પદાર્થો પ્રયત્નનો જ ત્યાગ કરવાથી પ્રાપ્ત થાય છે. જ્યાં સંદેહ પડે ત્યાં સત્પુરુષોનાં અંતઃકરણને પ્રમાણ ગણવાં એવું દુષ્યન્તનું વચન છે.” સરસ્વતીચંદ્ર ધીમે રહી બોલ્યો.

કુમુદ૦– કાવ્યોને પ્રમાણ ગણવાનો કાળ હવે વીતી ગયો.

સર૦– મ્હારી મૂર્ખતાએ આ કાળ આણ્યો.

કુમુદ૦–તમે શું કરો ? પ્રારબ્ધ ભુલાવે છે ત્યારે बुद्धयः कुब्जगामिन्यो भयन्ति महतामपि.  મ્હારા વિદ્વાન, અનુભવી અને ચતુર પિતાને પણ થોડા દિવસ વિલમ્બ કરી તમારી વાટ જોવાનું ન સુઝયું અને મ્હારો ઉતાવળે વિવાહ કરી દેવામાં જ મ્હારું કલ્યાણ લાગ્યું ત્યારે એમ જ સુઝે છે કે ઈશ્વરની જ ઇચ્છા બળવાળી છે. એવા એવા અનુભવીયો ભુલે ત્યારે આવે સૂક્ષ્મ પ્રસંગે તમારી બુદ્ધિ તમને ભુલાવે ને મ્હારા દુ:ખના પ્રદેશમાં મૃગજળ જેવું મ્હારું સુખ તમને પ્રત્યક્ષ કરાવે તેમાં તમારો શો દોષ !

સર૦- કુમુદ-કુમુદસુન્દરી ! તમારા જેવા હૃદયમાં આવી ઉદારતા અને આવું શાણપણ દેખું છું તેથી પણ મ્હારો મોહ ઘટવાને સટે વધે છે.

કુમુદ૦– તમારી આંખો ત્ર્હેંકાય છે, તમારો સ્વર થડકાય છે, અને શરીર ધ્રુજે છે. તમારું દુઃખ મને કહી દ્યો.

સર૦– તમારું દુઃખ તે જ મ્હારું દુઃખ છે - તમને સુખી જોઈશ ત્યારે હું સુખી થઈશ.

કુમુદ૦– પણ અત્યારની આ અવસ્થા શાથી ?

સર૦– મને મ્હારી અવસ્થાનું ભાન નથી.

કુમુદ૦- તમે મ્હારું એક કહ્યું કરશો ?

સર૦– એ કહ્યું કરવામાં જ મ્હારું પ્રાયશ્ચિત્ત રહેલું છે. 

કુમુદ૦- તો સાધુજનોએ રાખી મુકેલા આ ફલાહારથી જઠરાજગ્નિ તૃપ્ત કરી આપ નિદ્રા લ્યો ને તેમણે આપણે માટે યોજેલી પંચરાત્રિના શેષ ભાગમાં નિદ્રાન્તે ઉભય હૃદયનું પરસ્પરસમાધાન કરવાનો અવકાશ પુષ્કળ મળશે.

સર૦- તમે પ્રસાદ લ્યો તો હું લઉં.

એક મ્હોટા પાંદડા ઉપર ફલાહાર પીરસ્યો. બીજું પાંદડું હતું નહીં. કુમુદે “પછીથી ખાઈશ” કહ્યું. સરસ્વતીચંદ્રે તે માન્યું નહી. અંતે એક પાંદડામાં


  1.  १.सतां हि सन्देहपदेषु वस्तुषु प्रमाणमन्त:करणप्रवृत्तयः॥
  2.  ૨.મ્હોટાઓની બુદ્ધિઓ પણ વાંકી ચાલે છે. ​સર્વ ફળ મુકી બે જણે ભોજન કર્યું. ભોજનકાળે ઝાઝી વાર્તા 

ચાલી નહી. ચર્વણકાળે જાણ્યે અજાણ્યે એક બીજા સામું જોઈ ર્‌હેતાં હતાં અને મોહપાશ તેમની બેની આશપાસ વધારે વધારે વીંટાતો હતો; પણ તેની અનુભવીયણ કુમુદ ચેતી અને સત્વર ઉપાય યોજવા બીજી વાતે ક્‌હાડવા લાગી.

“મ્હારા ચિત્તમાં એમ લાગે છે કે આપણે એક બીજાને સત્ય નામે વાત ન કરવી પણ સાધુજનોમાં જે નામ પ્રસિદ્ધ છે તેને જ ઉચ્ચાર કરવા તમને આગળ ઉપર એમ લાગે કે હવે પ્રસિદ્ધ થવું ત્યારે જ મ્હારા પિતાશ્રીના આ રાજ્યમાં એમની પ્રતિષ્ઠા ન્યૂન થાય નહી તેમ મ્હારે છતાં થવું.”

સર૦– યોગ્ય છે. તેમાં દોષ માત્ર એટલો છે કે “માધુરી” એ નામનો ઉચ્ચારથી તમારી મધુરતા ઉપર લક્ષ્ય જાય છે.

કુમુદ૦– સંસારમાં ઘણી જાતના સંબંધીઓ એક બીજાંના નામોચ્ચાર કર્યા વિના જીવતા સુધી પરસ્પર વ્યવહાર નીભાવે છે.

સર૦– હા. પણ તેમાં તો ઘણુંખરું દમ્પતીએામાં જ એવો વ્યવહાર હોય છે, અને તેવાં આપણે ન છતાં તે સંબંધ પ્રમાણે સંબોધન કરવાં એ પણ મનને સૂચક થશે અને મોહનાં કારણભૂત થાય એવું ભય ર્‌હે છે.

કુમુદ૦– તો મ્હારા ચંદ્ર – હું તમને ચંદ્ર કહી સંબોધીશ – તમે મને ગમે તે ક્‌હેજો અને તમે મ્હારા ચંદ્ર થઈ મ્હારા મોહતિમિરનો નાશ થાય એવું કાંઈ કરજો. હું પણ તમને નવીન ક્‌હેતાં કંઈ કંઈ આચકા ખાઉં છું, વાતો કરતાં કરતાં બે જણે એક જ ફળ સાથે લાગું લીધું, બેનાં આંગળાં અડકયાં, બેને નવા ચમકારા થયા, એ ચેત્યાં, બેયે ફળ પડતું મુક્યું ને પોતપોતાના હાથ ખેંચી લીધા, અને ફળ બેના હાથમાંથી પડ્યું. હાથ પાછા ખેંચાયા પણ નેત્ર તો નેત્રને જ વશ રહ્યાં. કુમુદે પડેલું ફળ પાછું લેઈ સરસ્વતીચંદ્રને આપ્યું.

પવન સર્વત્ર છે તેને દૂર કરવાને પંખાથી ધક્કો મારીયે તો પવન દૂર જવાને સટે પાસે જ વધે છે, પણ જ્યારે ચારે પાસના આવા પવન વિના બીજે સ્થાને જીવન જ નથી ત્યારે તે પવનને કેવળ બંધ કરવાના પ્રયત્ન કરતાં આપણું શરીરનું જ આચ્છાદન કરવું યોગ્ય છે. આવા સમાગમકાળે, આવા વિક્ષેપ આવા પવન જેવો થાય ત્યારે તો તેના પ્રતીકાર માટે એ વિક્ષેપનો નાશ કરવાને પ્રયત્ન પડતો મુકી વિક્ષેપક શકિતની અને પોતાની વચ્ચે અંતરપટ મુકવો જ સારો એવી કલ્પના ​સરસસ્વતીચંદ્રને થઈ પણ અંતરપટ શાનો કરવો તે સુઝ્યું નહીં. એટલામાં એની મનોવૃત્તિ સમજી હોય એમ કુમુદે પ્રશ્ન પુછ્યા.

“આપે પિતાનો ત્યાગ કર્યો તે તેમના ઉપર અથવા બીજા કોઈ ઉપર ક્રોધથી કર્યો કે ઓછું આવ્યાથી કર્યો કે કંઈ બીજા કારણથી ? મ્હારો ત્યાગ કેવી બુદ્ધિથી કર્યો ? સુવર્ણપુર કીયા અભિલાષથી આવ્યા ? ત્યાંથી અંહી શાથી અને કેવી રીતે આવ્યા ? અંહીથી હવે કયાં જવું અને શું કરવું ધારો છે? મ્હારે માટે......” આ બધું વાક્ય પુરું થતા પ્હેલાં એના હાથમાંના ફળનો ગલ એના પગની પ્હાની ઉપર પડ્યો હતો તે ઉપર એનું ધ્યાન ન હતું, પણ સરસ્વતીચંદ્રની દૃષ્ટિ એ ગલ ઉપર અને સુન્દર પ્હાની ઉપર - ચંદ્રપ્રકાશમાં આ ગલ સુન્દર ચિત્રરૂપે પડેલો હતો તે ઉપર – પડી હતી. કુમુદ છેલું વાક્ય બોલે તે પ્હેલાં તો સરસ્વતીચંદ્ર આ ગલને હાથવડે લોહી નાંખ્યો પણ લોહેલા સ્થાનને જ જોઈ રહ્યો. એ તાલ કળાઈ જતાં કુમુદે પોતાની પ્હાની પાછી ખેંચી લીધી અને પોતે પ્હેરેલા વસ્ત્રની કોર પ્હાની ઉપર ઢાંકી દીધી. પ્હાની સંતાઈ જતાં તે જોવાનું બન્ધ થયું અને જોનાર સાવધાન થઈ ગયો.

સર૦– આ પ્રશ્નોના ઉત્તર દીધાથી આપણો ભેદ ભાગશે અને હું જાતે શાંત થઈશ એમ લાગે છે, પણ એ શાંતિ ખરેખરી મળશે કે તેને સ્થાને કંઈ બીજું પરિણામ થશે તે તો, આજ રાતના આપણા અનુભવોને વિચાર કરતાં, કંઈ સ્પષ્ટ સમજાય એમ નથી.

કુમુદ૦- સાધુજનો એવું માને છે કે ઉત્કૃષ્ટ રસ અને શુદ્ધ ધર્મ, દમ્પતી જેવાં, એકજ છે અને તેમની સંગત પ્રેરણા જે દિશામાં થાય ત્યાં જવામાં અનિશ્ચિત પરિણામનાં ભય-અભય ગણવાં યોગ્ય નથી. આને અનુસરીને જ મ્હેં પણ એવો નિશ્ચય કર્યો છે કે આપની સેવા પ્રાપ્ત થાય તો મ્હારે પણ બીજું કાંઈ જોવું નથી. આપના ચરણમાં મ્હારી અધોગતિ થાવ કે ઉન્નતિ થાવ તેનો વિચાર મ્હેં છોડી દીધો છે. ઓ મ્હારા ચંદ્ર ! તમારા વિના હવે મ્હારે કોઈ નથી અને તમારી મધુકલા ગણી કલાવાન્ ર્‌હો – બેમાંથી તમને અનુકૂળ પડે તે કરો ! પણ મ્હારાથી તમારાં દુઃખ અને તમારાં મર્મ ગુપ્ત ન રાખશો ! મને એટલો અધિકાર આપો. ​ સર૦- “તમને એ અધિકાર નહી આપું બીજા કેાને આપીશ ? મને મ્હારા સ્વાર્થને તો શું પણ મ્હારા ધર્મનો પણ બાધ તમને સુખી કરવામાં અંતરાયરૂપ થાય તો હું તેને ન ગણવાને તત્પર છું.

धर्मात्ययो मे यदि कश्चिदेवम्जनापवादः सुखविप्लवो वा ।

प्रत्युद्गमिष्याम्युरसा तु तत्तत्त्वत्सौख्यलब्धेन मनःसुखेन ॥

“મધુરી ! 'મધુરી' શબ્દથી મોહ કાલ થતો હોય તો આજ થાય, પણ તે નામથી જ અથવા જે કંઈ અન્ય પ્રવૃત્તિથી કે નિવૃત્તિથી તમને જે શાન્તિ થાય તેનાથી તે આપવી એ મ્હારી વાસના છે. મ્હારું સર્વસ્વ જે કાંઈ હોય તેના હવન થી પણ તમને સુખ મળે તે એજ મ્હારું સુખ છે. માટે મ્હારું સુખ સાધવાની તમારી વાસનાની તૃપ્તિ તમે પોતાની જાતને સુખી કરશો તેથી જ થશે.”

કુમુદ૦- ભલે. પણ તમે મ્હારું સુખ ઇચ્છો છો કે મ્હારું કલ્યાણ ઇચ્છો છો 

સર૦- તમને સુખની ઇચ્છા હોય તો તમારું સુખ ઇચ્છું છું અને તમને કલ્યાણની ઇચ્છા હોય તો કલ્યાણ ઇચ્છું છું.

કુમુદ૦- તમારે પોતાને માટે શું ઇચ્છો છો?

સર૦- મ્હારે તો સુખ પણ નથી જોઈતું ને કલ્યાણ પણ નથી જોઈતું. મને તો શાન્તિ મળે અને મ્હારા ધર્મમાં ન ચુકું એટલું જ જોઈએ.

કુમુદ૦– તમે શાંતિમાં સુખ માનો છે ને ધર્મમાં કલ્યાણ માનો છો? ને તે બેને ઇચ્છો છો ?

સર૦- માનું છું તો તમે ક્‌હો છો તે જ. બાકી જ્યાં સુધી ધર્મથી શાંતિ ન મળે ત્યાં સુધી શાંતિને પણ અધર્મરૂપ ગણી તેને ઇચ્છતો નથી.

કુમુદ૦- એ શાંતિએ ધર્મરૂપ ક્યારે ગણશો?

સર૦- તમને શાંત અને તૃપ્ત જોઈશ ત્યારે.

કુમુદ૦- તમારો ધર્મ કીયો ?


  1.  ૧ ( એક પ્રધાને પોતાના રાજાને ક્‌હેલું વચન) जातकमाला અથવાबोधिसत्वावदानमाला Edited by C. R.Lanman, Harvard Oriental Series.
  2.  ૨. હોમ.​

સર૦– જે પંચમહાયજ્ઞનો ગુરુજીએ, આપણને બેને ઉદ્દેશી, ઉપદેશ કર્યો તે આ દેશના તેમ પાશ્ચાત્ય દેશના સાધુસમાજને પ્રિય છે અને તે જ ન્હાનપણથી પ્રિય ગણેલો મ્હારો ધર્મ, ને તે જ તમારો ધર્મ. બાકીની ધર્મકથા સંસારીઓને માટે છે – આપણે માટે નથી.

કુમુદ૦– તો મ્હારા ચંદ્ર, તમે કરેલા સર્વ ત્યાગની કથા, અને તેમાં તમે જે ધર્મ ધાર્યો હોય તે, ક્‌હો. મને મ્હારું સુખ તેમાં જ લાગે છે ને તે સર્વ વિચારી મ્હેં જે પ્રશ્નો ગણી ગાંઠી કરેલા છે તે સર્વના ઉત્તર આપી મ્હારા મનનું સમાધાન કરે અને એમ કરતાં કોઈ અનર્થના ભયથી આંચકો ખાશો નહી.

સર૦– જો એમ જ છે તો કુમુદસુંદરી – મધુરી - મધુરી, સાંભળી લ્યો. મ્હારે મ્હોંયે મ્હારે મ્હારી મૂર્ખતા કે દુષ્ટતા કહી બતાવવી પડે તો તે પણ એક પ્રાયશ્ચિત્ત જ છે ને પ્રાયશ્ચિત્ત તે હું ઇચ્છું છું જ. પિતાનો અને લક્ષ્મીનો ત્યાગ મ્હેં શાથી કર્યો પુછો છો ? એ ત્યાગ મ્હેં પિતા- માતાને દુ:ખમાંથી અને પુત્રયજ્ઞના ઋણમાંથી મુક્ત કરવાને માટે કર્યો, મ્હારી અને તમારી પ્રીતિ થાય તે તેમને ગમતું હશે અને તેથી જ તેમને સુખ હશે જાણી, તમારું દર્શન કે અભિજ્ઞાન સરખું ન હોવા છતાં પિતાએ તમારી સાથે કરેલ મ્હારો વિવાહ મ્હેં સ્વીકાર્યો. આ સ્વીકાર મ્હેં શા માટે કર્યો એમ તમે પુછશો. હું કહું છું તે માનવું હોય તો માનજો કે પિતાની તૃપ્તિ વિના બીજું કાંઈએ પ્રવૃત્તિનું પ્રયોજન મ્હારે ન હતું. મ્હારી વાસનાઓ ન્હાનપણમાંથી ઘર છોડવા અને સંસારના મર્મભાગ જોવા માટે પ્રવાસ કરવાની હતી તે તમે જાણો છે. મને લક્ષ્મીની વાસના ન હતી તે જાણો છો. માટે જ માની શકશો કે તમારા વિવાહનો સત્કાર, પ્રથમ પળે, કેવળ પિતૃયજ્ઞમાં મ્હારી સૂક્ષ્મ વાસનાઓની આહુતિરૂપે હતો, પિતાએ માંડેલા પુત્રયજ્ઞમાં તેમના ભણીથી આરંભેલા આતિથેયના સ્વીકારરૂપે હતો. એક મંગળ મુહૂર્તમાં મને તેમણે વિદિત કર્યું ને મ્હેં જાણ્યું કે તમારી પ્રીતિના યજ્ઞમાં આદરેલી મ્હારી આહુતિ તેમને પ્રિય નથી. મ્હેં તમારી સુન્દર છબી કરાવી તેના દર્શનથી પ્રીતિરસ પીધો. હું તમને મળી ગયો. આપણો પત્રવ્યવહાર ચલાવ્યો. મ્હેં તમને આપવા વીંટી કરાવી. એ સર્વ માતાપિતાને ન રૂચ્યું, ને તમારે માટે વિપરીત ભાવના કરી તેમણે દુઃસહ આરોપ મુક્યા. જે કારણથી તમારો વિવાહ સ્વીકાર્યો હતો તે કારણ ખોટું પડ્યું. જે કારણથી ગૃહ અને લક્ષ્મીનો સ્વીકાર હતો તે કારણ ખોટું પડ્યું. મ્હારા સુખ કરતાં મ્હારો ત્યાગ માતા ​પિતાની વાસનાઓને વધારે અનુકૂળ થશે એવું સિદ્ધ થયું. એ સિદ્ધ થયું તેની સાથે જ એ ત્યાગ ન કરવાનો ધર્મ વિરામ પામ્યો અને એ ત્યાગ કરવાનો ધર્મ ઉદય પામ્યો. ભાવતું હતું અને વૈદ્યે કહ્યું. મ્હારો પ્રિય ત્યાગ જ મને શોધતો આવ્યો અને હું તેને ભેટી પડ્યો. ક્‌હો, હવે શું પુછવું છે?

કુમુદ૦– જગતના ક્‌હેવા પ્રમાણે તે પિતાનાં વચન તમારાથી સહી ન શકાયાં ને રોષમાં ને રોષમાં સર્વના ત્યાગનું તમે અતિસાહસ કર્યું.

સર૦– મ્હેં પણ એ વાત વર્તમાનપત્રોમાં વાંચી છે, પણ તે માનનારનું અજ્ઞાન છે. મને રોષનો અભ્યાસ હતો નહી અને છે નહી. સાધુ જનો દોષ કરતા નથી ને પામર જનો દોષ કરે ત્યારે ક્ષમા જ ઘટે છે.  તેમાં માતાપિતાના દોષ તે જેવા યે નહી અને સટે તેમના પ્રતિ સર્વાંશે ક્ષમા રાખવી એ તે આકારાકાતિથિયજ્ઞનો આવશ્યક વિધિ છે, બુદ્ધાવતારના પૂર્વજન્મની કથાઓ ગણાય છે તેમાંથી કેટલીક મ્હેં તમને કહી છે. તેમાં બિસજાતકની કથા એવી છે કે સર્વ ભાઈઓની સાથે વાનપ્રસ્થ થઈ બુદ્ધ પોતે બોધિસત્ત્વરૂપે ર્‌હેતા હતા અને સર્વ ભાઈઓ બિસપ્રાશન કરતા હતા. પાંચ છ દિવસ સુધી ઈન્દ્ર બોધિસત્ત્વના ભાગનાં બિસ ગુપ્ત રીતે હરી ગયો. બિસ ખોવાયાની વાત પ્રસિદ્ધ કરવાથી ભાઈઓને દુ:ખ થશે અને પોતાને તો આહાર–અનાહારમાં સમદૃષ્ટિ હતી તેથી બોધિસત્વે એ વાત કોઈને કહી નહીં, વાત જાતે અન્ય કારણથી ઉઘાડી પડી ત્યાં સુધી અપવાસ થયા, રોષ કે તર્ક તેમણે કર્યા નહી, અને શરીર કૃશ થયું પણ જાતે સુપ્રસન્ન જ રહ્યા, મધુરી ! અપરમાતાના રાજ્યમાં ઈશ્વરકૃપાથી હું આવી પ્રસન્નતા રાખી શક્યો ને રોષમાં સમજ્યો નહીં. મ્હારા હૃદયનું મ્હારું પૃથક્‌કરણ ભુલ ભરેલું હશે – પણ સત્ય માનજો કે હું હજી એમ જાણું છું કે હું પિતા ઉપર રોષ કરી ત્યાગી નથી થયો. મને કોઈની અપ્રીતિ તપ્ત કરતી નથી. હું તો તેમના ઉપરની પ્રીતિને લીધે તેમનું દુઃખ જોઈ તપ્ત થયો ને તેમની તપ્તિ ટાળી તૃપ્તિ આપી. તેમણે મ્હારું અપમાન કર્યું હોય તો તે આ એક વાર જ થયું અને તેનાથી તેમના અસંખ્ય પૂર્વ ઉપકાર મ્હારાથી ભુલાયા નથી. પણ શ્રદ્ધા વિનાની પૂજા, હૃદય વિનાનું આતિથેય, અને સ્નેહ વિનાની પર્યુપાસના એ સર્વ, પાણી વિનાના તળાવ પેઠે, ત્યાગ કરવા યોગ્ય છે. આવે કાળે સાધુજનોને માટે આ જ વિધિ પ્રાપ્તક્રમ છે;


  1.  मरणव्याधिदुःखार्त्ते लोभद्वेषवशीकृते ।
    दग्धे दुश्चरिते शोच्ये कः कोपं कर्त्तुमर्गति ॥​

આ જ માર્ગ પ્રસન્ન, સુગમ, સ્ફુટ, સુન્દર, અને ધર્મ્ય છે. મહાબોધિનું આ વચન છે ને તે સર્વ સાધુજનોને માન્ય છે. 

કુમુદ૦– પણ એ પ્રસંગે શું તમને દુઃખ નથી થયું ?

સર૦– દુ:ખ થયાની ના ક્‌હેવાતી નથી. પણ તે દુ:ખ મ્હારે પોતાને માટે થયું નથી. પિતાના કૃત્યમાં અધર્મ લાગ્યો, અને તેમના પોતાના અકલ્યાણકારક અધર્મમાં તેમની પ્રવૃત્તિ જોઈ તેમના ઉપરના મ્હારા પ્રીતિયોગને લીધે મને સંતાપ થયો.

કુમુદ૦- એ સંતાપમાંથી તમે શી રીતે મુક્ત થયા ?

સર૦- તેમના ચિત્તને શાંતિ થશે એ વિચારે સંતાપને શાંત કર્યો.

કુમુદ૦– કોઈ બાળક સર્પ સાથે રમવા ઇચ્છે અને સર્પને પકડતા સુધી રોયાં કરે ને શાંત થાય નહી; તે બાળકનું સર્પ પકડવાથી અકલ્યાણ થાય તો થવા દેઈ શાંત કરવું તે ધર્મ કે રેવા દેવું તે ધર્મ ?

સર૦– જે બાળક નથી અથવા પારકું બાળક હોઈને આપણો ઉપદેશ માને એમ નથી તેની ઇચ્છાવિરુદ્ધ કલ્યાણ કરવાનો ધર્મ નથી. પિતાને ઉપદેશ કરવો તેમની જિજ્ઞાસા વિના પ્રાપ્ત થતો નથી. એ તો બહુ થાય તો વિનયપૂર્વક સ્નેહપૂર્વક સૂચના પિતાને પુત્રે કરવી હોય તો તેટલો ધર્મ છે. બાકીનો પુત્રનો ધર્મ પિતાના મંદિરમાં રહી તેમનું આતિથેય કરવાનો છે; પિતાને આ યજમાન ઉપર અનાદર થાય એટલે યજમાન પુત્ર સ્નેહશૂન્ય પિતૃમન્દિરમાં ર્‌હેવાને અધિકારી નથી.


  1.  १विमध्यभावादपि हीनशोभे वायां न सत्कारविधौ स्वयं चेत् ।
    सङ्गादगत्या जडतावलाद्वा नन्वर्धचन्द्रामिनयोत्तरः स्यात् ॥
    प्राप्तकर्मोऽयं विधिरत्र तेन यास्यामि नाप्रीत्यभितप्तचित्तः ।
    एकावमनाभिहता हि सत्सु पूर्वोपकारा न समीभवन्ति ॥
    अस्निग्धभावस्तु न पर्युपास्यस्तोयार्थिना शुष्क इवोदपानः ।
    ग्रयत्नसाध्यापि ततोऽर्थासिद्धिर्यस्माभ्दवेदाकलुषा कृशा च ॥
    प्रसन्न एव त्वभिगम्यरुपः शरद्विशुद्धाम्वुमहाह्रदाभः ।
    मुखार्थिनः क्लेशपराङ्नुखस्य लोकप्रसिद्धः स्फुट एव मार्गः ॥
    जातकमाला 
  2.  २गात्रच्छेदेऽप्यक्षतक्षन्ति धीरं चित्तं तस्य प्रक्षेमाणस्य साधोः ।
    नासीद्दुःखं प्रीतियोगान्नृपं तु भ्रष्टं धर्माद्दीक्ष्य संतापमाप ॥
    जातकमाला ​

કુમુદ૦– તમે એમને શાન્તિ ઇચ્છી હશે; પણ તમારા ત્યાગથી શાન્તિને સ્થાને તેમને શોક નહી થયો હોય એમ તમે માનો છો ? એવા શોકની અવગણના કરવી અને તેમની એકાદ ભુલ મનમાં આણવી એ શું પુત્રધર્મ છે કે ક્ષમા છે?

સર૦– એમને શોકે એમના હૃદયમાં અનુતાપ કર્યો હશે, વર્તમાનપત્રોથી તેમ જણાય છે. પણ આ વાતમાં એ ધર્મનું તારતમ્ય મને જુદો માર્ગ બતાવે છે. મ્હારા દોષ વિના તેમની મ્હારા ઉપર અપ્રીતિ થઈ તેમાં મને ઇષ્ટાપત્તિ છે; કારણ પ્રીતિ દુ:ખનું કારણ થાય છે ને આ અપ્રીતિથી મ્હારા સંબંધી વાસનાઓ તેમના હૃદયમાંથી એાછી થાય ને એ મને ભુલે તેટલો હું પિતૃયજ્ઞમાંથી મુક્ત થઉં. બાકી તેમના ઉપરની મ્હારી પ્રીતિ હતી એથી વધી છે ઘટી નથી. માત્ર મ્હારા મનોરાજ્યના સૃજેલા ધર્મબંધનથી બંધાઈને હું એ પ્રીતિની વાસનાઓને શાંત કરું છું. જે કારણથી મ્હારી વાસનાઓને હું શાંત કરું છું તે જ કારણથી એમની વાસનાઓને તૃપ્ત કરવાની મ્હારી વાસનાને પણ શાંત કરું છું ને એમના શોકના અનુતાપમાંથી તેમને મુક્ત કરવાની મ્હારી વાસનાને પણ શાંત કરું છું. સંસારમાં મનાતા ધર્મ પ્રમાણે, સંસારની પ્રીતિના નય પ્રમાણે, એ શોકની અવગણના અધર્મ્ય છે, પણ સાધુજનોના અધ્યાત્મ ધર્મનો પન્થ જુદો છે ને મુંબાઈ છોડતા પ્હેલાં મ્હેં તેનો વિચાર કર્યો હતો. પિતાપુત્રાદિ સર્વ સંબંધ ભ્રમરૂપ છે, આકસ્મિક છે, અને અનિત્ય છે. મરણાદિથી એ ભ્રમ દૂર થવાનું કારણ પ્રાપ્ત થયા પછી પણ મનુષ્યો પોતાના અજ્ઞાનને લીધે એ ભ્રમમાંથી મુક્ત ન થતાં અનુતપ્ત થાય છે. અતિથિસત્કારને માટેના ધર્મમાંથી પિતાએ મુક્ત કરેલો યજમાન સાધુ પુત્ર અન્ય મહાયજ્ઞો માટે પ્રવૃત્ત થાય ત્યાં કુટુમ્બજનને થતાં અનુશેાચનને ભ્રાન્ત કે ક્ષણિક ગણી પોતાને પંથે પળવાને એ સ્વતંત્ર છે.

કુમુદ૦– આપના યજ્ઞ કરવાનું પિતાએ અપમાન કરતા સુધી સુઝ્યું ન હતું. આ યજ્ઞવિધિ પણ આજસુધી આ૫ જાણતા ન હતા. એ અપમાનાદિને તો આપે નિમિત્ત કર્યાં. એ નિમિત્ત થયાં ન હત તે આ જ્ઞાનવિચારનો પ્રયોગ આપ કરત નહી.

સુર૦- ખરી વાત છે કે ગુરુજીનો ઉપદેશ આજ જ સાંભળ્યો. પણ મ્હારી પોતાની બુદ્ધિથી જે નીતિ અને જે ધર્મ મને ઘણા કાળથી યોગ્ય લાગ્યા છે તે નીતિધર્મના વિધિઓમાં અને આ યજ્ઞકાર્યના વિધિઓમાં નામફેર વિના બીજા ફેર સ્વલ્પ છે, ને આજ યજ્ઞકથા તમે સાંભળી માટે યજ્ઞકાર્યની ભાષામાં મ્હારાં કારણ તમારી બુદ્ધિને અનુકૂળ થશે જાણી એ ​ ભાષામાં તમારી સાથે વાત કરું છું. બાકીના પ્રશ્નોના ઉત્તરમાં ક્‌હેવાનું કે સત્કાર્યમાં કંઈ ન્હાનો પ્રસંગ પણ નિમિત્તભૂત થાય તો તેનો લાભ લેવામાં ચતુર સાધુએ ચુકવું નહીં એવો ધર્મ છે. બોધિસત્ત્વ શેઠ દુકાનમાં બેઠા બેઠા કામ કરતા હતા તેના કુટુમ્બજનોમાં ભ્રાન્તિથી ગપ ચાલી કે શેઠ પ્રવ્રજિત થયા અને ગૃહિણી આદિ સર્વ જન શેઠ મુવા હોય એમ અનુતપ્ત થયાં. તે પ્રસંગથી જ સૂચના પામી શેઠ પ્રવ્રજિત થઈ વનમાં ચાલ્યા, અને શોક કરતાં કુટુમ્બજન પછી મળ્યાં તેમને મધુર અક્ષર કહી પાછાં વાળ્યાં તે વળ્યાં. આપણામાં કલ્યાણ ધર્મ છે એવી લોકમાં વાત ચાલે તો તે સત્ય કરવી યોગ્ય ગણી શેઠ ચાલ્યા ગયા. તો મ્હેં તો મ્હારે માટે યજમાનની અપ્રીતિ સ્પષ્ટ દેખી તેનું ગૃહ છોડ્યું છે.

કુમુદ૦– અનુતાપથી તપતી તેમની પ્રીતિને આપે કેવળ શુષ્ક ગણીને પ્રીતિમાત્રને મિથ્યા ગણીને પિતાનો ત્યાગ કર્યો ? જો તેમની પ્રીતિ શુષ્ક ગણી તો મ્હારી પ્રીતિ કેવી ગણી ? અને જો પ્રીતિમાત્રને મિથ્યા ગણી પિતાનો અને મ્હારો બેનો ત્યાગ કર્યો હોય તો મ્હારે માટે આટલા તપો છો કેમ અને તેમના દુ:ખનું નિવારણ કરવા મુંબાઈ જવાનું કેમ ધારતા નથી ? શું પિતાના કરતાં મને વિશેષ ગણો છો ?

સર૦- આ મનુષ્ય ન્યૂન અને આ મનુષ્ય વિશેષ એવી ગણનાઓ સંસારમાં રાગદ્વેષ પ્રમાણે થાય છે. સાધુજનો એવી ગણના સામાના ગુણ પ્રમાણથી અને પોતાના ધર્મપ્રમાણથી કરે છે. મધુરી, સ્ત્રી કરતાં માતા અધિક અથવા માતા કરતાં સ્ત્રી અધિક એવી ગણનાઓ પોતપોતાના રાગદ્વેષ પ્રમાણે અને સ્વભાવ પ્રમાણે સંસારીયો કરે છે. સત્ય જોતાં, માતા પણ અતિથિ છે અને સંસારની રીતે પરણાવેલી સ્ત્રી પણ અતિથિ છે. તે બે જણનો યજમાન પોતાના ધર્મનો ક્રમ કેવાં ધોરણે રચે છે તે ગુરુજીએ તમને સમજાવ્યું છે. સાધુઓના ધર્મના આવા ક્રમથી રામે કૌશલ્યાને દશરથ પાસે રાખ્યાં, અને સીતાને પોતાની સાથે લેવાનો નિશ્ચય કરતી વેળા “આ વાતમાં માતાપિતા સંમત


  1.  १.कल्याणधर्मेति यदा नरेन्द्र संभावनामेति मनुष्यधर्मा ।
    तस्या न हीयेत नरः सधर्मा ह्रियापि तावद्धुरमृद्धरेत्ताम् ॥
    संभावनायां गुणभावनायां सदृश्यमानो हि यथा तथा वा ।
    विशेषतो भाति यशःप्रसिद्धा स्यात त्वन्यथा शुष्क इवोदपान:॥
    जातकमाला. ​

થશે કે નહી ?” એ પ્રશ્ન પણ એમને સુઝ્યો નથી. દમ્પતીના અદ્વૈતનું આવું પરિણામ છે અને સંસારને તે ગમતું નથી તેનું કારણ એટલું જ છે કે તેના લગ્નવિધિથી સ્ત્રીપુરુષનાં શરીરને પરસ્પર-અતિથિ કરી દેવાના રૂઢ આચારે સંસારની દૃષ્ટિમર્યાદામાંથી દમ્પતીનાં શુદ્ધ રૂપનું સ્વપ્ન સરખું હાંકી ક્‌હાડ્યું છે. મધુરી ! મ્હેં પિતાના કરતાં સ્ત્રીને વધારે ગણી હત તો હું જુદો આવાસ માંડી સ્ત્રીસાથે તેમનાથી જુદો ર્‌હેત; પણ તેથી તેમને જે દુઃખ થાત તેનો પ્રતીકાર, અને તમારું તેમનું કલ્યાણ, સર્વને સાથે લાગી સાધવાનો મને જે એક જ માર્ગ સુઝ્યો તે મ્હેં લીધો. પ્રીતિને મિથ્યા ગણવી કે નહી એ તો ચંદ્રાવલીમૈયા તમને મ્હારા કરતાં વધારે સારી રીતે સમજાવશે ને તે વિષયમાં મ્હેં કંઈક બોધ એમની પાસેથી જ લીધો છે. બાકી પિતાની કે તમારી કોઈની પ્રીતિને મ્હેં શુષ્ક તો નથી જ ગણી. તમારી પ્રીતિ શુષ્ક ગણી હત તો આજ મને પરમ શમસુખ મળ્યું હત. પિતાની પ્રીતિને શુષ્ક ગણી હત તો આજ અત્યારે આપણે બે મુંબાઈનગરીનાં કોઈ મ્હેલમાં હત. તમારા ઉપરની પ્રીતિને લીધે હું અત્યારે તપું છું તે પિતા ઉપરની પ્રીતિથી નથી તપતો એમ નથી. પણ મ્હેં ઉત્પન્ન કરેલા તમારા દુઃખનું નિવારણ કરવું એ મ્હારો ધર્મ છે, અને પિતાની જ તૃપ્તિને માટે કરેલા ત્યાગનો ત્યાગ કરવો એ હવે અધર્મ છે. એ ત્યાગ તો થયો તે થયો. હાથીના દાંત બ્હાર નીકળ્યા તે નીકળ્યા.

કુમુદ૦- પિતાના તેમ મ્હારા ઉભયના દુઃખનું કારણ તમારો ત્યાગ છે તો મ્હારા દુ:ખના નિવારણમાં ધર્મ કયાંથી આવ્યો અને તેમના દુ:ખના નિવારણમાં અધર્મ કેમ આવ્યો ?

સર૦– ઉભયના દુ:ખનું કારણ મ્હારો ત્યાગ છે એ વાત ખરી નથી. તમારા દુઃખનું કારણ મ્હેં જ તમારા હૃદયમાં ઉત્પન્ન કરેલી પ્રીતિ છે. પિતાના દુઃખનું કારણ પણ મ્હારા ઉપરની તેમની પ્રીતિ જ છે, પણ એ પ્રીતિને મ્હેં ઉત્પન્ન કરેલી નથી, મ્હેં આમન્ત્રિત કરી નથી, અને એ પ્રીતિનો પ્રદીપ મને વાક્યો ક્‌હેતી વેળાએ તેમણે હોલવી નાંખ્યો તે ફરી દીવાસળીથી બળેલી વાટને મુખે પિતા હવે નવા દીવા સળગાવે તેનાં પરિણામનો પ્રતીકાર કરવો મને પ્રાપ્ત થતો નથી. જે પ્રીતિ શબરૂપ થઈ તેના પ્રેતને ચેતનરૂપ ગણી ઘરમાં વાસ આપવો ઘટતો નથી. એ પ્રેત તો પોતાને પીપળે જ વસે. 

કુમુદ૦- તમારા હૃદયમાં હજી ગુપ્ત ઉંડો રોષ છે તે તમારી પાસે આમ બોલાવે છે. તેમની પ્રીતિ કદી હોલાઈ નથી – માત્ર પવનના ઝપાટાથી ​ નીચી નમી ગઈ હતી, તે પવન જતાં ટટ્ટાર ઉભી થઈ પ્રથમના કરતાં વધારે તેજથી બળતી હશે. તેમની પ્રીતિ શબરૂપ થઈ ન હતી માત્ર મૂર્છાવશ થઈ હતી. જેવી કૃપા કરી મને આપે આ પવિત્ર ખોળામાં મ્હારી મૂર્છાકાળે જાળવી રાખી અને અત્યારે આમ ગેાષ્ઠીસુખ આપો છો, તે જ ન્યાયે તેવી જ કૃપાથી પિતાની મૂર્છાવશ પ્રીતિની આપે પળવાર સંભાવના કરી લેવી હતી. ઓ મ્હારા ચંદ્ર ! આ ખગ્રાસમાંથી મુક્ત થઈ પિતાના હૃદયાકાશને પાછું પ્રકાશિત કરો ! મ્હારું તો થયું તે થયું ! પણ જેનું મહાદુ:ખ – વૃદ્ધાવસ્થાનું દુઃખ - વિચારથી કળાય નહી અને આંખોથી જોવાય નહી એવું હશે અને જેનો ઉપાય માત્ર તમારા એકલાના જ હાથમાં છે તેને તમે તરત શાંત કરો. તેમ નહી કરો તો ગયો કાળ આવશે નહી અને દશરથરાજાની પેઠે તેમના શરીરને કોઈ મહાન્ અનર્થ થઈ જશે તો તમને અતુલ પશ્ચાત્તાપ થશે ! તે પશ્ચાત્તાપનું પ્રાયશ્ચિત્ત આપના હાથમાં નહી ર્‌હે અને આપને એક દુઃખમાં તપ્ત થતા જોઉં છું તેને બીજા દુ:ખાગ્નિની જ્વાળામાં પડેલા જોઈશ ! જો મને સુખી કરવાને ઈચ્છતા હો તો આ દુઃખ મ્હારે જોવા વેળા ન આવે એવું અત્યારથી કરો ! મ્હારા ચંદ્ર ! હું આપને બહુ સવેળા ચેતાવું છું અને પગે લાગી ખોળો પાથરી માગી લેઉં છું !

સર૦– તમે મ્હારી ભુલ ક્‌હાડી અને તે ખરી ક્‌હાડી છે મને અત્યારે કંઈક રોષ ચ્હડ્યો એટલી વાત તમે સત્ય સમજ્યાં. પણ ત્યાગકાળે તો પિતા ઉપર કે કોઈ ઉપર રોષ ન હતો. હું પિતાના મન્દિરમાં તમારી સાથે રહું તો તમને કેવાં દુઃખ થવાનાં તેનો પિતાનાં મર્મવાક્યોએ મને શુદ્ધ પ્રત્યક્ષવત્ તર્કવિચાર કરાવ્યો હતો. અને એમના ગૃહમાં રેહેવું અને તમારી સાથે લગ્ન કરવું, એ બે વાનાં સાથેલાગાં કરવાં તો તે કાળે જ વજર્ય ગણ્યાં હતાં એ અત્યારે સાંભર્યું. પણ તે નિર્ણય રોષપૂર્વક કર્યો ન હતો, વિચારપૂર્વક કર્યો હતો. પણ આજ સુધીમાં મને આજના જેવો પણ રોષ ચ્હડયો નથી, ત્યાગકાળે પણ ચ્હડ્યો નથી, અને અત્યારે ચ્હડ્યો છે તે પણ પિતા ઉપર નથી ચ્હડ્યો. માત્ર આપણા લોકતંત્રમાં વ્યાપી ગયેલી જે અવ્યવસ્થાને બળે તમારાં જેવાં પુષ્પ ધુળમાં રગદોળાય છે અને શુદ્ધ પ્રીતિતંત્રની વાડીઓ દેશમાંથી નષ્ટ થઈ છે તેનું દૃષ્ટાંત પ્રત્યક્ષ થતાં માત્ર મ્હારું ચિત્ત અત્યારે ઉકળી આવ્યું ! તમે એ અવ્યવસ્થાનાં ભોગ થઈ પડ્યાં છો, આજ સુધી જેના ઉપર મ્હારું ધ્યાન ગયું ન હતું એવી તમારી મધુરતાના રસનું હું અત્યારે પાન કરુંછું ને ​આવો મધુર જીવ- આવું મધુર શરીર – આ અવ્યવસ્થાનો ભોગ થઈ પડ્યાં છે અને હું તે પાપકર્મમાં સાધનભૂત થયો છું – એ સર્વ વિચાર મ્હારા આ ઉકળાટને બહુ વધારી મુકે છે. ત્યાગકાળે આટલી વાત પ્રત્યક્ષ હત તો હું શું કરત તે ક્‌હેવાતું નથી, પણ એટલું તો પૂર્ણ રીતે સ્મરણમાં છે કે આવો પણ રોષ તે કાળે મને ન હતો.

કમુદ૦– તો પિતાના દુઃખનું નિવારણ કરવા આપે પાછાં કેમ ન જવું તેનો શાંત વત્સલ વિચાર હવે કરો.

સર૦– જે પ્રશ્નો તમે પુછો છો તેવાજ પુછનાર મિત્ર ચન્દ્રકાન્ત ત્યાગવિચારને કાળે પાસે હતો, ને તેણે તેનો પક્ષવાદ રાત્રિના બાર વાગતા સુધી કર્યો હતો. તેના ગયા પછી આખી રાત મ્હેં શાંતિથી વિચાર કરીને ત્યાગ કર્યો છે.

કુમુદ૦– એ વિચાર શો કર્યો હતો ?

સર૦– તમે સાધુજનેામાં આવ્યાં છો ને તેમની પ્રીતિ જુવો છો; એ નિષ્કામ પ્રીતિ છે અને તે માટેજ સર્વદા પૂજનીય છે. સંસારી જનોની પ્રીતિ સકામ હોય છે માટે તેનો સત્કાર એ પ્રીતિમાંની કામનાની યોગ્યતા પ્રમાણે જ કરવાનો પ્રાપ્ત થાય છે. બે પાસની કામના હોય ત્યારે બે જણની કામનાની તૃપ્તિથી પ્રીતિનું આયુષ્ય પૂર્ણ થાય છે. એક પાસની કામના હોય ત્યારે તેની તૃપ્તિથી પ્રીતિનું આયુષ્ય પૂર્ણ થાય છે. કામના નષ્ટ, શાંત, અથવા પૂર્ણ થયા પછી આવી પ્રીતિનું તો શબ જ સમજવું. "આત્માના કામને ઉદ્દેશીને સર્વ પદાર્થ – પુત્ર, સ્ત્રી, પિતા માતા, આદિ સર્વ પદાર્થ પ્રિય થાય છે” એવી શ્રુતિ આવી પ્રીતિને માટે યથાર્થ છે. કામનાવાળા જે અતિથિની કામનાને યજમાનની અપેક્ષા ર્‌હેતી નથી તે યજમાને તે કામનાવાળા અતિથિની પોતાના ઉપરની પ્રીતિનો તે પ્રસંગ પછી પણ સત્કાર કરવો એ સંસારમાં રૂઢ છે, પણ સાધુજનોનાં ચિત્ત તેવે કાળે આ મિથ્યા પ્રીતિના પાશમાંથી છુટા થવાનો ધર્મ જુવે છે તે ધર્મ મ્હેં જોયો ને લેઈ લીધો.

કુમુદ૦- એમ છુટા થવું તેને ધર્મ શા માટે ગણો છો ? ઘરમાં રહીને પણ સર્વ ધર્મની સાધના કેમ ન થઈ શકે ? પિતાના દુઃખનું નિવારણ એ શું તમારો ધર્મ નહી ? શું મ્હારા સસરાજીએ વિકટ કારભારતંત્રમાં રહી તપ કર્યું નથી ? કે શું મ્હારાં ગુણીયલે કુટુમ્બજાળમાં રહી તપ કર્યું નથી?

સર૦- જેને જે સ્થિતિ સ્વભાવથી મળે તેણે તે સ્થિતિયોગ્ય તપ આદરવું ઉચિત છે. જેનો સ્વભાવ કામનારૂપ હોય તેણે તેને અનુકૂળ કામ કરવું, બુદ્ધિધનભાઈને કારભારની કામના તીવ્ર હતી. હું મૂળથી નિષ્કામ ​છું. તમારાં પવિત્ર જનનીને કુટુંબજાળમાં સ્થિતિ પ્રાપ્ત થઈ , અને પોતાના ગુણોત્કર્ષથી તમારા પિતા સાથે અદ્વૈતયજ્ઞમાં સહચારનો ધર્મ તેમને પ્રાપ્ત થયો અને એ યજ્ઞને પુણ્યે એમની અદ્વૈતકામના સિદ્ધ થઈ છે. મ્હારે કામના કંઈ નહી અને પિતાની પુત્રકામનાઓમાંથી એક વાર મુક્ત થઈ આજ આ સ્થિતિને હું પામ્યો તે મ્હારું સદ્ભાગ્ય જ. પિતા મ્હારા વિયોગથી અથવા પોતાના પશ્ચાત્તાપથી અત્યારે દુઃખી હશે. તેઓ દુ:ખી નહી થાય એમ મ્હેં ધાર્યું જ ન હતું. પણ જે એ દુ:ખમાંથી મુક્ત કરવા હું ઘેર રહ્યો હત તો ગુમાનબાની વૃત્તિના અનુરોધનો તેમનો ધર્મ તેમને વિશેષ દુ:ખ કરત અને અત્યારે પાછો જઉં તો તેમને તરત સુખ થાય પણ પરિણામે એનું એ દુ:ખ મ્હારા અને તેમના આયુષ્યના સમાગમપર્યંત થાય. મ્હેં તેમને આવા આયુષ્યપર્યંતના વિશેષ દુ:ખમાંથી મુક્ત કર્યા અને તેમ કરતાં તેમને આટલું અન્ય દુ:ખ થાય. તેમાં મ્હારો ઉપાય નથી. આવા પ્રસંગો સંસારના બન્ધમાંથી મુક્ત કરે છે ને ત્યાગીને ત્યાગનો અધિકાર આપે છે. વળી મ્હારા પાછાં ગયાથી તેમને સુખ થવાનું હોય તો થાય પણ ગુમાનબાને તો મ્હારા પાછા જવાથી અધિકતર દુ:ખ થવાનું તેનું કારણ હું થવા ઈચ્છતો નથી. મ્હારે જે વૈભવ જોઈતો નથી તે વૈભવવાળા ગૃહનો સ્વીકાર કરું તો ગુમાનબાને ફરી કુંફવાડા કરવા પડે ને પિતાને સાંભળવા પડે. આ શમસ્થાનનો ત્યાગ કરાવી આવા વિગ્રહ સ્થાનમાં મને મોકલવાનું તમે નહીં ઈચ્છો !” [૧] વળી એકને સુખી કરવા બીજાને અથવા બેને પણ આમ દુ:ખી કરું તો તો અધર્મ જ થાય, પરિણામનો કે ધર્મનો જે વિચાર કરું છું તેથી એ જ નિશ્ચય દૃઢ થયાં કરે છે કે મ્હારે પાછાં જવું તે અધર્મ છે; અને અધર્મમાંથી દૂર થવાને પ્રસંગે પિતાને, મને, કે તમને કે અન્યને થવાનાં લાભહાનિ જોવાનાં નથી. જ્યાં સુધી ગૃહવાસનો ધર્મ છે ત્યાંસુધી તે સ્વીકારવો, જ્યાં તે અધર્મરૂપ થાય ત્યાં તેનો ત્યાગ કરવો. પ્રવૃત્તિના પરાક્રમધર્મ ગૃહવાસસ્થિતિથી પ્રાપ્ત થાય તો તે અન્તઃશમથી પાળવાના છે, અને અન્ય સ્થિતિથી પરાક્રમશક્તિ વિરામ પામે તો દમસ્થિતિ જ પ્રાપ્ત થાય છે. ધર્મથી નિષ્કામ કર્મ કરનારને ઉભય વૃત્તિમાં શમ જ છે અને તેથી જ ધર્મમાર્ગનો પ્રશમરૂપ એક જ રસ કહેલો છે. ધર્મથી પ્રવૃત્તિની સ્થિતિવાળા જનો પોતાના માર્ગમાં જાતે આવતાં સુખનું


  1.  तद्दर्जनीयान परिवर्हयन्तं परिग्रहान विग्रहहेतुभूतान् ।क्रोधोच्छिरस्कानिव कृष्णसर्पान्युक्तोसि माम देवन संनिषेद्धुम् ॥ (જાતકમાલા)​આસ્વાદન કરે તો ભલે, પણ સુખની આશાથી ધર્મનો પરિભવ તેમણે

કરવો પડે તો તો ગૃહનો ત્યાગ જ પ્રાપ્ત થાય છે. 

કુમુદ૦– આપની મ્હારા ઉપરની પ્રીતિને લીધે મ્હારે માટે ધર્મના અત્યયથી કલંકિત થઈને પણ મ્હારું સુખ જોવા ઈચ્છો છો તો પિતા ઉપરની પ્રીતિ અધર્મથી કેમ ડરે છે? 

સર૦– હું પિતાને માટે જે કંઈ કરું છું કે નથી કરતો તેમાં પ્રીતિ અપ્રીતિ કારણભૂત નથી. તેમજ તમારે માટે જે કરવા તત્પર છું તેમાં પણ કેવળ પ્રીતિ કારણભૂત નથી. ત્યાગકાળે જે જે કામ મ્હેં કર્યાં તેમાં પણ આદિકારણ પ્રીતિ - અપ્રીતિ ન હતાં. મ્હેં જે જે કર્યું છે કે કરવું અનુચિત ધાર્યું છે તે મ્હારી ધર્મબુદ્ધિના કારણથી કર્યું કે ન કર્યું સમજવું. આપ્તજનોની પ્રીતિને મ્હારો ગૃહત્યાગ પ્રિય ન હોય એ હું સમજતો હતો. પણ તેમની પ્રીતિના શુદ્ધ સ્વભાવની મ્હેં ચિકિત્સા કરી. ગૃહનો ત્યાગ ન કરવાનું સમજાવતાં ચંદ્રકાંતે ઘણાં કઠણ વચન મને કહ્યાં હતાં. તે એના મનથી ન્યાય્ય હતાં અને મિત્રપ્રીતિના ઉદ્ગારરૂપ હતાં અને તેને સત્ય લાગેલા ધર્મરૂપ હતાં. આ વચનથી મિત્રપ્રતિની મ્હારી પ્રીતિ વધી, પણ મ્હારો ધર્મ તો મ્હારા હૃદયપાવકમાં પાવન થાય – મ્હારો પોતાનો મનઃપૂત થાય - તે જ મ્હારે પાળવાને હતો તે મ્હેં પાળ્યો. મ્હારા ગૃહત્યાગ કરતાં ગૃહવાસંમાં ચંદ્રકાંત જેવા આપ્તજનો શાથી કલ્યાણ માને છે? શું ગૃહત્યાગમાં કંઈ પાપ છે કે તેમાંથી મને નિવૃત્ત કરવા તે ઇચ્છે છે અને એ ઇચ્છા મ્હારાથી ન પુરાતાં શોક કરે છે ?કોઈ મરી ગયો હોય કે મરવાનો થયો હોય અથવા ધર્મથી ભ્રષ્ટ થયો હોય ને આપ્તજન રોવા બેસે તો તે સમજાય પણ હું જીવતે મ્હારે માટે ચંદ્રકાન્ત અને પિતા આટલું દુઃખ ધરશે એ મ્હેં જાણ્યું પણ મ્હારા મનને પુછ્‌યું કે એ દુઃખ ધરશે


  1.  यदि धर्ममुपैति नास्ति गेहमथ गेहाभिमुखः कुतोऽस्य धर्मः ।
    प्रशमैकरसो हि धर्ममार्गो गृहसिद्धिश्च पराक्रमक्रमेण ॥
    इति धर्मविरोधदूषितत्वाद्गृहवासं क इवात्मवान् भजेत ।
    परिभूय सुखाशया हि धर्मं नियमो नास्ति सुखोदयप्रसिद्धौ ॥ (જાતકમાલા)
  2.  वनाद् गृहं श्रेय इदं त्वमीषां स्वस्थेषु चित्तेषु कथं नु रुढम् ।
    यन्निर्विशङ्का वनसंश्रायान्मां पापप्रसङ्गादिव वारयन्ति ॥
    मृतो मरिष्यन्नपि वा मनुष्यश्च्युतश्च धर्मादिति रोदितव्यम् ।
    कया नु बुद्ध्या वनवासकामं मामेव जीवन्तममी रुदन्ति॥ (જાતકમાલા)​તે કેઈ બુદ્ધિથી ? આ સર્વનો મ્હેં ત્યાગકાળે વિચાર કર્યો. તેમની પોતાની

પ્રીતિ ગૃહસંસાર અને ગૃહવાસ ઉપર જેવી લાગી તેવી જ મ્હારા ઉપર પણ લાગી પણ વધારે કોના ઉપર હશે એમ મ્હેં મ્હારા મનને પુછ્યું. જો ગૃહ ઉપર તેમને વધારે પ્રીતિ હોય તો તેઓ ઘેર ર્‌હેવાને સ્વતંત્ર છે તો તેમનો મ્હારા જવાથી થવાનો અશ્રુપાત કંઈક મ્હારે માટેની પ્રીતિને લીધે હોવો જોઈએ. જે મ્હારા ઉપર ગૃહવાસ કરતાં વધારે પ્રીતિ હોય  તો મ્હારી પેઠે ત્યાગી થઈ મ્હારી સાથે આવવાની હું કોઈને ના ક્‌હેતો નથી. છતાં ન ઘર છોડવા દે ને ન છોડીને આવે તો એમ સમજવું કે તેમની પ્રીતિ મ્હારા કરતાં ગૃહ ઉપર વધારે છે, અને ઘરને કે મને કોઈને ન છોડાતાં મ્હારો, તેમનો, અને પોતાનો ત્રણેનો સમાગમ રાખવામાં તેઓ પોતાનું સુખ માને છે અને તેથી મ્હારા કલ્યાણનો વિચાર તેમને સુઝતો નથી અથવા પ્રિય થતો નથી. અથવા તે મ્હારા ગુણમાં એવી કંઈ ન્યૂનતા છે કે જેથી આવું સ્નેહી મંડળ મ્હારી સાથે ત્યાગી થવા ઇચ્છે જ નહી – મ્હારામાં જ કંઈ નિર્ગુણપણું હોવું જોઈએ. નિર્ગુણ માણસને પણ આપત્તિકાળે બે ત્રણ મિત્ર તો હોય છે તો ગુણીજનને અનેક હોય પણ તેમાંથીયે તેની સાથે ઘર છોડીને આવવા નીકળનાર એક મિત્ર પણ અતિદુર્લભ હોય તે જ ગૃહત્યાગને સ્વાભાવિક ગણ્યું. વળી વિચાર કરતાં લાગ્યું કે મ્હારામાં ગુણ હશે તો કોઈ મિત્ર સ્નેહના બળથી પાછળ જાતે આકર્ષાશે, સ્નેહના ને મ્હારામાં ગુણ નહી હોય ને સાથે નહી આવે તો તેનો દોષ ગણવાનું કારણ નથી. જો મ્હારામાં ગુણ છતાં સાથે કોઈ ન આવે તો એમ સમજવું યોગ્ય લાગ્યું કે રોતાં કકળતાં આપ્તજન એક પાસ ગૃહવાસનાથી આકર્ષાય છે ને બીજી પાસથી મ્હારા ઉપરની પ્રીતિથી આકર્ષાય છે, આને બળે રુવે છે ને તેને બળે મ્હારા જેવો ત્યાગ કરવાનું તેમને સુઝતું નથી. જો તેમને તેમ સુઝશે તો મ્હારે ફરી વિચારવાનું કારણ થશે – જો નહી સુઝે તો તેઓ સંસારનાં સુખદુ:ખથી પ્રારબ્ધ પ્રમાણે આકર્ષાશે ને મરણકાળને બદલે અત્યારથી જ હું ગૃહવાસના બંધનમાંથી – કુટુમ્બ -


  1.  मद्विप्रयोगस्त्वथ शोकहेतुर्मया समं किं न वने वसन्ति ।
    गेहानि चेत्कान्ततराणि मत्तः कोन्वादरो बाष्पपरिव्ययेन॥ जातकमाला.
  2.  ममैव वा निर्गुंणभाव एष नानुव्रजन्त्यद्य वनाय यन्माम्।
    गुणावबद्धानि हि मानसानि कस्यास्ति विश्लेषयितुं प्रभुत्वम्॥ जातकमाला.
  3.  द्वित्राणि मित्राणि भवन्त्यवश्यमापद्गतस्यापि सुनिर्गुणस्य।
    सहाय एकोऽप्यतिदुर्लभस्तु गुणोदितस्यापि वनप्रयाणे॥ जातकमाला.​-અતિથિયોના યજમાન ધર્મમાંથી – અને તેની સાથે પ્રીતિયોગથી – છુટી

એકલો ભમીશ એવો સંકલ્પ કર્યો. મ્હારા ત્યાગથી ખિન્ન થનારનો ખેદ આવા માર્ગથી ઓછો થવો ન થવો તે તેમના હાથમાં ગણ્યું અને પોતાના હાથમાંનું ... ... ફળ તેમણે ... ... ખાવું કે ન ખાવું તે તેમના પોતાના અધિકારની વાત ગણી, તેમની પ્રીતિની તૃપ્તિ કે તપ્તિ કરવામાં મ્હારા કરતાં તેમનો પોતાનો અધિકાર શ્રેષ્ઠ અને ઉચિત ગણી, મ્હેં નિર્ણય કર્યો કે તેઓ, મ્હારું માન તેમના પોતાના સમાન ગણી, શોકનું જે ઐાષધ તેમના પોતાના હાથમાં હું દેખું છું તે છતાં તેનો સ્વીકાર કરતા નથી તો તેમની પ્રીતિને, તેમના શોકને, અને એ શોકથી તેમને જે ઇષ્ટાનિષ્ટ સુખદુ:ખરૂપ ફલ થાય તેમને, નટ લોકના ખેલ જેવાં, મોહમય આવરણ જેવાં, અને જાગતાં છતાં ઉંઘું છું ક્‌હેનાર બાળકની શઠતા જેવાં, અ બુદ્ધ અને પામર ગણી , તેની તૃપ્તિ મ્હારા યજ્ઞોમાં અવિધેય ગણી, મ્હેં આ શરીરનાં સર્વ સંબંધીયોને, લક્ષ્મીને, અને ગૃહનો પરમધર્મરૂપ ત્યાગ કર્યો, અને કર્યો તે કર્યો. મ્હેં પ્રીતિઅપ્રીતિથી કાંઈ કર્યું નથી.

કુમુદ૦– સર્વની પ્રીતિની એવી ગણના કરી તો મ્હારી પ્રીતિની જુદી ગણના કેમ ના કરી ?

સર૦– મ્હેં તમને કહ્યું કે પ્રીતિને બળે કોઈ મ્હારી પાછળ નીકળવાનો વિચાર કરે તો જ તેની પ્રીતિને મ્હારી પાસે મ્હારા ત્યાગનો વિચાર કરાવવા જેવી મ્હેં ગણી હતી. તમે જાતે સ્વતંત્ર ન હતાં, તમારું પ્રારબ્ધ તમારાં માતાપિતાના હાથમાં દીઠું, તેમણે મને લક્ષ્મીમાન્ પિતાનો ગૃહસ્થ પુત્ર ગણી તમારું વાગ્દાન કર્યું હોવું જોઈએ એમ હું ધાર્યું,


  1.  दृष्टावदानो व्यसनोदयेषु बाष्पोद्गमान्मूर्त इवोपलब्ध।
    संरूढमूलोऽपि सुहृत्स्वभावः शाठ्यं प्रयात्यत्र विनानुवृत्त्या॥
    निवारणार्थानि सगद्गदानि वाक्यानि साश्रूणि च लोचनानि।
    प्रणामलोलानि शिरांसि चैषां मानं समानस्य यथा करोति॥
    स्नेहस्तथैवार्हति कर्तुमेषां श्लाध्यामनुप्रव्रजनेऽपि बुद्धिम्।
    मा भून्नटानामिव वृत्तमेतद् व्रीडाकरं सज्जनमानसानाम्॥
    परत्र चैवेह च दुःखहेतून्कामान्विहातुं न समुत्सहन्ते।
    तपोवनं तद्विपरीतमेते त्यजन्ति मां चाद्य धिगस्तु मोहम्॥
    यैर्विप्रलब्धाः सुहृदो ममैते न यान्ति शान्तिं निखिलाश्च लोकाः।
    तपोवनोपार्जितसत्प्रभावस्तानेव दोषान्प्रसभं निहन्मि॥
    जातकमाला।​અને તેમણે પ્રિય ગણેલાં મ્હારાં ગૃહ અને લક્ષ્મીનો મ્હેં ત્યાગ કર્યા પછી

મ્હારો સંબંધ તેમને અપ્રિય લાગશે માટે તેમને તેમના વાગ્દાનના ઋણમાંથી મુક્ત કરવાના નિશ્ચયથી મ્હેં તેમને અને તમને પત્ર લખ્યા હતા.

કુમુદ૦– તમે એમના ઉચ્ચગ્રાહને બહુ પામર ગણ્યો.

સર૦- તમારો તેમણે તરત જ અન્ય સ્થાને વિવાહ કર્યો તેથી મ્હારી ગણના ખરી પડી.

કુમુદ૦– સંસારની રૂઢિપ્રમાણે તેમણે મ્હારું બગડેલું પ્રારબ્ધ સુધારવા વિચાર કરી આમ કર્યું. બીજું શું કરે?

સર૦– તેમણે કર્યું તે અયોગ્ય કર્યું એમ હું ક્‌હેતો જ નથી. મ્હારે ક્‌હેવાનું તો માત્ર એટલું જ છે કે બીજાં આમ જનની પ્રીતિના જેવી જ એમની પ્રીતિની ગણના કરવામાં મ્હેં ચુક ખાધી નથી તે આથી સિદ્ધ થયું. તેમની પ્રીતિ જુદી જાતની હતી અને મ્હારી દરિદ્ર અને ભટકતી દશામાં પણ તમારી પ્રીતિને યોગ્ય તેઓ મને ગણતાં હત તો તેમણે કોઈ બીજો જ માર્ગ લીધો હત. 

કુમુદ૦– તે તેમને સુઝયું નહીં.

સર૦– યથાર્થ છે. સામાન્ય સંબંધીઓનાથી જુદા માર્ગે ક્યારે સુઝે કે જોનારને આપણા ઉપર નિષ્કામ પ્રીતિ હોય તો જ. સર્વ મનુષ્યને બબે લોચન હોય છે, પણ આવી પ્રીતિથી વળી ત્રીજું અતિવચનીય લોચન પ્રકટ થાય છે અને નવી દૃષ્ટિ આપી નવા માર્ગ સુઝાડે છે, તમારાં વચનો અને તમારી અવસ્થાનો વિચાર કરતાં તમને એ ત્રીજું લોચન હોય એવું મને પ્રથમ પળે સુઝયું નહી, પણ પાછળથી વિચાર થયો કે રખેને તમને એ ત્રીજું લોચન હોય ! એ વિચારને બળે, એ શંકાને બળે, મ્હારું હૃદય વલોવાવા લાગ્યું અને તેમાંથી હું માખણ ક્‌હાડું ત્યાર પહેલાં તો તમારા પ્રારબ્ધે તમારા શરીરને હોમી દીધું ને મ્હારા વલાણાને નકામું કરી દીધું ! તમને સુખમાં અને સંતોષમાં જોઉં તો મ્હારા હૃદયનું નિષ્ફળ મન્થન બંધ પડે અને હું મ્હારા ત્યાગથી મળવા ધારેલો શમ પામું એ સ્વાર્થી ધારણાથી હું સુવર્ણપુરમાં આવ્યો. સુવર્ણપુરને અનુભવે સિદ્ધ કર્યું કે મ્હારો ધર્મ શાંત સંન્યસનનો નથી પણ વ્યર્થ સંન્યાસની વિડમ્બનામાં ભ્રમણ કરવાનો છે. તમારું દુ:ખ મ્હારાથી જોવાયું પણ નહી ને અટકાવાયું પણ નહી. પશ્ચિમ બુદ્ધિથી સુઝેલું મ્હારું શાણપણ તમને આપવાની પ્રવૃત્તિ કરી અને મ્હારાથી ન ભુલાતી વાત તમે ભૂલી જાવ એવો માત્ર શઠતાથી ભરેલો ઉપદેશ તમને ​આપવાનું હાથમાં હતું તે આપીને હું ત્યાંથી નીકળ્યો ને અંહી આવ્યો. અત્યન્ત દુઃખને બળે અને શુદ્ધ પ્રીતિની જ્વાળાએ તમારું ગુપ્ત રહેલું ત્રીજું લોચન ઉઘાડ્યું અને તમે અંહી આવ્યાં ! કુમુદસુન્દરી ! તમારા ત્રીજા લોચનની જ્વાળાએ આજ મ્હારું પણ ત્રીજું લોચન ઉઘાડયું છે અને તમારા હૃદયમાં તો શું પણ તમારા શરીરમાં યે હું જુદી જ મોહક સુન્દરતા દેખું છું અને એ લેાચન હજી શું શું કરાવશે તે સમજાતું નથી. તમારે માટે ધર્મનો અત્યય કરવા હું તત્પર નથી – તમારો પક્ષપાત હું કરતો નથી – એ ધર્માત્યયની અને એ પક્ષપાતની સર્વ વૃત્તિનો અને શક્તિનો સૂત્રધાર તે આ ત્રીજું લોચન જ છે. આ લોચનના પ્રકાશ તમારી અને મ્હારી પાસે નવાં સ્વપ્ન ઉભાં કરાવે છે અને નવા અભિલાષ ઉભા કરે છે.

કુમુદ૦– એક વારના સાહસનું પરિણામ પામનારે બીજું સાહસ આરંભતા પ્હેલાં વિચાર કરવો જોઈએ. તમે ક્‌હો છો કે તમારી અનુવૃત્તિ કરી હું તમારી પાછળ આવી શકી હત તો તમે જુદો વિચાર કરત. તમે શું કરત ? ગૃહત્યાગ પડતો મુકત ? એ વેળા આ વીશે શો વિચાર કર્યો હતો ? હવેના આજના મ્હારા અનુભવ પછી મ્હારું ભાગ્ય કેવે માર્ગે લેવાનો અભિલાષ રાખો છો ? સર્વ પ્રશ્નો પુછયા પણ આ બે પ્રશ્નો પુછતાં મ્હારું હૃદય કંપે છે. સરસ્વતીચંદ્ર ! તમે મ્હારામાં એવો શો દોષ દીઠો હતો કે તમે જાતે મ્હારામાં ઊત્પન્ન કરેલી પ્રીતિની પરીક્ષા કરવાનું આમ બાકી ગણ્યું ? મ્હારા પિતાની વાત ગમે તે હો, પણ હું તો મુગ્ધ હતી, તમારાથી કાચે તાંતણે બંધાઈ હતી, મ્હારું હૃદય તમારામાં પરોવાયું હતું – વણાઈ ગયું હતું ! મ્હારી ચિન્તા તમારે જાતે કરવાની ન હતી? તમે તે ચિન્તા તે કાળે કેવી કરી અને અત્યારે કેવી કરો છો ? નકી, હવે તો મ્હારી પરીક્ષા સંપૂર્ણ થઈ હશે ? હું કેવી રીતે પાસ નપાસ થઈ છું તે કહી દ્યો – થોડા શબ્દોમાં રપષ્ટ વચન કહી દેજો – તમારા હૃદય ઉપર એક પાતળો સરખો પણ પડદો હવે ન રાખશો. હવે રાખશો તો કુમુદની ત્રીજી આંખ એનો પોતાનો જ પ્રલય કરશે તે નિશ્ચિત જાણજો. ઓ મ્હારા વ્હાલા ! આવું આવું સુન્દર વાંચેલું ને વિચારેલું તેનો આવો ક્રૂર પ્રયોગ આમ મ્હારા ઉપર જ કર્યો ?

આ બોલતાં કુમુદની આંખો આંસુથી છલકાતી હતી.

સર૦– હું એ સર્વ વાતમાં મ્હારો અપરાધ સંપૂર્ણ રીતે સ્વીકારું છું. મ્હારી મૂર્ખતા અને મ્હારો દોષ તમને વસતો ન હતો ત્યાં સુધી મ્હારું ​પ્રાયશ્ચિત્ત ન હતું. હું કેવો દુષ્ટ છું તે તમે આજ સમજ્યાં. અને હવે હું તમારી પાસેથી ક્ષમાનો કંઈ અધિકારી થયો હઉં તો તે મને આપજો ને ન થયો હઉં તો ગમે તે માર્ગે પણ મ્હારાથી તમારા અત્યંત દુઃખી મનને સુખ પ્રાપ્ત થશે તો તે જ આ દુઃખી જીવને શાંતિ આપશે.

કુમુદ૦– સરસ્વતીચંદ્ર ! આ દીનતા છોડીને મ્હારી જિજ્ઞાસા તૃપ્ત કરશો તો મને હજી તમારામાં એટલે સુધી વિશ્વાસ છે કે મ્હારી અને તમારી ઉભયની શાન્તિ અને તૃપ્તિ સાથે લાગી થશે. સંસાર દુષ્ટ છે તેમાં પડેલાં નિર્મળ પાણી મેલાં થાય છે. વિદ્યા રસાયણ જેવી છે તે વાપરતાં આવડે તો ગમે તેવા પાણીને નિર્મળ કરે અને ન આવડે તો તેમાં પ્રાણઘાતક રસ પણ ભરે. જ્ઞાન તો અગ્નિના જેવું છે ને તેના પર પડેલાં નિર્મળ અને મલિન ઉભય પાણી ઉડી જાય છે. નિષ્કામ અને ઉચ્ચ રસની પ્રીતિ એકલી જ પાણીમાં નિર્મળી[૧] પેઠે ગમે તે હૃદયમાં પડતાં વાર એ હૃદયને નિર્મળ કરી નાંખે છે અને તેને પીવા જેવું કરે છે. મ્હારા ચંદ્રની વિદ્યાએ મને ઠગી – અને એ વિદ્યાએ આપણો આવો વિયોગ કરાવ્યો. કુમુદ હવે એ વિદ્યાનો વિશ્વાસ નહી કરે. તમારી વિદ્યાને સ્થાને પરમ જ્ઞાન તમને પ્રાપ્ત થયું હોય અને આ ભગવી કન્થાએ તમારા પિતાના અભિલાષ સર્વથા નષ્ટ જ કર્યા હોય તો તે જ જ્ઞાન વડે મ્હારા પણ સર્વ વિકારનો નાશ કરી દ્યો. પણ તમે કેવળ જ્ઞાની નથી, તમારી પ્રીતિ જ્ઞાનનાથી છુટી પડી ગઈ નથી, ને તમે તમારી પ્રીતિને ઓળખતા નથી એટલી હું તેને ઓળખું છું – એ પ્રીતિમાં જ મ્હારી આશા છે ને તે તમારી પાસે ઉત્તમ ઉત્તર જ અપાવશે."

સર૦- એ તો જે કરે તે ખરું. ચંદ્રનો ન્યાય કુમુદના હાથમાં નથી પણ એના હૃદયમાં જ છે. તમે મને બે પ્રશ્ન પુછયા – નહીં વારુ ? એક તો એ કે ત્યાગકાળે મ્હેં તમારો શો વિચાર કર્યો અને બીજે એ કે અત્યારે શો વિચાર કરું છું.

કુમુદ૦- એ જ.

સરસ્વતીચંદ્રે નિ:શ્વાસ મુકી વાર્તા ચલાવી.

“મુંબાઈમાં તો એટલો જ વિચાર કર્યો હતો કે રત્નનગરી જવું અને અજ્ઞાતરૂપે તમારા મનની ઇચ્છા જાણી લેવી.”

કુમુદ૦- જાણીને શું કરવું હતું ?


  1.  ૧.આ પદાર્થ મેલા પાણીમાં નાંખ્યાથી મેલ નીચે બેસે છે ને નિર્મળ પીવા જેવું પાણી ઉપર તરે છે. ​

સર૦– તમારી પ્રીતિ પ્રજ્વલિત હોય તો તમારી પાસે છતાં થઈ તમાંરા પિતાને મળવું ધાર્યું હતું. એ તમારા વિવાહને અનુકૂળ થાત તો સીતાને લઈ રામ ગયા ને દમયન્તીને લેઈ નળ ગયો હતો તેમ હું તમને સાથે લઈ જાત. તમારા પિતા તમને અનુકૂળ ન થયા હત તો તમારું પ્રારબ્ધ નક્કી કરવા તમે સમર્થ થાત ત્યાં સુધી હું મ્હારી ઇષ્ટ યાત્રામાં મગ્ન ર્‌હેત અને સમયપરિપાક થતાં તમને મ્હારી સાથે લેવા આવત. તેમ ન થયું. સમુદ્રમાર્ગે રત્નગરી આવતાં પ્રતિકૂળ પવનને લીધે દિવસ વીતી ગયા. ત્યાં આવ્યો ત્યારે તે તમે સુવર્ણપુર ગયાં હતાં તે પછીનો ઈતિહાસ તમે જાણો છો.

કુમુદ૦- હા...શ ! આજ મ્હારા હૃદયનું મહાશલ્ય દૂર થયું. મને હાનિ કરનાર તમે ન નીવડ્યા – વિધાતા નીવડ્યો. મ્હેં બે કટાક્ષનાં વચન કહ્યાં તે હવે ઉતાવળ કરી લાગે છે. આજ મને સિદ્ધ થયું જણાયું કે તમારી પ્રીતિમાં ધર્મ રહેલો છે ને તમારા ધર્મમાં આ રંક જાત ઉપર પ્રીતિ રહેલી છે. મ્હેં તમને વગર તપાસે મ્હેણું દીધું. મને પ્રથમથી આ કેમ કહ્યું નહી કે તમને એ વચન કહી દુ:ખી કરવાના પાપમાંથી હું ઉગરત? વારુ, ત્યારે મને લખેલા પત્ર કે શ્લોકમાં તો તે કંઈ ન હતું.

સર૦- ના, ન હતું. એ પત્ર તો તમને મ્હારા ભણીના ઋણમાંથી મુકત કરવા લખ્યો હતો; પણ રજનિ વાટ જુવે તો ફરતો ફરતો બીજે દિવસે ચન્દ્ર પણ આવી પ્હોચે એટલી બારી તમારી આશાને માટે મ્હારા શ્લોકની અન્યોક્તિમાં ધ્વનિત હતી.

કુમુદ૦- હા ! મ્હારામાં જ એટલી જડતા કે તે ધ્વનિ મ્હારીપાસે બ્હેરા આગળના ગાયન જેવો રહ્યો ! મ્હારું ભાગ્ય જ ટુકું.

કુમુદે કપાળે આંગળી અરકાડી.

સર૦- હવે આ સ્થાનમાં આ સમાગમ થવાનો પ્રસંગ આવતાં તમારે માટે બે ત્રણ વિચાર મ્હેં કર્યા છે ને બાકીના તમારે કરવાના રાખ્યા છે.

કુમુદ૦– કે -

સર૦– બ્રહ્મચર્ય અને ચતુર્થાશ્રમ તો એકલી સ્થિતિને માટે છે. ગૃહસ્થાશ્રમમાં દમ્પતી ગૃહમાં રહે છે તો વાનપ્રસ્થમાં વનમાં રહે છે. ગૃહસ્થાશ્રમમાં તે સુખને માટે પ્રયત્ન કરે છે તો વાનપ્રસ્થમાં કલ્યાણને માટે પ્રયત્ન કરે છે. ગૃહસ્થાશ્રમના વ્યાપારો અપ્રયત્ને જેટલું કલ્યાણ થાય તેટલું થવા દેછે ને તેને માટે પ્રયત્નનો અવકાશ મળતો નથી. વાનપ્રસ્થમાં સુખાર્થને માટે તિરસ્કાર નથી તો પ્રયત્ન પણ કરવામાં આવતો ​નથી. અધર્મ અને પાપ તો ઉભયમાં વર્જ્ય છે. આવું વાનપ્રસ્થ આપણે માટે વિહિત છે. તેના ત્રણ પ્રકાર થાય છે. ત્રણેમાં પ્રીતિના અદ્વૈત યજ્ઞ સધાય છે. પ્રથમ પ્રકારમાં તારામૈત્રક યજ્ઞ સધાય છે. ચુડુબેધી અને તેની સ્ત્રી વનમાં પ્રવ્રજિત સ્થિતિમાં ર્‌હેતાં હતાં અને એકબીજાની દૃષ્ટિ આગળ પ્રત્યક્ષ રહી સ્ત્રી સ્વામીની પરિચર્યા કરતી હતી અને સ્વામી સ્ત્રીને ઉપદેશ કરતો હતો. દમ્પતીની આવી અસ્પર્શ દૃષ્ટિસેવાનાં જડ દૃષ્ટાંત ચંદ્ર અને કુમુદનાં, ને સૂર્ય અને કમળનાં, છે. એ દૃષ્ટિસેવાનાં આયુષ્યમાં દમ્પતીની વેદીઓ સમીપ અને પ્રત્યક્ષ ર્‌હે છે અને સૂક્ષ્મ શરીરરૂપ પશુનો સંયોગ ર્‌હે છે અને તેમના યાગવિધિમાં સર્વથા સર્વદા અદ્વૈત પામેલા પશુનાં અર્દ્ધાંગ પ્રત્યક્ષ સમાગમથી યજ્ઞ કરે છે. એથી વધારે સમાગમ વાનપ્રસ્થ દમ્પતી એકાગ્નિ યજ્ઞમાં રાખે છે. રામ અને સીતાએ ને વિશ્વતર અને તેની સ્ત્રીએ આવા યજ્ઞના એકાગ્નિ, વેદીઓનું અદ્વૈત રાખી, રાખ્યા હતા. ત્રીજી સ્થિતિ પરોક્ષ વેદીની છે. એ સ્થિતિ વિહારપુરી ને ચંદ્રાવલીમૈયા પાળે છે તે એ જ સ્થિતિ દ્રોપદીએ વૈરાટરાજાના નગરમાં સૈરંધ્રિરૂપે પાળી હતી. એમાં આત્માગ્નિનું અદ્વૈત ર્‌હે છે ને ક્રિયાગ્નિની જ્વાલાઓ એક દિશામાં બળે છે પણ તેમની વેદીઓ પરસ્પરથી પરોક્ષ રહે છે. આ ત્રણ માર્ગ મને સુઝે છે. એથી ચોથો તમને સુઝે તે.

કુમુદ૦– એમાંથી કીયા માર્ગમાં, અધર્મનું ભય ? તમે સર્વ વાતમાં ધર્મવિચાર કરો છો તો ધર્મના અત્યયની ભીતિ ન રાખવાની શાથી ધારી? સર્વમાંથી કલ્યાણનો માર્ગ કીયો? તમે જેને એકાગ્નિયજ્ઞ ક્‌હો છો તેમાં શું અધર્મની ભીતિ નથી ?

સર૦– લોકવ્યવસ્થા જેથી ઉત્તમ થાય અને આત્મસિદ્ધિમાં વિઘ્ન ન આવે એવાં બન્ધનથી સર્વ સાધુજનો જાતે બંધાય છે અને એ બન્ધન તે એમના ધર્મ અને એવાં બન્ધનનો ત્યાગ તે અધર્મ. સંસારીજનો


  1.  १. स तयाऽनुगम्यमानश्चक्रवाक इव चक्रवाक्या ग्रामनगरनिगमाननुविचरन्कदाचित्कृतभक्तकृत्यः कस्मिंश्चित्प्रविविक्ते श्रिमति नानातरुगहनोपशोभिते घनप्रच्छाये कृतोपकार इव क्वचित्क्वचिद्दिनकरकिरणचन्द्रकैर्नानुकुसुमरजोऽवकीर्णधरणीतले शुचौ वनोद्देशे ध्यानविधिमनुष्ठाय सायान्हसमये व्युत्थाय समाधेः पांसुकूलानि सिव्यति स्म॥ सापि प्रव्रजिता तस्यैव नातीदूरे वृक्षमूलमुपशोभयमाना देवतेव स्वेन वपुषः प्रभावेण विराजमाना तदुपदिष्टेन मनस्कारविधिना ध्यायति स्म॥
  2.  ૧. જાતકમાલા.​રાગદ્વેષથી અને અજ્ઞાનથી પોતાનો શુદ્ધ ધર્મ જાણી શકતા નથી, માટે

તેમને માટે શાસ્ત્રાદિની આજ્ઞા અને વ્યવસ્થા છે. સાધુઓ પોતાના ધર્મ અધર્મ જાતે જોઈ શકે છે અને તેથીજ તેઓને મન:પૂત કરેલા કાર્યને ધર્મરૂપ ગણવાનો અધિકાર છે. કુમુદસુંદરી ! મધુરી ! સાધુજનો જેને અધર્મ ગણે છે એવો અધર્મ તો મ્હારા બતાવેલા એક પણ માર્ગમાં નથી. સંસાર જેને અધર્મ ગણે છે તેનું ભય એકાગ્નિયજ્ઞમાં છે. જે કારણથી હું લોકાપવાદની અવગણના કરવી ધર્મ ગણું છું તે જ કારણથી સંસારના માનેલા આ અધર્મની ઉપેક્ષા કરું છું. સંસાર છોડે તેને સંસારની વ્યવસ્થાના ધર્મ પાળવાની આવશ્યકતા નથી. તેમના ધર્મ તો નિષ્કામ અને મનઃપૂત માર્ગ ઉપર યાત્રા કરવામાં જ સમાપ્ત થાય છે.

કુમુદ૦– કામાદિ વિકારોને અવકાશ આપવો એ નિષ્કામતા કેમ ક્‌હેવાય ? એ તો વાંઝણીને પુત્ર છે કહીએ ને કામને નિષ્કામ કહીયે તો બે વાત એકજ જાતની થઈ ગણવી.

સર૦– યજ્ઞાર્થ વેદીનું પોષણ અને તર્પણ ઉભય આવશ્યક છે. અન્ય તાપથી તપ્ત ન હોય તો જ વેદી યજ્ઞાગ્નિના તાપને વ્હેવાને માટે સમર્થ થાય છે. જો અંતરાત્માની સૂક્ષ્મ ગતિથી ત્રસરેણુકજીવન બંધાય જ તો તેની વેદીઓ અન્યતાપથી અતૃપ્ત હોય તો જ યજ્ઞાગ્નિને માટે સમર્થ થાય છે. જઠરાગ્નિની શાંતિથી જેમ એકાંગ વેદી પુષ્ટ થાય છે, તેમ કામાગ્નિની શાન્તિથી ત્રસરેણુક વેદી તૃપ્ત થાય છે. કોઈ ધર્મકાર્યને માટે આ તાપને નષ્ટ કરવા આવશ્યક હોય તો સાધુજનો ક્ષુધાસહનને અને બ્રહ્મચર્યને પોતાના ધર્મરૂપ ગણે છે અને તેવે સમયે પણ જે ઇન્દ્રિયગ્રામને વશ નથી રાખી શકતાં તે પામર અને કામકામી ગણાય છે. સાધુજનોના યજ્ઞવિધિને માટે ત્રસરેણુક જીવનને જે સમર્થ વેદી જોઈએ તે વેદીને કામાદિના પરાજયના ક્‌લેશમાં નાંખવાથી નિર્બળ કરવામાં આવે ને તેથી યજ્ઞમાં ન્યૂનતા આવે તો સાધુઓ તેને એક પ્રકારની શમવિડમ્બનાના રૂપનો અધર્મ ગણે છે ને એવો અધર્મી ત્યાગી કામદ્વેષી ગણાય છે. માટે જે કામની તૃપ્તિમાં કામને કામ પણ નથી અને દ્વેષ પણ નથી તે કામને નિષ્કામ કહેલ છે ને તેને યોગ સાધુજન વિના બીજાનાં હૃદયને થવો અશ્કય છે. મધુરી ! મ્હેં જે માર્ગ દર્શાવેલા છે તે સર્વ માર્ગ સાધુજનોના સૂક્ષ્મ સનાતન ધર્મની દૃષ્ટિવડે પાવન કરેલા છે, અને તમને તેમાંથી જે પવિત્ર લાગે તે સ્વીકારવા અધિકારી છો. ​ કુમુદ૦– જે ક્‌લેશને શમવિડમ્બના ક્‌હો છો તેનું શું આપે જાણી જોઈને સહન નથી કર્યું ? જો કર્યું છે તો તે ધર્મ ધારીને કે અધર્મ ધારીને કર્યું છે ? તેમાં ધર્મ હોય તો કીયો છે? 

સર૦– એ ક્‌લેશ મ્હેં અનુભવ્યો છે ને જાણી જોઈને ધર્મ ગણીને વેઠેલો છે. મારા યજ્ઞને તે ક્‌લેશ પ્રતિકૂળ નથી પણ એ ક્‌લેશનો અનારંભ પ્રતિકૂળ છે, અને માટેજ એ ક્‌લેશ મ્હારે ધર્મરૂપ છે.

કુમદ૦– એ છેલી કહી તે પ્રતિકૂળતા કેઈ પાસની છે?

સર૦– શુદ્ધ અપ્રતિહત દમ્પતીધર્મમાં પણ કામાદિનો એકને આદર હોય ને બીજાને અનાદર હોય તો તેની તૃપ્તિ આદરવાળા અંગે શોધવી અધર્મ છે; અને આદરવાળાના આદરને અનાદ્દત જન પ્રતિકૂળ થાય તો તે એ અનાદરવાળા અંગનો અધર્મ છે.

કુમુદ૦– ધર્મ બેનો એક હોય, એકનો ધર્મ તે બીજાનો અધર્મ કેવી રીતે થાય?

સર૦– દરિદ્ર યજમાનને ઘેર પૂજ્ય અતિથિ આવે ત્યારે દરિદ્રતા છતાં યજમાન આદર કરે તે જ તેનો ધર્મ, અને એ દરિદ્રતામાં ઉમેરો થવા દેઈ અતિથિ એ આદરનો સ્વીકાર કરે તો તે એ અતિથિનો અધર્મ.

કુમુદ૦- એક પાસ આદર અને બીજી પાસ અનાદર હોય તો રસભંગ તો થાય જ, પણ દયાળુ યજમાનનો ધર્મ તે અતિથિનો અધર્મ સંભવી શકે એવી સૂક્ષ્મ વ્યવસ્થાનો પ્રસંગ આજ જ જાણ્યો.

સર૦– રસભંગ થાય તે જડતાથી અને ધર્મભંગ થાય તે દુષ્ટતાથી.

કુમુદ૦- સત્ય છે. આપ શુદ્ધ ધર્મ ને શ્રેષ્ઠ રસના માર્ગના પ્રાજ્ઞ છો. મારું હૃદય આજ અપૂર્વ શાન્તિ અનુભવે છે અને મ્હારી વાસનામાત્ર તૃપ્ત થઈ લાગે છે. હવે માત્ર મ્હારો ધર્મ શો તે વિચારવાનો ધર્મ પણ આપે મ્હારે શિર મુક્યો તેટલું બાકી.

સર૦- હૃદય હૃદયની દૃષ્ટિ ભિન્ન હોય છે, શક્તિ ભિન્ન હોય છે, અને પોતપોતાની દૃષ્ટિનું ને વૃત્તિનું સંવેદન તો સર્વ જાતે જ કરી શકે છે માટે આ વ્યવસ્થા તમને દર્શાવી છે.


  1.  १.अनातुरोत्कण्ठितयो: प्रसिध्यता समागमेनापि रतिर्न मां प्रति ॥ કાલિદાસ.
  2.  ર. 'સંવેદન' શબ્દમાં intuitive perception તેમ instinctive impulse એ બે અર્થના ધ્વનિ છે. ​

કુમુદ૦– સૂક્ષ્મ પ્રીતિના અદ્વૈતમાં દૃષ્ટિનાં તેમ શક્તિનાં સંવેદન પણ અદ્વૈત પામે છે. 

સર૦– એ પ્રીતિની પરિપાકદશાનું ફળ થાય છે.

કુમુદ૦- હું એ દશાની વાટ જોઈશ.

સર૦– તમે તે જોવા અધિકારી છો.

કુમુદ૦– આપણી પ્રીતિનાં આદિકાળમાં આપે જે વચનામૃત મ્હારા હૃદયમાં મ્હારાથી જીરવાય એવું કરી રેડ્યું હતું તે જ વચનામૃતના અનુભવનું અત્યારે આસ્વાદન કરું છું. પ્રિય ચન્દ્ર ! તમે જે રસધર્મ સમજાવ્યા તેના દાનથી તમારા મનની ને તેના ગ્રહણથી મ્હારા મનની શાન્તિ અને તૃપ્તિ દેખાય છે તે તે વચનામૃતના અનુભવનો સ્વાદ આપે છે.

સર૦– કીયું તે વચન ?

કુમુદ૦- તે કહું - “Our feet now, overy palm,“ Are sandalled with calm,"And the dew of our wings is a rain of balm;“And beyond our eyes“The human love lies“Which makes all it gazes on paradise.”

"માત્ર ભૂતકાળનું સ્મરણ થાય છે ત્યારે આ શાન્તિ ભગ્ન થાય છે."

સર૦– तरति शोकमात्मवित् એ શ્રુતિનો યથાર્થ અવબોધ આ શન્તિના વર્ષાદને વરસાવે છે તેનો અભિષેક તમે પણ અનુભવશો ને ઇંગ્રેજીમાં પણ એ જ કવિ માર્ગ દર્શાવે છે કે–“To suffer woes which hope thinks infinite:“To forgive wrongs darker than death or night;“ To defy Power which seems omnipotent; .“To love and bear; to hope till hope creates .“From its own wreck the thing it contemplates;“Neither to change, nor falter, nor repent;“This, like thy glory, Titan, is to be


  1.  ૧. Shelley's Prometheus Unhound.​”Good, great, and joyous, beautiful and free;“'This is alone Life, Joy, Empire, and Victory”

કુમુદ૦- એ પણ સમજાવેલું છે ને હવે સત્ય લાગે છે. માત્ર આ કલ્યાણની સિદ્ધિનો હવે પછીનો માર્ગ કેવો લેવો તેને માટે વિચાર કરવાનો મને સાંપેલો છે તે મ્હારે કરવાને બાકી ર્‌હે છે.

સર૦– તમારા સુન્દર હૃદયમાં જે બુદ્ધિ અને અભિલાષ થશે તે સુન્દર જ થશે.

કુમુદ૦– એનો કંઈ નિયમ નથી.


  1.  ૧. Shelley's Prometheus Unhound.

52
લેખ
સરસ્વતીચંદ્ર ભાગ ૪.
0.0
The last volume of Sarasvati-chandra is here offered to the public. It endeavours to complete the programme laid down in the preface of the third volume. In that preface it was suggested that the varied conflicts of life and thought at present visible all over India may one day end in reciprocal assimilation and harmony of the warring elements. This process of assimilation, while it may not be able to surprise us with any sudden advent of peace, will make its presence felt sooner or later by floating on our horizon ideas and sentiments as foreign to our past experience as possibly Columbus and his ships may be imagined to have been to the minds of the anxious aborigines of old America as they watched his approach towards their shores. This may sound like an exaggerated note of alarm or an idle conceit at first sight. Cooler thoughts will, however, bring home the conviction that our present state of transition must one day end the effervescence of its lighter elements. That stage over, India must have her day of peace and comfort, and the only question is what kind of day that will be.
1

સુભદ્રાના મુખ આગળ.

1 November 2023
1
0
0

પ્રકરણ ૧. સુભદ્રાના મુખ આગળ. તાજાં ધાસ ઉગી આ રહે નેગાય  ગર્ભિણી આવી ચરે તે; એવાં તીર–વનોમાં ફરવાગામલોક  જતા મદ ધરવા.  ભવભૂતિ. સુભદ્રા અને સમુદ્રના સંગમ આગળનો પ્રદેશ બારે માસ આવો રમણીય ર્‌હેતો.

2

સરસ્વતીચંદ્રની અલખદીક્ષા.

1 November 2023
0
0
0

પ્રકરણ ૨. સરસ્વતીચંદ્રની અલખદીક્ષા. विगतमानमदा मुदिताशयाःशरदुपोढशशाङ्कसमत्विषः । प्रकॄतसंव्यवहारविहारिणस्त्विह सुखं विहरन्ति महाधियः ॥ (જેના માન અને મદ જતાં રહ્યાં છે; જેના આશયનું લોક મોદન કરે છે,

3

સૌંદર્યનો ઉદ્યાન અને કુસુમનો વિકાસ.

1 November 2023
0
0
0

પ્રકરણ ૩. સૌંદર્યનો ઉદ્યાન અને કુસુમનો વિકાસ. अनाघातं पुष्पं किस्रलयमलूनं कररुहै : अनाविद्धं रत्नं मधु नवमनास्वादितरसम् । अखण्डं पुण्यानां फलमिव च तद्रूपमनधम्न  जाने भोक्तारं कमिह समुपस्थास्यति व

4

દેશી રાજ્યોનો શો ખપ છે? અને તેમનું શું થવા બેઠું છે? તેમનો કાંઈ ઉદ્ધાર છે? રાજસેવકો ને મુંબાઈ- ગરાઓ વચ્ચે ઝપા ઝપી.

1 November 2023
0
0
0

પ્રકરણ ૪. દેશી રાજ્યોનો શો ખપ છે? અને તેમનું શું થવા બેઠું છે? તેમનો કાંઈ ઉદ્ધાર છે? રાજસેવકો ને મુંબાઈ- ગરાઓ વચ્ચે ઝપા ઝપી. अणुभ्यश्च महदभ्यश्च शास्त्रेभ्यः कुशलो नरः । सर्वतः सारमादद्यात्पुष्

5

નવરાત્રિ

2 November 2023
1
0
0

પ્રકરણ ૫. નવરાત્રિ. किमिव हि मधुराणां मण्डनं नाकृतीनाम् ॥ મધુरी આકૃતિને જે અડકે તે તેના શૃંગારરૂપ થઈ જાય છે કાલિદાસ विश्रम्य विश्रम्य तटद्रुमाणा  म्छायासु तन्वी विचचार काचित स्तनोत्तरीयेण करोद्

6

સરસ્વતીચંદ્રની અશ્રુધારા.

2 November 2023
0
0
0

પ્રકરણ ૬. સરસ્વતીચંદ્રની અશ્રુધારા. “And the Raven, never flitting, still is sitting, still is sitting“On the pallid bust of Pallas, just above my chamber door;“And his eyes have all the seeming of

7

કુમારિકા કુસુમ અને વિધવા સુન્દર.

2 November 2023
0
0
0

પ્રકરણ ૭. કુમારિકા કુસુમ અને વિધવા સુન્દર. “The husbandless woman exists in two shapes. She is either a spinster or a widow. Most nations permit both institutions to grow up side by side with each o

8

ફ્‌લોરા અને કુસુમ.

2 November 2023
0
0
0

પ્રકરણ ૮. ફ્‌લોરા અને કુસુમ. 'રાજકીય નીતિ જ્યાં જ્યાં ઉદાર, દીર્ધદષ્ટિવાળી, અને કાર્યગ્રાહી થઈ છે ત્યાં ત્યાં ભિન્ન રાજયોના રાજપુરુષોના પરસ્પર સંબંધ ગાઢ થયા છે. બે રાજ્યના રાજાઓ મિત્ર હોય તો પરસ્પરન

9

સૌભાગ્યદેવીનું અખંડ સૌભાગ્ય.

2 November 2023
0
0
0

પ્રકરણ ૯. સૌભાગ્યદેવીનું અખંડ સૌભાગ્ય. "ગૃહસંસારના પ્રશ્ન રાજ્યતંત્રના પ્રશ્નો જેવા જ વિકટ છે ! સુન્દર ગૌરી ક્‌હે છે કે કુસુમને ભણાવી ન હત તો આવા અભિલાષ ન રાખત ! હીંદુ સંસારી ક્‌હે છે કે કન્યાને સર્

10

કુસુમની કોટડી.

2 November 2023
0
0
0

પ્રકરણ ૧૦. કુસુમની કોટડી. માતાપિતાની વિશ્રમ્ભકથા કુસુમે સાંભળી લીધી અને ત્યાંથી જ તેના મનને મ્હોટો ધક્‌કો લાગ્યો. પોતાના ખંડમાં તે આવી, દ્વાર બંધ કરી દીધાં, અને સુન્દર-ઉદ્યાનમાં એક બારી પડતી હતી

11

મ૯લમહાભવનઅથવારત્નગરીની રાજ્યવેધશાળા, અનેમહાભારતનો અર્થવિસ્તાર

2 November 2023
0
0
0

પ્રકરણ ૧૧. મ૯લમહાભવનઅથવારત્નગરીની રાજ્યવેધશાળા, અનેમહાભારતનો અર્થવિસ્તાર लौकिकानां हि साधूनामर्थं वागनुवर्तते । ऋषीणां पुनराद्यानां वाचमर्थोऽनुधावति ॥ भवभूति: રાણા ખાચરના સત્કારને અર્થે ભરેલી સભ

12

ચંદ્રકાંતના ગુંચવારા.

3 November 2023
0
0
0

પ્રકરણ ૧૨. ચંદ્રકાંતના ગુંચવારા. મ્હારે તે આ મલ્લભવનનું શું કામ હતું? સરસ્વતીચંદ્રની સાથે દેશી રાજયોની ચર્ચાને અને આ મહાભારતના અર્થવિસ્તારને શો સંબંધ છે કે જીવતા મિત્રના શેધની ત્વરામાં આ કથાઓથી વિ

13

તારામૈત્રક

3 November 2023
0
0
0

પ્રકરણ ૧૩. તારામૈત્રક. જેપ્રાતઃકાળે ભક્તિમૈયા અને અન્ય સાધુજનના સાથમાં કુમુદસુંદરી સુંદરગિરિ ઉપર જવા નીકળી તે જ પ્રાતઃકાળે સરસ્વતીચંદ્ર વિહારપુરી અને રાધેદાસના સાથમાં સુરગ્રામ અને સમુદ્રતટ જોવા પર્વ

14

સુરગ્રામની યાત્રા

3 November 2023
0
0
0

પ્રકરણ ૧૪. સુરગ્રામની યાત્રા તીર્થક્ષેત્ર સુરગ્રામમાં ઘણાંક દેવાલય હતાં પણ તે સર્વ ગામબ્હાર નદી અને સમુદ્રના તીર ઉપર અને તેમના સંગમ ઉપર હારોહાર ઠઠબંધ હતાં. ગામમાં માત્ર બે જ માર્ગ પાઘડીપને એકબીજ

15

કુસુમનું કઠણ તપ.

3 November 2023
0
0
0

પ્રકરણ ૧પ કુસુમનું કઠણ તપ. કુસુમ, ઓ કુસુમ, તને ખોળી ખેાળીને તો હું થાકી ગઈ ! બળ્યું, આમ તે શું કરતી હઈશ ?” એમ બોલતી બોલતી કુસુમનાં માંડવા આગળ થઈને સુન્દર ઉતાવળી ઉતાવળી ચારેપાસ જોતી જોતી ફરતી હતી. આજ

16

શશી અને શશિકાન્ત.

3 November 2023
0
0
0

પ્રકરણ ૧૬. શશી અને શશિકાન્ત. સાધુજનના મુખમાંથી સરસ્વતીચંદ્ર સંબંધના પદ્યાક્ષર કાને પડતાં ચંદ્રકાંત સૌંદર્યદ્યાનમાંથી બ્હાર નીકળ્યો અને લોકસમુદાયમાં કાને પડેલા સ્વરનો ઉચ્ચારનાર શોધ્યો. દમયન્તીને શોધવ

17

ચન્દ્રકાન્ત, અને કારાગૃહમાં સરસ્વતીચંદ્રનો શોધ.

3 November 2023
0
0
0

પ્રકરણ ૧૭. ચન્દ્રકાન્ત, અને કારાગૃહમાં સરસ્વતીચંદ્રનો શોધ. સાધુએ ગુપ્ત રાખવા સૂચવેલી વાત કહ્યા વિના આ પ્રશ્નનો ઉત્તર આપવો જેવો કઠણ હતો તેવો જ કંઈ પણ ઉત્તર આપ્યા વિના ચાલે નહી એવી પોતાની સ્થિતિ હતી.

18

અલખ મન્મથ અને લખ સપ્તપદી.

3 November 2023
0
0
0

અલખ મન્મથ અને લખ સપ્તપદી. “ Fool, not to know that Love endures no tie,“ And Jove but laughs at Lovers' perjury!"Dryden.“Let me not to the marriage of true minds“Admit impediments.”-Shakespeare. વિષ

19

મધુરી માટે મધુરી ચિન્તા.

3 November 2023
0
0
0

પ્રકરણ ૧૯. મધુરી માટે મધુરી ચિન્તા. કુમુદની કથા થોડાક અવસરમાં – થોડીક ઘડીઓમાં – પરિવ્રાજિકામઠમાં અને વિહારમઠમાં સુપ્રસિદ્ધ થઈ ગઈ. સંસારધર્મ અને અલખ ધર્મ એ ઉભયના મિશ્રણથી એક જીવનમાં છવાયેલાં બે વિવાહ

20

સખીકૃત્ય

3 November 2023
1
0
0

પ્રકરણ ૨૦. સખીકૃત્ય.* “ Silence in love bewrays more woe,“ Than words, though ne'er so witty.”– Sir W. Raleigh પ્રાત:કાળ થયા પ્હેલાં પરિવ્રાજિકામઠનું સર્વ મંડળ જાગૃત થઈ ગયું હતું અને દંતધાવન (દાતણ)

21

હૃદયચિકિત્સા અને ઔષધ.

4 November 2023
0
0
0

પ્રકરણ ૨૧. હૃદયચિકિત્સા અને ઔષધ. दया वा स्नेहो वा भगवति निजेऽस्मिन शिशुजने भवत्याः संसाराद्विरतमपि चित्तं द्रवयति । अतश्च प्रव्रज्यासमयसुलभाचारविमुखः प्रसक्तस्ते यत्नः प्रभवति पुनर्दैवमपरम् ॥ (હ

22

સૂક્ષ્મ શરીરનો સૂક્ષ્મ કામ.

4 November 2023
0
0
0

પ્રકરણ ૨૨. સૂક્ષ્મ શરીરનો સૂક્ષ્મ કામ. “ True Love's the gift which God has given“ To man alone beneath the heaven;“ It is not fantasy's hot fire,“ Whose wishes, soon as granted, fly;“ It liveth not

23

સરસ્વતીચંદ્ર અને ચંદ્રાવલી.

4 November 2023
0
0
0

પ્રકરણ ૨૩. સરસ્વતીચંદ્ર અને ચંદ્રાવલી. ईदृशानां विपाकोपि जायते परमाद्भुतः ।यत्रोपकरणीभा वामायातयेवविधेा जनः । भवभूति. સાધુઓ ભિક્ષાર્થે જાય ત્યારે સરસ્વતીચંદ્ર એકલો આશ્રમમાં ર્‌હેતો અને તેની સાથે

24

વિષ્ણુદાસબાવાનું સામર્થ્ય ને સરસ્વતીચન્દ્રના સૂક્ષ્મ શરીરની સંસિદ્ધિના માર્ગ.

4 November 2023
0
0
0

પ્રકરણ ૨૪. વિષ્ણુદાસબાવાનું સામર્થ્ય ને સરસ્વતીચન્દ્રના સૂક્ષ્મ શરીરની સંસિદ્ધિના માર્ગ. तद्यथा महापथ आतत उभौ ग्रामौ गच्छतीमं चामुंचैवमेवैता आदित्यस्य रश्मय उभौ लोकौ गच्छन्तीमं चामुं चामुष्मा-दाद

25

સનાતન ધર્મઅથવાસાધુજનોના પંચમહાયજ્ઞ

4 November 2023
0
0
0

પ્રકરણ ૨પ. સનાતન ધર્મઅથવાસાધુજનોના પંચમહાયજ્ઞ Then the World-honoured spake : “Scatter not rice : But offer loving thoughts and acts to all : To parents as the East, where rises light ; To teac

26

ચિરંજીવશુંગનાં શિખર ઉપર ચન્દ્રોદય.

4 November 2023
0
0
0

પ્રકરણ ૨૬. ચિરંજીવશુંગનાં શિખર ઉપર ચન્દ્રોદય. ચિરંજીવશૃંગ સુન્દરગિરિના સર્વ શૃંગોમાં ઉંચામાં ઉંચું હતું અને યદુશૃંગની પાછળ આવેલું હતું. છતાં યદુશૃંગ અને ચિરંજીવશૃંગ વચ્ચે ઉંચાનીચા ખડકોમાં, ખીણોમાં,

27

ગુફાના પુલની બીજી પાસ.

4 November 2023
1
0
0

પ્રકરણ ૨૭. ગુફાના પુલની બીજી પાસ. સૌમનસ્ય ગુફાની પાછળની ગુફામાં સાધ્વીજનોએ કુમુદસુન્દરીને ગુફાદર્શનને નિમિત્તે આણી હતી. ભક્તિમૈયા, વામની, આદિ દશેક શરીરે બળવાળી સાધ્વીઓએ અનેક ગુફાઓ દેખાડી અંતે પુલની

28

હૃદયની વાસનાનાં ગાન.ચેતન વિનાની વૃત્તિ-ઉકિત અને શ્રોતા વિનાની પ્રત્યુક્તિ.

6 November 2023
0
0
0

પ્રકરણ ૨૮. હૃદયની વાસનાનાં ગાન.ચેતન વિનાની વૃત્તિ-ઉકિત અને શ્રોતા વિનાની પ્રત્યુક્તિ. “ More close and close his foot-steps wind:“ The Magic Music in his heart“ Beats quick and quicker, till he fi

29

હૃદયના ભેદનું ભાગવું.

6 November 2023
0
0
0

પ્રક૨ણ ૨૯. હૃદયના ભેદનું ભાગવું. “All precious things, discover'd late“ To those that seek them issue forth ; “For love in sequel works with fate, “And draws the veil from hidden worth.” Tennyso

30

સિદ્ધ લોકમાં યાત્રા ને સિદ્ધાંગનાએાનો પ્રસાદ, અથવા શુદ્ધ પ્રીતિની સિદ્ધિનું સંગત સ્વપ્ન

6 November 2023
0
0
0

પ્રકરણ ૩૦. સિદ્ધ લોકમાં યાત્રા ને સિદ્ધાંગનાએાનો પ્રસાદ, અથવા શુદ્ધ પ્રીતિની સિદ્ધિનું સંગત સ્વપ્ન Before the starry threshold of Jove's Court My mansion is, where those immortal shapes Of bri

31

પિતામહપુરમાં આર્ય સંસારનાં પ્રતિબિમ્બ, અને પ્રીતિની મણિમય સામગ્રીના સંપ્રસાદ.

6 November 2023
0
0
0

પ્રકરણ ૩૧. પિતામહપુરમાં આર્ય સંસારનાં પ્રતિબિમ્બ, અને પ્રીતિની મણિમય સામગ્રીના સંપ્રસાદ. And on her lover's arm she leant,And round her waist she felt it fold,And far across the hill they wentIn t

32

યજમાન કે અતિથિ ! અથવા પુણ્યપાપમાં પણ પરાર્થબુદ્ધિની સત્તા.

6 November 2023
0
0
0

પ્રકરણ ૩૨. યજમાન કે અતિથિ ! અથવા પુણ્યપાપમાં પણ પરાર્થબુદ્ધિની સત્તા. Thyself and thy belongings Are not thine own so proper, as to waste Thyself upon thy virtues, they on thee. Heaven doth wit

33

સૂક્ષ્મ પ્રીતિની લોકયાત્રા

6 November 2023
0
0
0

પ્રકરણ ૩૩. સૂક્ષ્મ પ્રીતિની લોકયાત્રા And we shall sit at endless feast, Enjoying each the other's good; What vaster dream can hit the mood Of Love on Earth ?–Tennyson. या कौमुदी नयनयोर्भवतः सुज

34

અર્જુનના વાયુરથ અને દાવાનળ.

6 November 2023
0
0
0

પ્રકરણ ૩૪. અર્જુનના વાયુરથ અને દાવાનળ. For, while the tired waves, slowly breaking,Seem scarce one painful inch to gain,Far back, through creek and inlet making,Comes silent, flooding in, the main.Q

35

કુરુક્ષેત્રના ચિરંજીવી અને ભારતવર્ષનું ભવિષ્ય

6 November 2023
0
0
0

પ્રકરણ ૩૫ કુરુક્ષેત્રના ચિરંજીવી અને ભારતવર્ષનું ભવિષ્ય Such is the aspect of this Shore;'Tis Greece, but living Greece no more!So coldly sweet, so deadly fair,We start, for soul is wanting there.He

36

ચન્દન વૃક્ષ ઉપર છેલો પ્રહાર.

6 November 2023
0
0
0

પ્રકરણ ૩૬. ચન્દન વૃક્ષ ઉપર છેલો પ્રહાર. Woodman, spare that tree! Touch not a single bough ! So long it sheltered me, . And I'll protect it now. G. P. Morris. ચિરંજીવોનું દર્શન સ્વપ્નના સિદ્ધ

37

મિત્ર કે પ્રિયા ?

6 November 2023
0
0
0

પ્રકરણ ૩૭. મિત્ર કે પ્રિયા ? प्रेयो मित्रं बन्धुता वा समग्रा सर्वे कामाः शेवधिजीवितं च X X X धर्मदाराश्च पुंसाम् ॥ - भवभूति (અર્થ – ધર્મપત્ની, પતિને સર્વથી વધારે મિત્ર છે, સર્વે સગપણનો સરવાળો છે, સ

38

સ્ત્રીજનનું હૃદય અને એ હૃદયની સત્તા.

7 November 2023
0
0
0

પ્રકરણ ૩૮. સ્ત્રીજનનું હૃદય અને એ હૃદયની સત્તા. I pass, like night, from land to land ; I have strange power of speech ; That moment that his face I see, I know the man that must hear me : To hi

39

દેશપ્રીતિનું મનોરાજ્ય.

7 November 2023
0
0
0

પ્રકરણ ૩૯. દેશપ્રીતિનું મનોરાજ્ય. शतेषु कश्चन शूरः जायते । सहस्त्रेषु पण्डितः  वक्ता दशसहस्रेषु दाता भवति वा न वा ॥ इन्द्रियाणां जये शूरो धर्मं चरति पण्डितः सत्यवादी भवेद्वक्ता दाता लोकहिते रतः ॥

40

ન્યાય ધર્મની ઉગ્રતા ને સંસારના સંપ્રત્યયની કોમળતા.

7 November 2023
0
0
0

પ્રકરણ ૪૦. ન્યાય ધર્મની ઉગ્રતા ને સંસારના સંપ્રત્યયની કોમળતા. निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तुलक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम । अद्यैव वा मरणमस्तु युगान्तरे वान्याय्यात्पथः प्रविचलन्ति पदं

41

ખોવાયલાં રત્નો ઉપરની

7 November 2023
0
0
0

પ્રકરણ ૪૧. ખોવાયલાં રત્નો ઉપરની  ધુળકાળવર્ષ વીત્યું ને મેહ ગાજ્યો,મ્હારા હઈડાંનો ધાશકો ભાગ્યો !સરદારસિંહ ! હવે તો તમારો શોધ પુરો થઈ રહ્યો હશે.” વિદ્યાચતુર, ગુણસુંદરી પાસેથી ઉઠી, પોતાના પ્રધાન ખંડમાં

42

મિત્રના મર્મ પ્રહાર.

7 November 2023
0
0
0

પ્રકરણ ૪૨ મિત્રના મર્મ પ્રહાર. सुहृदर्थधमीहितमजिद्मधियांप्रकृतेर्विराजति विरुद्धमपि ॥ माघ. પાઞ્ચાલીની વાણીને જાગૃત યોગમાં પ્રત્યક્ષ કરી સરસ્વતીચંદ્ર અને કુમુદ સૌમનસ્યગુફાના વર્ણવેલા ઓટલા ઉપર કેટલીક

43

ન્યાયાધિકારીનાં આજ્ઞાપત્ર.

7 November 2023
0
0
0

પ્રકરણ ૪૩. ન્યાયાધિકારીનાં આજ્ઞાપત્ર. સરસ્વતીચંદ્ર અને ચન્દ્રકાન્તે આખો દિવસ સૌમનસ્ય ગુફાને ઉપલે માળે ગાળ્યો. કુમુદ તેમાં આવતી જતી ભાગ લેતી હતી અને ઘડી બેસી પાછી જતી હતી. કંઈ વાત ગુપ્ત રાખ્યા વિના સ

44

કોઈને કાંઈ સુઝતું નથી.

7 November 2023
0
0
0

પ્રકરણ ૪૪. કોઈને કાંઈ સુઝતું નથી. क: श्रद्धास्यति भूतार्थं लोकस्तु तुलयिष्यति॥ મૃચ્છકટિક ઉપરથી. બેમિત્રો પાછા ઉપર ચ્હડ્યા. ચ્હડતાં ચ્હડતાં સરસ્વતીચંદ્ર ધીમે રહી બોલ્યો. “ચંદ્રકાંત, મ્હારું અને મ્

45

કંઈક નિર્ણય અને નિશ્ચય.

7 November 2023
0
0
0

પ્રકરણ ૪૫. કંઈક નિર્ણય અને નિશ્ચય. The star of the unconquered will,He rises in my breast,Serene, and resolved, and still,And calm, and self-possessed.Longfellow. આવાર્ત્તા પ્રસંગ ધીમે ધીમે પુરો થય

46

અલખમન્દિરનો શંખનાદ અને આયુષ્યની પૂર્ણાહુતિ.

7 November 2023
0
0
0

પ્રકરણ ૪૬. અલખમન્દિરનો શંખનાદ અને આયુષ્યની પૂર્ણાહુતિ. Tell me not in mournful numbers, “Life is but an empty dream !” For the soul dead is that slumbers, And things are not as they seem. Life i

47

મોહનીમૈયાનો ઉગ્ર અધિકાર.

7 November 2023
0
0
0

પ્રકરણ ૪૭. મોહનીમૈયાનો ઉગ્ર અધિકાર. I, through the ample air in triumph high, Shall lead hell captive, mauger hell, and show The powers of darkness bound.-Milton, જેચોકમાં ને કુંજવનમાં કુમુદસુન્દ

48

બે યુગ વચ્ચેના પડદામાં પડતા ચીરા.

7 November 2023
0
0
0

પ્રકરણ ૪૮. બે યુગ વચ્ચેના પડદામાં પડતા ચીરા. Some force whole regions, in despite Of geography, to change their site: Make former times shake hands with latter, And that which was before, come af

49

પુત્રી

7 November 2023
0
0
0

પ્રકરણ ૪૯. પુત્રી. મ્હારી માવડી ! શાને તું આમઆંસુંડાં ઢાળે રે ? એક તમ્બુમા માનચતુર, ગુણસુન્દરી, સુન્દર અને ચંદ્રાવલીની વાતો ચાલી. બીજામાં બે બ્હેનોની ચાલી. એક ઠેકાણે ચન્દ્રાવલી જ બોલતી હતી. બીજામાં

50

ગંગાયમુના.

7 November 2023
0
0
0

પ્રકરણ ૫૦. ગંગાયમુના. બહેની ! એ તો કામણગારો રે !ત્હારે માટે સર્વથી ન્યારો રે ! કુમુદબ્હેન ! આ સંસારના દમ્ભને છોડી જે રાત્રિ જોવાનો સરસ્વતીચંદ્રનો અભિલાષ હતો અને જેને માટે એમણે સર્વસ્વનો ત્યાગ કર્યો

51

સમાવર્તન

8 November 2023
0
0
0

પ્રકરણ ૫૧. સમાવર્તન. “What am I to quote, where quotation itself is staggered at my situation ?”-Anonymous. સરસ્વતીચંદ્રને અને ચન્દ્રાકાંતને એક જુદી પર્ણકુટીમાં આ ઉતારો મળ્યો તેમાં તેમણે બાકીનો દિવ

52

આરાત્રિક અથવા આરતી.

8 November 2023
0
0
0

પ્રકરણ ૫૨. આરાત્રિક અથવા આરતી. સુન્દર વેણ વાગી ! વેણ વાગી !વેણ વાગી ને હું જાગી ! – સુન્દર૦( પ્રસ્તાવિક )નટવર વસન્ત થઈ નાચી રહ્યો રે !નાચી રહ્યો ! જુગ નચાવી રહ્યો !નટવર૦( પ્રસ્તાવિક )મને રાસ જોયાના

---

એક પુસ્તક વાંચો