પ્રકરણ ૧૪.
સુરગ્રામની યાત્રા
તીર્થક્ષેત્ર સુરગ્રામમાં ઘણાંક દેવાલય હતાં પણ તે સર્વ ગામબ્હાર નદી અને સમુદ્રના તીર ઉપર અને તેમના સંગમ ઉપર હારોહાર ઠઠબંધ હતાં. ગામમાં માત્ર બે જ માર્ગ પાઘડીપને એકબીજાની આગળ પાછળ સમાંતર રેખામાં આવેલા હતા. એ બે માર્ગની વચ્ચે ઘરોની એક હાર હતી તેમ તેનાથી માર્ગની બીજી પાસ બે હારો મળી, ત્રણ હારો ઘરની હતી. વચલી હાર બેવડી હતી એટલે એક ઘર આ પાસ અને બીજું બીજી પાસ દ્વારવાળું હતું. એક માર્ગનું નામ ગુરુ માર્ગ અથવા ગોરની શેરી હતી. બીજો માર્ગ ચૌટાને નામે પ્રસિદ્ધ હતો. ગોરની શેરીમાં તીર્થના ગોર - બ્રાહ્મણો ર્હેતા. ચૌટામાં વસવાયા અને વ્યાપારી લોક તથા ખેડુતો ર્હેતા. શેરી અને ચૌટાની વચલી હારમાં એક મ્હોટું શિવાલય હતું અને તેની આશપાશ કઠેરાબંધ ઉઘાડો ચોક છોબન્ધના તળવાળો હતો. પૂજા અને દર્શન કરનારની ભીડ આછી થતી હતી. કારણ સ્નાન વગેરેમાંથી પરવારી ભોજનસામગ્રીનો આરંભ કરવા જવાની વેળા હવે સર્વને થતી હતી.
પ્રાતઃકાળે નવ વાગતામાં સરસ્વતીચંદ્ર પોતાના સાથ સાથે અંહી આવી પ્હોચ્યો અને આ શિવાલયના આ ચોકની એક પાસના ઓટલા ઉપર બેઠા બેઠા સર્વ થાક ઉતારવા લાગ્યા. મુંબાઈ નગરીના રોણકદાર બંગલાઓમાં રહેલાને ગામડુંજ નવાઈની વાત હતી તે આ સ્થાને કાંઈ વિશેષ લાગે એ સ્વાભાવિક હતું. સુંવર્ણપુરના કારભારીના ઘરમાં અને યદુશૃંગના મઠમાં તો કંઈક ભવ્યતા હતી અને રાજેશ્વરના દેવાલયથી આ દેવાલય બહુ જુદી જાતનું ન હતું; પણ ચારે પાસનો ગામડા ગામનો દેખાવ તેના મન ઉપર કંઈ વિચિત્ર મુદ્રા પાડતો હતો. કુમુદસુંદરીને દીઠા પછી તે એજ છે એવે નિર્ણય થવામાં ઘણો બાધ હતો, પણ તેના સ્વરૂપના સંસ્કાર મસ્તિકમાંથી ખસતા ન હતા, એટલુંજ નહી પણ અનેક વિચારોને ઉત્પન્ન કરતા હતા. શિવાલયને જોઈ રાજેશ્વર અને ત્યાંનાં અનેક ઇતિહાસઅનુભવ મનમાં તરવરવા લાગ્યા. સહચારી બાવાઓની સાથે તે ગોષ્ઠીવિનોદ કરતો હતો તેમાં આ સર્વ સંસ્કાર ખડા થઈ વિઘ્ન નાંખતા હતા. વાર્તા કરતાં વચ્ચે વચ્ચે અધ અધ ઘડી સુધી કોઈ પણ બોલે નહી એવી વેળા પણ આવતી હતી. આવી મૌનભરી ઘડીઓમાંની એક ઘડી વહી જતી હતી તેટલામાં એક બ્રાહ્મણ મહાદેવનાં દર્શન કરવા આવ્યો, ઘંટ વગાડવા લાગ્યો, અને દર્શન કરી, ચોખા નાંખી, મંડપના બ્હારના પગથીઆ ઉપર બેસી પાઘડી ઉતારી બેઠો. દર્શન કરવા આવનાર બે ચાર છોકરાં તેની આસપાસ વીંટાઈ વળ્યાં.
“અલ્યા છોકરાઓ, જુવો, કહું છું તે સાંભળજો ને જિવ્હાગ્રે કરજો. બધા દેવ તો કપટી છે, પણ આપણા શિવજી તો મ્હારા જેવા ભોળા છે. માથામાં અક્કલ ન હોય, હાથમાં સ્વભાવ ન હોય, ને કાળજામાં ભાન ન હોય તે લોક શું નરકમાં પડે છે? ના ! અક્કલવાળાની સંભાળ અક્કલ રાખે ને ભાનવાળાની સંભાળ તેમનું ભાન રાખે. પણ તે કાંઈ ન હોય તે ભોળાઓની સંભાળ ભોળોનાથ રાખે ! ભોળાઓનો ભોળોનાથ તો અવતાર કે આકાર વગરનો ગોળ મટોળ એટલા માટે છે કે તેને ભોળાઓ જેમથી ઝાલે તેમ ઝલાય અને રાંકના પાણીની પૂજાથી તૃપ્ત થાય. માટે ડાહ્યા હો તો ભોળાને જ ભજજો !ભોળા ભોળા શંભુ, વિજયાનું પાન !ઘરનું ય ખરચ નહીં - સુવાને શ્મશાન ! બમ્ ભોળા !”
આમ બુમ પાડી આ બ્રાહ્મણ ઉઠ્યો અને બાવાઓ પાસે આવ્યો “ક્હો, બાવાજી, આજ અત્યારે અંહી ક્યાંથી ?"
"મ્હેતાજી, આ અમારી બેની મધ્યે બેઠેલા અમારા અતિથિ છે તેમને ગુરુજીની આજ્ઞાથી તમારું ક્ષેત્ર બતાવવા લાવ્યા છીએ." વિહારપુરીએ ઉત્તર દીધો.
મ્હેતાજી -(સરસ્વતીચંદ્રને નમસ્કાર કરી) આપનું નામ ?
સરસ્વતી૦ - (સામો નમસ્કાર કરી). નવીનચંદ્ર. મ્હેતાજી – વર્તમાપત્રામાં એક... ચંદ્રની વાત આવે છે તે તો આપ નહી ?
સરસ્વતી૦– શી વાત આવે છે ?
મ્હેતાજી – મુંબાઈ છોડી એક વિદ્વાન અદૃશ્ય થઈ ગયા છે તેનું નામ ચંદ્ર ઉપર છે.
સરસ્વતી૦– વાત જાણીયે ત્યારે ઉત્તર દેવાય. તમે કીયા પત્રમાં વાંચ્યું ? અંહી વર્તમાનપત્રો આવે છે?
મ્હેતાજી - પાસે જ અમારી શાળા અને પુસ્તકશાળા છે તેમાં છે.
સરસ્વતી૦– ત્યાં ચાલશો ?
“જી મહારાજ” કરી તેના સહચારીઓ ઉઠ્યા અને સર્વજણ એક માળવગરની ઓરડી આગળ આવ્યા. તેને દ્વારે એક કાગળ ચ્હોડી તે ઉપર શાહીથી “પુસ્તકશાળા” એમ લખ્યું હતું: અંદર પુસ્તકોની પેટી, એક ગાદી, ત્રણ ચાર તકીયા, અને આખી ઓરડીમાં માયેલી જાજમ, એટલી સામગ્રી હતી. ટેબલ ખુરશી ન હતાં. ગાદી આગળ એક શેતરંજી ઉપર રાજ્યકર્તાએ મેકલાવેલાં બે વર્તમાનપત્ર હતાં, અને એક પુસ્તકશાળાના વર્ગણી આપનારાની વર્ગણીમાંથી રાખેલું પત્ર હતું. રાજ્યના નિયમ પ્રમાણે દરેક ગામડાની શાળાની પુસ્તકશાળામાં એક વર્તમાનપત્ર મફત અપાતું અને વર્ગણી આપનારાઓ વર્ગણીમાંથી જેટલા પઈસાનાં વર્તમાનપત્ર મંગાવે તેટલા જ ખરચનાં બીજાં પત્ર રાજ્યમાંથી મળતાં. પુસ્તકોની અમુક સંખ્યાઉપર પણ એવો જે નિયમ હતો. મુંબાઈના એક પત્રમાં લક્ષ્મીનંદનશેઠે, પ્રસિદ્ધ કરાવેલા ગદ્યપદ્યાત્મક લેખ હતા અને તેને મથાળે “સરસ્વતીચંદ્રનો શોધ - નંબર : ૧૦” એવા અક્ષર મ્હોટમ્હોટા હતા. એ અક્ષર ઉપર દૃષ્ટિ પડતાં સરસ્વતીચંદ્રનું હૃદય ધડકવા લાગ્યું અને ઉતાવળથી ફરી ફરી સર્વે વાત વાંચતાં આવતાં આંસુ મહાપ્રયત્નથી તે ડાબી રાખી શક્યો. “બીજા કંઈ પત્રો અને સમાચાર છે કે ?”
મ્હેતાજી – હા જી, આ રત્નપુરીમાં, નીકળતા પત્રમાં અમારા પ્રધાનજીના કુટુંબમાં બનેલા શોકકારક સમાચાર છે.
તે ઉતાવળથી વાંચતાં વાંચતાં સરસ્વતીચંદ્ર ગભરાયો. પ્રમાદધન મુવો, કુમુદસુંદરી ડુબી ગયાં, સૌભાગ્યદેવી ગુજરી ગયાં, અને બુદ્ધિધનને સંન્યસ્તનો વિચાર છે ! – આ સર્વ વાંચતાં સરસ્વતીચંદ્ર હબકી ગયો, છાતી ઉપર હાથ ફેરવવા લાગ્યો, અને નેત્રનાં આંસુ ખાળી ન શક્યો. પોતાની વાત ગુપ્ત રાખવાની શક્તિ ખસવા લાગી.
મ્હેતાજી – આપને આ સમાચારથી આટલું દુ:ખ થાય છે – આપ જ સરસ્વતીચંદ્ર તો નથી?
વિહાર૦- જી મહારાજ, જ્ઞાન અને વૈરાગ્ય એ શોકનાં શામક છે.
રાધે૦– જી મહારાજ, આ સમાચાર સાથે આપનો સંબંધ જાણીયે તો આપનાં દુઃખ હલકાં કરવાનો માર્ગ સુઝે.
વિહાર૦- ગુરુજી સંસારથી અને દુઃખથી મુક્ત છે, પણ એમના પ્રિયજનને દુ:ખથી મુક્ત કરવામાં સંસારને શૂન્ય નથી ગણતા.
સરસ્વતીચંદ્ર શોકને ડાબી શક્યો. તેનાં અશ્રુ દૂર થયાં, માત્ર મુખ ઉપર શોકની છાયા રહી. સર્વને એકઠો ઉત્તર આપવા પ્રયત્ન કર્યો, તેમ કરતાં કપાળે પ્રસ્વેદ - પરસેવો વળ્યો – તે લ્હોતો લ્હોતો બોલ્યો.
“સરસ્વતીચંદ્ર ન્હાસી ગયો તેની મને લેશ ચિન્તા નથી. આ મુંબાઈના સમાચાર નિષ્ફળ છે. પણ હું સુવર્ણપુરમાં ર્હેલો છું અને બુદ્ધિધનભાઈના સૌજન્યનું આસ્વાદન કરેલું છે તેનો આ ક્ષણિક શોક ક્ષણમાં શાંત થયો. સાધુજન, મ્હારું દુઃખ તો ગુરુજીએ દૂર કર્યું છે જ. હવે તેમને શ્રમ આપવાનો કંઈ અવકાશ નથી.”
મ્હેતાજીની જિજ્ઞાસા નષ્ટ થઈ. સાધુજન તૃપ્ત થયા. એટલામાં એક વણિક ગૃહસ્થ આવ્યો અને વિહારપુરીને નમીને બોલ્યો.
“મહારાજે મ્હારા ઉપર કૃપા ઓછી કરી દીધી કે પોતે અંહી પધારી મને ક્હાવ્યું નહી. પણ મ્હારી ભકિતઉપર પ્રભુએ જ નજર કરી ને મને આપનાં દર્શન થયાં. મહારાજ, ત્રણે મૂર્તિઓ રંકને ઘેર પધારી ભોજન લેવાની કૃપા કરે.”
વિહાર૦– શેઠજી, બ્રાહ્મણપાસે શુદ્ધ અન્ન કરાવો. પર્યટણ કરીને અમે પાછાં આવશું. – મ્હેતાજી, અમારી જોડે ચાલશો ?
મ્હેતાજી૦- શાળાની વેળા થતા સુધી સાથે આવી શકીશ. આપને ક્યાં ક્યાં જવું છે?
વિહાર૦– પવિત્ર અને રમણીય સ્થાન જેટલાં હોય તેટલાં જોવાં.
મ્હેતાજી– ત્યારે તો તેને માટે બે ત્રણ દિવસ જોઈએ. સરસ્વ૦– એક સ્થાન જોયે તેના જેવાં બીજાં અનેક જોયાનું વળે એવાં નમુનાનાં સ્થાન દેખાડો.
મ્હેતાજી– સાંજ સુધીમાં તેટલું થઈ શકે.
વિહાર૦– એવાં સ્થાન તમે કીયાં કીયાં ગણો છો ?
મ્હેતાજી૦- નદી અને મહાસાગર ઉપરનાં સર્વ દેવાલયોની પ્રદક્ષિણા કરી લ્યો અને માર્ગમાં મુખ્ય દેવાલય આવે તેનાં ગર્ભાગાર સુધી જોઈ લેવાં, રત્નાકરેશ્વરનું શિવાલય, રાધિકેશજીનું મંદિર, લક્ષ્મીજીનું મંદિર, અને અર્હતનાથનો અપાસરો એટલાં ધામ મનુષ્યે બંધાવેલાં બરાબર જોવાં. રત્નાકર સાથે નદીનો સંગમ, બેટનાં માતાજી, ગિરિરાજની તલેટી પરનો હરિકુંડ, બુદ્ધગુફા, મહાસાગરનો આરો, પેલી પાસનું બંદર, અને મ્હોટી વાવ – એટલાં સ્થાન પાસે સૃષ્ટિની સુંદરતા જોવાની છે.
સરસ્વતી૦– એ તો જડ સૃષ્ટિ બતાવી. પણ જોવા જેવી કંઈ ચેતનસૃષ્ટિ પણ હશે.
મ્હેતાજી- હાજી, જોવા જેવી જીવતી સૃષ્ટિમાં મુખ્ય વસ્તુ હું પોતે, બીજા અમારા ગોર અને ભટ, અને ત્રીજી ચોથી ચીજો અમ સંસારીઓને માટે છે, આ ભેખને માટે નથી.
“તમારાં દર્શન તો થયાં. હવે પાંચ છ દિવસનાં વર્તમાનપત્ર લેઈ સાથે કોઈને મોકલો તો અવકાશ મળ્યે વાંચીશું; બાકીનો સમય તમે અને વિહારપુરી લેઈ જાવ ત્યાં ગાળીશું.” સરસ્વતીચંદ્ર કંઈક સ્મિત કરી બેાલ્યો.
રાધે૦- બધાં સ્થાનોમાં જવાને ઠેકાણે એકલા રાધિકેશજીના મન્દિરમાં જઈયે, કારણ ત્યાં આજ ઠાકોરજીની પ્રતિષ્ઠાનો વાર્ષિક ઉત્સવ હશે.
તે પ્રમાણે ઠર્યું. માર્ગે ચાલતાં ચાલતાં મ્હેતાજીએ પુછયું.
“નવીનચંદ્રજી, તમને વર્તમાનપત્રની રસિકતા કયાંથી પ્રાપ્ત થઈ? એ તો અમારી નવી વિદ્યાની સૃષ્ટિ છે.”
સરસ્વતી૦– નવી વિદ્યાનો મને પણ કંઈક અનુભવ છે, ક્હો, રાજકીય વગેરે બીજા વર્તમાન શું છે ?
મ્હેતાજી– રાજકીય સમાચાર ત્રણ જાતના. આ સંસ્થાનના તમે જાણ્યા. કુમુદસુંદરી ગયાં. સામંતસિંહ ગયા. ને રાણો ખાચર રત્નનગરીમાં છે. મ્હોટા રાજ્યના સમાચાર તો જોઈએ તેટલા. કંઈક મ્યુનીસીપાલિટી ખરાબ તો કંઈક ઈંગ્રેજી અમલદાર ખરાબ. કંઈક ઇંગ્રેજી ધોરણ ખોટું તો કંઈક તેનો પ્રયોગ ખોટો. કંઇક હસવાનું તો કંઈક ક્રોધે ભરાવાનું ને કંઈક રોવાનું. ત્રીજા રાજકીય સમાચાર બીજાં દેશી રાજયોના. ત્યાં તો ગમે તો કોઈનાં વખાણનાં બુગાં ફુંકાય છે તો કંઈ કોઈને ગધેડે બેસાડાય છે. ત્હાડું ધાન ને ચાડીયું માણસ – બે વ્હાલાં લાગે તેમ પરનિન્દાની વાતો વર્તમાનપત્રોનો રોજગાર વધારનારી થઈ પડી છે. શું કરીયે ? જેવા રાજા તેવા લોક, ને જેવા લોક તેવા રાજા. એ બે જેવા તેવા તેમના કારભારી - એ ત્રણનાં જાન, જોડું, ને જાત્રા. પ્રજાઓ અભણ, રાંક અન્યાયી, અદેખી, અને વિઘ્નસંતોષી. અધિકારીયો સ્વાર્થી, ખુશામતીયા, પ્રમત્ત, ઉન્મત્ત, અને માણસથી ડરે પણ ઈશ્વરથી ન ડરનારા. રાજાઓ મૂર્ખ, આળસુ, દમ્ભી, સ્ત્રીલંપટ, દારુડીયા, પ્રજાને ડુબાવનારા, અને જાતે દેવામાં અને દાસેામાં ડુબનારા. વર્તમાનપત્રોની આ વાતો સાંભળી સાંભળીને હું કાઈ ગયો, અને કોઈ કોઈ વખત તો આ પુસ્તકશાળા બંધ કરાવવા પ્રધાનજી ઉપર લખવા વિચાર થાય છે, પણ બીજા વિચારથી કલમ અટકે છે. છાપુ વાંચવું ને મગજ ઉકાળવું. કાજી ક્યા દુબળા કે સારા શહેરકી ચિન્તા - તેવી આખી દુનીયાની ચિન્તા વ્હોરી લેવી.
સરસ્વતીચંદ્ર ગંભીર થઈ ગયો. ઉત્તર દીધો નહી. વાર્તા ચાલી નહી. માત્ર સઉને ચરણ ચાલતા હતા. આખા દેશના અનેક વિચારો એના મસ્તિકને અને હૃદયને વલોવવા લાગ્યા.
"મ્હારો દેશ ! મ્હારી કુમુદ ! મ્હારા પિતા ! મ્હારી મુંબાઈ ! - કુમુદ - દેશ" એવા અવ્યક્ત ઉચ્ચાર આના હૃદયમાં ઉછળવા લાગ્યા. આમ જતાં જતાં દેવાલયો માર્ગમાં આવવા લાગ્યાં અને શાંતિનો મેઘ ઝરમર ઝરમર વૃષ્ટિ કરવા લાગ્યો.
હવે માર્ગમાં બે પાસ ન્હાનાં મ્હોટાં દેવાલયની હારો આવવા લાગી. છેક ન્હાની દ્હેરીઓ ચાર પાંચ વ્હેંતની હતી તો મ્હેટાં દ્હેરાં એકાદ માળથી બબે માળ જેવડાં ઉંચા પણ હતાં. તેમની બાંધણી, તેમના ઘાટ, તેમનો ઇતિહાસ, તેમની વ્યવસ્થા અને વર્તમાન અવસ્થા – આ સર્વ વિષયની વાતો ચાલી ચાલનારાના પગનાં પગલાં જોડે પલટણોનાં પગલાં પેઠે સરખે વેગે આ વાતો ચાલી, અને સરસ્વતીચંદ્રના જાગેલા સાંસારિક સંસ્કારને ઘડી ઘડી ઝાંખા કરવા લાગી, “શું નવા યુગને બળે એક દિવસ આ દ્હેરા નવાં બંધાતાં બંધ પડશે અને જુનાંમાં પ્રતિમાઓને સ્થાને સમાજો ભરાશે અને સરકારની આફીસો બેસશે ?” પ્રશ્ન ઉઠ્યો તેવો ઉત્તર મેળવ્યા વિના જાતે સહજ શાંત થઈ ગયો. સુરગ્રામની વસ્તી એવી ન હતી કે આ સર્વ રચના ઉભી કરી શકે. પણ એક કાળે આ સ્થાને મ્હોટું તીર્થ હતું તેવામાં ઘણે છેટેથી આવનાર દ્રવ્યવાન્ યાત્રાળુઓની વાસનાઓએ આ ઠાઠ ઉભો કરેલો હતો. એ ઠાઠ વચ્ચેનો માર્ગ સાંકડો પણ સ્વચ્છ હતો. માણસની દશા બદલાય છે તેમ આ સ્થાનને પણ વારાફેરા અનુભવવા પડ્યા હતા. યાત્રાળુઓની મ્હોટી ભીંડનો અને મ્હોટા મેળાઓનો કાળ ગયો. પછી તીર્થ ગોઝારા જેવું થયું. વળી મલ્લરાજના સમયમાં તેનો જીર્ણોદ્ધાર થવા લાગ્યો. વચ્ચે આ દ્હેરાંઓ ઉપર લીલોતરી ઉગી હતી, અને લીલ બાઝી હતી, અને લુણો લાગ્યો હતો, તેને સ્થાને આજ સર્વ સાફ અને ધોળાવેલું હતું. માર્ગમાં પ્રથમ ઘાસ ઉગતું અને પથરાઓ નડતા તેને સ્થાને હવે ઘાસનું નામ દેખાતું ન હતું અને સટે સાફ બાંધેલા માર્ગ હતો. દ્હેરાંઓ પાસે કાગડા ઉડતા હતાં તેને સ્થાને બીજાં પક્ષીઓ જણાતાં હતાં. કુવાઓનાં થાળાં ભાગેલાં અને પાણી ગંધાતાં હતાં ત્યાં નવાં થાળાં અને મીઠાં નિર્મળ પાણી થયાં.દ્હેરાંનાં ભાગેલાં પગથીઆાં નવાં સમાં કરાવેલાં તેમાં વચ્ચે વચ્ચે દાણા વેરાયલા જોવામાં આવતા હતા તેથી શ્રદ્ધાળુ સ્ત્રીઓનો પગસંચાર જણાતો હતો. જુની નીશાનીમાં માત્ર એટલું જણાતું હતું કે લીમડા, પીપળા, વડ વગેરે પવિત્ર વૃક્ષાએ દ્હેરાંઓની ભીંતોમાં, ઘુમટમાં, અને નળીયાંમાં પોતાની શાખાએ પેસાડી દીધી હતી. તેને કાપી નાંખવાનું કામ વૃક્ષમાં પણ જીવ ગણનાર દયાળુ વસ્તીને ગમ્યું ન હતું, અને જેમ અનેક પ્રાચીન આચારને આપણે પ્રીતિથી આપણી આશપાશ વીંટાવા દેઈએ છીએ તેમ આ પ્રાચીન ડાળાંઓ અને પાંદડાઓને પણ દ્હેરાંઓની આશપાસ નીરાંતે વીંટાઈ ર્હેવા દીધાં હતાં. આ સર્વે કથા મ્હેતાજી અને સરસ્વતીચંદ્ર વચ્ચે માર્ગમાં ચાલતી હતી અને સાધુઓ તેમની પાછળ પાછળ અનુચર પેઠે પણ છાતી ક્હાડી બેાલ્યા ચાલ્યાવિના ચાલતા હતા. દ્હેરાંઓને શાખાઓ નીરાંતે ગમે ત્યાં વળગેલી જોઈ સરસ્વતીચંદ્ર બોલ્યો:
“મ્હેતાજી સાહેબ, આર્યોનાં ચિત્તની કોમળતા મનુષ્યજાતિનું રક્ષણ કરી પુરી થતી નથી. પશુપક્ષીને સંભાળી રાખી સંતોષ પામતી નથી પણ વૃક્ષ જીવનનું પણ આ પોષણ કરે છે. તેમાં તેમની ભુલ હશે પણ એ ભુલ પણ માહાત્મયની છે, આવાં કોમળ હૃદયવાળા મહાત્માઓની ભૂમિમાં જન્મ લીધાનું અભિમાન આ દેહથી છુંટતું નથી. એવા કોમળ મહાત્માઓનાં ચિત્ર પ્રત્યક્ષ કરાવતી આ રચના ઉપર પ્રીતિ થાય છે. વિહારપુરી !” વિહાર૦- જી મહારાજ !
સરસ્વતી૦– આ અભિમાન અને આ પ્રીતિ આ ભેખને પાત્ર ખરાં કે નહી ?
હસીને વિહારપુરી પાછળ ચાલતો ચાલતો બોલવા લાગ્યો. “જી મહારાજ, સત્પુરુષના હૃદયમાં જે પદાર્થ લખ થાય તે અલખને પ્રિય જ હોય, કારણ એવાં હૃદય શ્રીઅલખની વિભૂતિઓમાં શ્રેષ્ઠ છે.”
રાધે૦- ગુરુજી પાસે શ્રવણ કરેલું છે કે વિરક્ત જનોનાં મન અન્યથા શીર્ણ થાય છે અને વિકારમાત્ર શાંત થાય છે ત્યારે પણ રંક જીવ ઉપર દયા, સમૃદ્ધ સજજનનો અનુમોદ, દુર્જનોનાં દુષ્કૃત્યોની ઉપેક્ષા, અને અલખની વિભૂતિના દર્શનની પ્રીતિ - એટલે તેમના મનનો સ્વભાવ શેષ ર્હે છે.
વિહાર૦- જી મહારાજ, રાધેદાસ યથાર્થ ક્હે છે.
મ્હેતાજી– મહારાજ, ઈંગ્રેજી વિદ્યા એ સર્વનો અસ્ત કરશે.
સરસ્વતી૦- ઈંગ્રેજોની સત્તાના કાળમાં અને ઈંગ્રેજી ભણેલા રાજા- પ્રધાનની સંમતિથી આ જીર્ણોદ્ધાર થયો છે.
મ્હેતાજી – એ વાત તે સત્ય, કાનની બુટ પકડું છું.
આમ ગોષ્ટી ચાલે છે ને સર્વે ચાલ્યા જાય છે એટલામાં રાધિકેશજીનું મન્દિર આવ્યું. પંદરેક પગથીયાં ચ્હડી તેમાં જવાનું હતું. પગથીયાં ઉપર મ્હોટાં કમાડોમાં થઈ માંહ્ય જવાનું હતું. કમાડની માંહ્યલી પાસે બે સામસામી ન્હાની ઓટલીઓ હતી. તેમાં એક પાસ થોડા દિવસ થયાં એક પોળીયો રાખ્યો હતો, તે એક કપડાનો કડકો પાથરી ઉપર બેઠો બેઠો ચલમ ફૂંકતો હતો. મંદિરને કંઈક ઉપજ હવણાં હવણાંની વધી હતી અને એક સાધુને ભંડારી બાવો કરી અંદર રાખ્યો હતો. સરસ્વતીચંદ્રે આ મંદિરનાં પગથીયાં ઉપર પગ મુકયો ત્યાં ભડારીની ધંટ-ઘડીયાળમાં અગીયારના ટકોરા થયા. તે ગણવા સર્વ પળવાર ઉભા. મંદિરમાં આવી પ્હોચવું, ઘડીયાળનું વાગવું, ઇત્યાદિ નવી સૃષ્ટિએ ચાલતી વાર્તામાંથી સર્વને જગાડ્યા અને નવા જીવનને જોતા ઠર્યા.
એકપાસ મંદિરના આગળનાં મહાદ્વાર અને કોટ, અને બીજી પાસ મંદિરનો મંડપ, અને તેમની વચ્ચે મંદિરની આશપાસ ફરતો ચોક હતો. કોટ અને ચોક વચ્ચે ભંડારી વગેરે મંદિરના સ્થાપક, વ્યવસ્થાપક અને પૂજક વર્ગને માટે અને તેમના સેવકોને પોતપોતાના કામમાં ઉપયોગી થાય એવી એારડીઓ કરી હતી. મંદિરના આગલા મંડપને ત્રણ પાસથી કમાનોવાળા અને કમાડ વગરના ઉંચા દરવાજા હતા. તેની વચ્ચે આરસનો ચોક ને ઉપર ઘુમટ હતો. પાછળ ગર્ભાગાર હતું ને તેમાં સિંહાસન હતું. જોડે શય્યાખંડ તથા જલગૃહ વગેરે રચના હતી.
ન્હાનપણથી મુંબાઈ અને ઈંગ્રેજી અભ્યાસના જ પરિચિત પુરુષને આ દેખાવ નવીન લાગે તે પ્હેલાં તો અંદર હરતા ફરતા તથાં બેઠેલા ભક્તમંડળનાં ગાનકીર્તન એના કાનના પડદા સાથે અથડાવા લાગ્યાં અને એના હૃદયના નિત્ય સહવાસી સંસ્કારોને અદૃશ્ય કરી તેને સ્થાને ચ્હડી બેઠાં.
એક વૃદ્ધ પણ બળવાન બાંધાવાળી સ્ત્રી કોટમાં પાળીયા પાસે સાથરો નાંખી બેઠી હતી અને પોતાની જંઘા થાબડતી થાબડતી અને શરીર આગળ અને પાછળ વીંઝતી વીંઝતી ગાતી હતી. “જાવું છે, જી, – જાવું છે – જાવું છે જરુર ! (ધ્રુ૦)કાયા ત્હારી કામ ન આવે, ઝાંખું થાશે નુર;એવા સરખા આથમી ગયા ઉગમતા અસુર ! જાવું૦મ્હોટે ઘેર હાથી ધોડા હળ અને હઝુર,એવા સરખા વહી ગયા – નદીયોનાં પૂર ! જાવું૦રહ્યા નથી, ર્હેશે નહી, રાજા ને મજુર ;એવા સરખા ઉડી ગયા – આકડાનાં તુર ! જાવું૦એકી સાથે જમતા હતા દાળ ને મસુર !દાસ જીવણ ક્હે, કર જોડી, “ભજી લ્યો ભરપૂર !” જાવું૦
જીવન અને મૃત્યુનો વિચાર સરસ્વતીચંદ્રના મનોરાજ્યમાં એકદમ ખડો થયો. ડોશી ગાઈ રહી તેની સાથે તેના સાથરા ઉપર રુપીયો રાંટો નાંખવાને હાથ ખીસું ખેાળવા લાગ્યો. અંચળાને ખીસું નહી અને રુપીયો તો સ્વપ્નમાં જ હાથે રહ્યાં. ઉદાર હાથે નિરાશ થઈ પાછો ફર્યો અને હૃદયના એક ભાગે બીજાને પુછવા માંડ્યું – “આવું સંસ્કારરત્ન આપનારી આ સ્ત્રીને બદલામાં આપવાનું દ્રવ્ય તે હવે મ્હારી પાસે ન મળે ! હાથ ધરીને કંઈ પ્રતિગ્રહ ન કરનારો હું – તે મ્હારું હૃદય સંસ્કારનો પ્રતિગ્રહ વગર પુછ્યે કરે છે. અથવા બ્રાહ્મણનું હૃદય જ્ઞાન અને સંસ્કારના પ્રતિગ્રહ કરવાને માટે જ સરજેલું છે."
ત્યાંથી પગ ભાગ્યે ઉપડ્યો એટલામાં તો ચોકના બીજા ભાગમાં કોઈ લ્હેંકા કરી ગાતો હતો. તેના લલકારે સંસ્કાર-શેાધકને ઉભો રાખ્યો.“મુકરર મા...નની કહ્યું મ્હા...રું,એક દિન મા...ટીસેં મીલ જા...વું...એક દિન પં...ખીસેં ...ઉડ જા...વું...મુકરર મા.....નની...કહ્યું મહા….રુઉઉઉ….”
મ્હારુના રુનો ઉકાર સાંભળનારનાં કાનમાંથી કાળજામાં પેંઠો અને કાળજું વલોવવા લાગ્યો. રુકારનો રણકારો ઘણો પ્હોચ્યો, સરસ્વતીચંદ્ર દ્હાડી ઉપર હાથ ફેરવતો ઉભો. ગાનારે એટલામાં તો કેટલીક કડીયો પુરી કરી અને વિચારની ધુનમાં આ વચલો ભાગ કાનમાં કે ધ્યાનમાં પેંસે ત્યાર પ્હેલાં છેલ્લી કડીયો સંભળાઈ. ગાનાર ખીલી ખીલીને ગાવા લાગ્યો."જુઠી રે કા..યા.. જુઠી રે માયાજુ...ઠા માલ ફૂટા...યા...જુ...ઠા રે ત્હારાં સગાં સબંધીફો...કટ ફે..રા ખા..યા.. મુકરર૦અંત સમે કોઈ કામ ન આવે,પા..છળથી પસ્તા...વું..,ભોજો ભગત ક્હે ભજી લ્યો ભાઈ !હું ગુણ ગોવિદનાં ગાઉં !..”મુકરર માનની કહ્યું મારું,એક દિન મોટીસેં મીલ જાવું,એક દિન પંખીસે..ઉડ...જાવું...”“ઉડ જાવું..ઉડ..જાવું :” એ અક્ષરો આજ ચિરંજીવ થયા.
“ કાયા જુઠી.. એ સત્ય. ઉડી..જવું... એ સત્ય. ફેરો ફોકટ થયો કે સાર્થક થયો એ બીજો પ્રશ્ન. એ ફેરો કયારે સાર્થક થયો ગણવો એ ત્રીજે પ્રશ્ન. અને એજ સઉથી કઠણ પ્રશ્ન ”
મ્હેતાજી૦- વિહારપુરીજી, આ ગાયું એટલે સુધી બધા ધર્મનો બોધ એક – માયા ખોટી, મૃત્યુ નકી, ને હરિભજન કરી મોક્ષ પામવો ત્યાં સુધી વાંધો નહી, પણ કીયા હરિને ભજવો? વિષ્ણુને, શંકરને, શક્તિને, ખ્રીસ્તને, કે મહમદ પેગમ્બરને ? પેલા મંદિરમાં હતા ત્યાં શિવકીર્તન કરવાં અને અહીંયાં રાધાકૃષ્ણનો વિહાર ગાવો. ત્યારે સાચું તે શું ? રાધેદાસ - શિવ ઓર વિષ્ણુ તો એક જ હય.
મ્હેતાજી - જો એક જ છે તો આ અનેક નામ ને અનેક મૂર્તિઓ ને અનેક કથા પુરાણને ભજન શું કરવા જોઈએ ? બધું એ એકજ કરોની કે આ નકામી કડાકુટ, નકામાં ખરચ, ને નકામા ઝઘડા ન થાય ! ગોળ મટોળ મ્હારા શિવજીને પાણી પાંદડાની સોંઘી પૂજા કરવી મુકી આ ઢોંગ ને ખરચ શું કરવા કરવાં !
વિહાર૦- મ્હેતાજી, અલખ તો એકજ છે. પણ તે જ્ઞાનમાર્ગનું લક્ષ્ય છે. લખ પણ એક જ છે – પણ તેના વિહાર અનેક છે અને તે ભક્તિમાર્ગનું લક્ષ્ય છે. માટે જ ભક્તિ બહુમાર્ગિણી અને બહુરૂપિણી છે. તેમાંથી જે માર્ગે, જે રૂપે, ભક્તિ પામો તે ભક્તિથી ભક્તિનું પરમ સાધ્ય લખરૂપ પમાય છે.
મ્હેતાજી – પણ અનેક માર્ગ અને અનેક રૂપમાંથી લેવું કીયું ને પડતું કીયું મુકવું?
વિહાર૦– અધિકાર પ્રમાણે.
મ્હેતાજી૦- શિવ ભજવા કે વિષ્ણુ ભજવા તેમાં અધિકાર શો?
વિહાર૦– જો બચ્ચા, અધિકાર સર્વમાં છે. લખરૂપનો અનેક લહરીવાળો પ્રવાહ સર્વ પાસ મહાસાગર પેઠે ચાલી રહ્યો છે. તેમાંની લહરીઓ કેણી પાસ જાય છે? જેની પાછળ જે હોય તેની પાછળ તે જાય છે. તેમજ પિતા પાછળ પુત્ર ને પિતાની ભક્તિ પાછળ પુત્રની ભક્તિ. સર્વ ધર્મ અને સર્વ ક્રિયાઓ સમીપસ્થ પદાર્થોને ઉદ્દેશી વર્તે છે. પિતા કોણ ને પુત્ર કોણ? તેમના પરસ્પર સામીપ્યથી તેમના શરીરના ધર્મ રચાય છે. અનેક બાળકોને ભુખ્યાં ર્હેવા દઈ પોતાના બાળકને સ્તન્યપાન આપવું તે માતાનો ધર્મ ને બાળકનો ધર્મ છે. તેમજ કુટુંબનો ઈષ્ટ દેવ સ્વીકારવા તે બાળકને શીખવવું એ કુટુમ્બનો અધિકાર.
મ્હેતાજી૦– ત્યારે તો કુળધર્મ છોડવો નહી.
વિહાર૦- નહી.
સરસ્વતીચંદ્ર રસથી સર્વ સાંભળી રહ્યો હતો તેણે પુછ્યું : “વિહારપુરીજી, એ ઉત્તરમાં દોષ નથી !”
વિહારપુરી આગળ આવી પુછવા લાગ્યો: “ જી મહારાજ, ક્યા દોષ આતા હે?"
- ૧. સ્તન્ય એટલે ધાવણ - તેનું પાન.
સરસ્વતીચંદ્ર - કાલ સવારે ગુરુકૃપાથી મ્હારોજ કુળધર્મનો અધિકાર બદલાયો તમે દીઠો.
રાધે૦- એ વાત તો સચ.
વિહાર૦- જી મહારાજ, મ્હારી ચુક થઈ. મ્હેતાજી, તમારું સમાધાન અમારા નવીન જૈવાતૃક કરશે ને તેનો અમને પણ લાભ મળશે.
સરસ્વ૦- આપને વિદિત હશે કે जन्मना जायते शूद्रः संस्काराद् द्विज उच्यते.
વિહાર૦- હા, જી.
સરસ્વતી૦– જન્મથી ભક્તિમાર્ગમાં જન્મ્યો હોય તે સંસ્કારથી જ્ઞાનમાર્ગમાં જાય.
મ્હેતાજી– પણ જ્ઞાનમાં જાય તે કંઈ ભક્તિને વખોડે કે?
સરસ્વ૦- વખોડવાની કાંઈ આવશ્યકતા નથી. ઉપલે પગથીયે ચ્હડીયે એટલે નીચલા સાથે કાંઈ સંબંધ ર્હેતો નથી. નવો સંબંધ થાય એટલે જુનો જાય. પ્રાતઃકાળેજ વિહારપુરીજીએ ઉપદેશ કર્યો હતો કે અલખનો પ્રકાશ અને અધિકારીની બુદ્ધિ બેના સંયોગથી લખસૃષ્ટિ ઉપરામ પામે છે.
વિહારપુરીનો આત્મા અતિ પ્રસન્ન થયો.
“જી મહારાજ, હું તે અલખનાં રહસ્ય શુકમુખ પેઠે ઉચ્ચારું છું, પણ આપ તેને પ્રકાશિત કરો છો–”
રાધે૦- અને સાથે અમારાં હૃદયકમળને વિકસાવો છો.
મ્હેતાજી - નવીનચંદ્રજી મહારાજ, ત્યારે ભક્તિમાર્ગમાંના અનેકમાંથી કીયો સ્વીકારવો?
સરસ્વ૦- અનેક સંસ્કારોના અનેક પ્રવાહમાંથી જેનો પટ તમારી બુદ્ધિ ઉપર વધારે બેસે તે ઇચ્છાથી કે અનિચ્છાથી તમે સ્વીકારવાના જ.
વિહારપુરી વિચારમાં પડ્યો હતો તે સ્મરણ વિકસાવી બોલ્યો: “જી મહારાજ, ગુરુજીનું વચન હવે સ્મરણમાં સ્ફુર્યું. આપનું વચન તેને અનુસરતું જ છે. સર્વના સરખા જઠરાગ્નિને દેશ કાળ પ્રમાણે જુદી જુદી જાતનાં અન્નાદિની આહુતિઓ અપાય છે, તેમ સર્વની સરખી ભક્તિવાસનાને માટે એક દેશમાં વિષ્ણુ પ્રિય છે, બીજામાં શિવ છે, ત્રીજામાં પેગમ્બર છે, અને ચોથામાં વિશ્વાસીયોનો દેવ છે. એ સર્વ સંસ્કાર જન્મ અને સહવાસથી અનધિકારીઓને મળે છે. એ ધર્મોમાંથી એકનો ત્યાગ કરી બીજાનું ગ્રહણ કરવાથી અનધિકારી અધિકારી થતો નથી,પણ ઉલટો ભ્રાંત થાય છે તેને માટે જ કહેલું છે કે, स्वधर्मे निधनं श्रेय: भयावह: ॥ પણ અનધિકારી અધિકારી થાય એટલે તો તેને જ્ઞાન સ્વતઃ ઉદય પામે છે.”
મ્હેતાજી – તે તમારા જ્ઞાનમાં પણ કયાં એકપણું બળ્યું છે ? આ જુવો કબીરપન્થી, જૈન, સાંખ્ય, વેદાન્ત વગેરે - અખો ક્હે અંધારો કુવો ને ઝઘડો ભાગી કોઈ ના મુવો - માટે જ તમારા જ્ઞાન કરતાં અમારી જેવી તેવી પણ ભકિત સારી.
વિહારી૦- અલખમાર્ગમાં ભક્તિ તો પ્રથમ સાધન જ છે. યોગજ્ઞાનાદિ તો તે પછી છે. અધિકારનો ક્રમ છે.
મ્હેતાજી - તો ખરું. બાકી આ તો શું ? જ્ઞાનની બડાશો મારવી એ તો સર્વને આવડે ને બડાશો મારવા શીવાય બીજું તો જ્ઞાન પણ નહી ને ભક્તિ પણ નહી.
સઉ વાતો કરતા ચાલતા હતા તે આટલી વાત થઈ એટલામાં તો મંદિરના મંડપનાં પગથીયાં ચ્હડી અંદર આવ્યા. સરસ્વતીચંદ્રને બીજાં વર્તમાન પત્રો મંગાવેલાં તે આપી, સમય થયે મ્હેતાજી શાળામાં ગયા.
મંદિરમાં અત્યારે રાજભોગનો સમય થવાને કંઈક વાર હતી, પણ ધીમે ધીમે લોક ભરાતા હતા. ગામની વસ્તી થોડી હતી તે થોડાં વરસથી વધવા માંડી હતી. તેમાં થોડાથોડા પરગામના યાત્રાળુઓ તો હમેશ આવજા કરતા. મંદિરમાં બહુ ભીડ ક્વચિત્ થતી; પણ શરદઋતુના આકાશમાં આછી વાદળીઓ અંહી તંહી હોય તેમ દર્શન કરવા આવનાર મંદિરમાં અહીં તંહી બેઠેલાં, ઉભેલાં, ચાલતાં, પ્રતિમાને નીહાળી ર્હેતાં, વાતો કરતાં, કીર્તન કરતાં, અને અમસ્તા રાગ ક્હાડતાં, યુવક અને વૃદ્ધ સ્ત્રી પુરુષો અને બાળકોનાં આછાં ટોળાં દ્વારોમાં, પગથીયાં ઉપર, ભીંતે અઠીંગેલાં, ચોકમાં અને મંડપમાં ભરાયલાં, લાગતાં હતાં. કોઈ સ્નાન - આદિ કરી પવિત્ર થઈ ઉઘાડે અંગે ટીલાં ટપકાં સાથે હતાં. મુંબઈવાસીને નિર્માલ્ય લાગે એવાં પણ ગામડામાં તે સુંદર અને આકર્ષક લાગતાં વસ્ત્રો કોઈએ પ્હેરેલાં હતાં. કોઈએ માત્ર અબોટીયાં જ પ્હેર્યાં હતાં. મ્હેતાજી ગયા તે વેળા ત્રણે સાધુવેશ યુવકો આ સ્થાને આવી પ્હોચ્યા હતા. વિહારપુરી અને રાધેદાસ દેવને નમસ્કાર કરી ઉભો. સરસ્વતીચંદ્રનું હૃદય જ મૃદુભાવથી પ્રવણ થયું અને બાહ્ય આકૃતિ સ્વસ્થ જ રહી.
એના જમણા હાથ ભણી એક ભક્ત એક પગે ઉભો રહી ઈષ્ટદેવની સુન્દરતાના અભિમાનની લ્હેમાં દેવને એક ટશે ન્યાળી રહી બીહાગ ગાતો હતો.
રાધે૦- જી મહારાજ, શ્રીકૃષ્ણ પરમાત્માને માટે રાધિકાજી વાસકસજ્જા થઈ આખી રાત વાટ જોઈ રહ્યાં હતાં. સંસારની રાત્રિમાં ભક્ત પણ તેવીજ વાટ જુવે છે, એ વિયોગ અને આતુરતાને કાળે ૨ાધિકાજીએ જેવી રીતે કાળક્ષેપ કર્યો તેનું જ અનુકરણ ભક્ત કરે છે. એ રાત્રિ પુરી થઈ ત્યારે જ રાધાજીને પ્રભુ મળ્યા. સાધારણ કામી જનનો મેળાપ રાત્રે થાય છે. રાધિકાજીની પરા ભક્તિને પ્રભુ વશ થયા તે તો માયાનો અધિકાર ગયો અને આતુર ભક્તિની સીમા આવી ત્યારે. રાધાસ્વરૂપ થઈ રાધિકેશજીનો ભક્તિયોગ ધરતાં ધરતાં આ ભક્તનું હૃદય દ્રવે છે તે જુવો.
સરસ્વતીચંદ્રે દૃષ્ટિ ફેરવી. ગાનાર ભક્તને પોતાના કીર્તનમાં અન્ય પદાર્થનું ભાન જ ન હતું. તે એકનું એક પદ ફરી ફરી ગાતો હતો.“જલસુત૧ વિલખ ભયે, સુરતબીનર. જલસુત વિલખ ભયે! (ધ્રુ૦)હિમસુતાપતિરિપુ*તન પ્રકટે... ખગપતિ૩. ચખ ન પયે૪સુરત૦સારંગસુતા૫. સારંગ૬.લીયો કરપે... સારંગ૭. સ્થિર ભયે: સુ૦સારંગ દેખ રીઝ રહે સારંગ૮.... લે રથ રાખ રહે રે ! સુ૦સારંગસુતઅંક૯. કર લીનો...સારંગચિત્ર૧૦.ઠયે૧૧. ;સુત૦સારંગ દેખ ચૌકે ઓહી સારંગ... લે રથ ભાગ ગયેરે. સુ૦પ્રાત ભયો જબ પ્રકટે કચ્છપનંદન૧૨ , સંતન સુખ ભયે । સુ૦સુરદાસ કહત હરિપ્રતાપ વ્રજવનિતા સુખ લહે.૧૩ સુ૦
છેલી પંક્તિ ફરી ફરી ગાઈ અશ્રુ ભર્યો ભક્ત લાંબો થઈ દેવને સાષ્ટાંગ
- ૧કમળ; રાધાનાં નેત્રકમળ.
- ર.(કૃષ્ણ-ચંદ્રની) સુરત એટલે મુખછબી વિના.
- *કામદેવ, મદન.
- ૩.ખગપતિ= ગરૂડપતિ=કૃષ્ણ.
- ૪.ચખ (ચક્ષુ, આંખ) ખગપતિને પીતી (પામતી) નથી.
- ૫/રાધા.
- ૬.વીણા.
- ૭.હરિણ.
- ૮.ચંદ્રમાનું હિરણ.
- ૯.સારંગ એટલે દીપ; તેનો પુત્ર કાજળ. કાજળનો અંક (નિશાની) હાથમાં કર્યો.
- ૧૦.સારંગ એટલે વાધ. વાઘનું ચિત્ર.
- ૧૧. ઠયે = ચિત્ર્યું.
- ૧૨.કશ્યપનંદન = સૂર્ય.
- ૧૩કૃષ્ણને વિયોગે રાધાએ વીણા લેઈ વિનાદ ઈચ્છ્યો, ત્યારે તે સાંભળવા હરિણવર્ગ અને ચંદ્ર સ્તબ્ધ થઈ ઉભા, રાધાએ વિરહથી ચંદ્રદર્શન ન વેઠાતાં હથેલીમાં કાજળ વડે વાઘ ચિત્ર્યો. તે જોઈ હરણ નાઠાં. ચંદ્રનું હરણ પણ બ્હીન્યુ ને રથ લેઈ નાઠું તે ચન્દ્ર અસ્ત થયો ત્યાં સૂર્ય ઉગ્યો ને કૃષ્ણદર્શન પણ થયાં. એ આ પદનો અર્થ.નમસ્કાર કરી ભીંતને ટેકી ઉભો રહ્યો, અને નેત્ર મીંચાઈ ગયાં. ફરી ફરી
સંભળાતાં સર્વને અર્થ બેસી ગયો.
રાધે૦– નવીનચંદ્રજી, આ ભક્તરાજે ભક્તિનો યોગ શ્રીરાધિકેશના દર્શનમાં સાધ્યો અને વ્રજવનિતાનું સુખ અનુભવે છે – આ પરાભક્તિનો સમાધિ.
સરસ્વતીચંદ્રે ઉત્તર મુખવડે ન દીધો, પણ તેના હૃદયમાં ધ્વનિ થયો:- “'Tis the yearning for the Beautiful ! – for the Beautiful in the Divine. It is the Beauty which the sightseers admire, but to the Bhakta is a trance of intense love. There is a form of beauty floating on the air before his loving eye and singing the sweet melodies of Divine raptures into his wistful ears.”
એક પ્રૌઢ સ્ત્રી મંડપની વચ્ચે દેવનાં દર્શન કરતી કરતી હાથ જોડી ગાતી હતી. તેના આગળ એક તુળસી ભરેલો ટોપલો પડેલો હતો. તેમાંથી લીધેલી એક માળા એના હાથમાંથી લટકતી હતી. એનું શરીર દુ:ખીયું અને દુબળું હતું. એના ગાલ બેસી ગયા હતા. એના વસ્ત્રમાં અનેક થીંગડાં હતાં. આ દુ:ખી અબળાના પગ આગળ એક બાળક પુત્ર એના શરીરને બાઝી ઉભો હતો, અને રહી રહીને રોતો હતો. પણ તે કંઈ લક્ષમાં ન લેતાં આ બાળકની માતા માત્ર દેવને ન્યાળી રહી હતી અને એ પ્રતિમામાં આરોપેલો સર્વવ્યાપી ઈશ્વર સાંભળતો હોય તેમ એના મુખમાંથી ધીરે ધીરે અક્ષર ખરતા હતા.“ મીરાં ભક્તિ કરે રે પ્રકટકી ! નાથ તુમ જાનત હો સબ ઘટકી; (ધ્રુ.૦)રામમંદિર મીરાં દર્શન આવત, તાલ બજાવત ચટકી,પાયલ ઘુઘુરું રુમઝુમ વાગત, લાજ સંભાળો ઘુંઘટકી ! મીરાં૦ધ્યાન ધરત મીરાં ધરણીધરનકો ને સેવા કરત ખટપટકી,શાલિગ્રામકું તુલસી ચ્હડાવત, ભાલ તિલક, માંહી ટપકી ! મીરાં૦વિખના પ્યાલા રાણાજીએ ભેજ્યા ને સાધુ સંગત મીરાં અટકી,હરિચરણામૃત કરી પી ગઈ મીરાં, જેસી જાનત અમૃત ઘટકી. મી૦સુરદોરપર ચલી એક ધારા ને સીર ગગરીપર મટકી,બાઈ મીરાં કહે પ્રભુ ગીરધર નાગર, એસી સુરત બની જ્યમ નટકી ।મીરાં ભક્તિ કરેરે પ્રકટકી! “વિખના પ્યાલા”ની કડી ગાતાં ગાતાં આ સ્ત્રીના નેત્રમાંથી આંસુની ધાર
નિરંકુશ થઈ. છેલી કડી ગાતાં તે ઘેલી જેવી દેખાઈ. તેના અંતર્માં કંઈક ઉંડું દુઃખ હતું. તેના રોતા બાળક ભણી તે દૃષ્ટિપાત પણ નાંખતી ન હતી. અંતે દીર્ઘ નિઃશ્વાસ મુકી, બાળકને એમનું એમ ર્હેવા દેઈ, તુળશીનો ટોપલો લેઈ સામી સામી ચાલી અને સિંહાસન ઉપર ઉંધો વાળ્યો. એ તુળશીની ભેટનો સ્વીકાર થયો જ હોય અને ઈશ્વર ઉપર વિશ્વાસ આવ્યો હોય તેમ આશ્વાસન પામી આ સ્ત્રી સ્વસ્થ વદનથી પાછી આવી, બાળકને ઉચક્યું, અને તેની પાસે ઠાકોરજીને “જયજય” – “જે જે કરાવી” એક પુરાણી ભાગવતની કથા કરતો હતો તેની પાસે બાળકને ખોળામાં લેઈ સાંભળવા બેઠી.
આ સર્વ પ્રત્યક્ષ કરતો કરતો સરસ્વતીચંદ્ર ક્હેવા લાગ્યો; “વિહારપુરી, આ સ્ત્રી બહુ દુ:ખી હશે અને તેના અનાથ હૃદયમાં એની ભક્તિએ આશ્વાસક અમૃત રેડ્યું તે આજે પ્રત્યક્ષ કર્યું. સુખી જીવને ભક્તિથી શું થાય છે તે જોવાનું બાકી રહ્યું.”
વિહાર૦- “જી મહારાજ, તે પણ ક્યાંક લખ થશે.”
આ ઉત્તર કાનમાં પ્હોચતાં પ્હેલાં તો કુમુદસુંદરી સાંભરીઃ “ કુમુદ ! દુઃખી કુમુદ! આવા જ દુઃખથી તું ડુબી ! ત્હારાં જેવાં કેટલાં સુંદર પુષ્પો દુઃખના ભાર નીચે કચરાઈ ચીમળાઈ નિર્માલ્ય થઈ ધુળ ભેગાં લોકના પગનીચે છુંદાતાં હશે ! - ત્હારા જેવીજ આ દુ:ખીયારી ! તેના જેવું આશ્વાસન તને ન મળી શકયું ! ઈંગ્રેજી વિદ્યાએ ન આપ્યું, સંસ્કૃત વિદ્યાએ ન આપ્યું, માતાપિતાએ ન આપ્યું, મ્હેં ન આપ્યું ! – તે અમૃત આ રંક અશિક્ષિત સ્ત્રીને આ સ્થાને મળ્યું ! – આજ જે સુન્દર દુ:ખી મુખ દીઠું તે જ તું ન હોય ! તું તે હોય - તો - તને આવું અમૃત ન મળે ? ત્હારાં દુ:ખમાં આ અમૃતથી શાન્તિ ન વળે ? એ શાંતિ આપવી તે મ્હારા અધિકારમાં નથી. – આ ભેખ – હવે બુદ્ધિધનના ઘર જેટલું ૫ણ – આશ્વાસન આપવા દે એમ નથી ! પ્રમાદધન મુવો. તું વિધવા થઈ. સુંદરગિરિ ઉપર આવી, અલખની સ્વતંત્રતાને પ્રાપ્ત થઈ. મ્હારા અપરાધનું પ્રાયશ્ચિત્ત શક્ય થયું - પણ... આ ભેખ... પણ તું તે હોય ખરી ! મળતાં મ્હોંનાં માણસ જગતમાં ક્યાં નથી હોતાં ? – સર્વથા આ સંકલ્પવિકલ્પ અપ્રાપ્તકાલ છે."
મન સ્વાધીન થયું અને વિચાર બંધ પડ્યા. દેવના સિંહાસન પાસે ઉભી ઉભી એક સુન્દર મુગ્ધા ગાતી હતી. તેનાં વસ્ત્ર ભગવાં હતાં, પણ મુખ અને અવયવોમાં લાવણ્ય અને લાલિત્ય ઉભય હતાં. બે ત્રણ પુરુષો કેટલેક છેટેથી તેના સામી વિકાર ભરેલી દૃષ્ટિ કરી ઉભા હતા. પણ એની આશપાસ બીજી સ્ત્રીયો કીલ્લો રચી ફરી વળી હતી, એને વચ્ચેનો માર્ગ જરા વધારે રાખી તેમાં આ મુગ્ધાને રાખી હતી. એ બાળા ચંદ્રાવલીની ભાણેજ હતી, અને માશીનું અનુકરણ કરી કુમારી ર્હેવાનો નિશ્ચય કરી બેઠી હતી અને સાધુજનોમાં એવા નિશ્ચયવાળી સ્ત્રીયો મરતા સુધી પરણે નહી તેની નિન્દા થતી ન હતી. આ મુગ્ધા પોતાના મનથી શ્રીકૃષ્ણપરમાત્માને જ વરેલી હતી અને તેમ સમજી તેવા જ હાવભાવ કરી દેવને ઉદ્દેશી ગાતી હતી.“આવત મોરી ગલીયનમેં ગિરિધારી !આવત મોરી ગલીયનમેં ગિરિધારી !”
ગલીને એક છેડે પોતે હોય ને બીજે છેડેથી પ્રિયજનને આવતો દેખી આંખોને હાથ તે છેડા ભણી લંબાવતી હોય તેમ કરવા લાગી અને પ્રિયજનને જોઈ શરમાતી મુગ્ધા મ્હોં સંતાડતી હોય તેમ અચિન્તી પાછી હઠીને મ્હોંપર લાજ તાણવા લાગી.“મ્હેં તો છુપ રહી લાજ કુમારી,“આવત મોરી ગલીયનમેં ગિરિધારી !-“મ્હેં તો છુપ રહી . . લાજ . . કુમારી . . આવત૦”
મ્હોડું ઉઘાડી નાંખી શ્રીકૃષ્ણને આલિંગન દેવા બે હાથ પ્રસારતી હોય અને ઉમંગમાં આવતી હોય તેમ કરી બોલી.“વૃન્દાવનમેં મીલ ગઈ મોહન,“છુપ રહી રાધે જ્યું પ્યારી ! આવત૦"
એ ગાતી ગાતી દોડી જઈ મૂર્તિના પગને બાઝી ચુમ્બવા લાગી.
વળી આઘી ખસી તેને દૃષ્ટિપાતથી લલચાવવા દષ્ટિ નાંખી, મન્મથન ઘેનમાં આવી ડોલતા મદનવશ પ્રિયને સમાનભાવથી ક્હેતી હોય તેમ લ્હેંકાતે ધીરે સ્વરે હાથ લંબાવી ધીમી ધીમી મૂર્તિ ભણી જતી ગાવા લાગી“મીલ જાવ, મનમોહન પ્યારે !“મોહન પ્યારે! નન્દદુલારે!–મીલ !–”
સરસ્વતીચંદ્રના હૃદયમાં વીજળીના કડાકા પેઠે ધ્વનિ થયો ! ૧ ) “ I swear – I swear – there is no lascivious note in these lines of our good friend Dayârâm in spite of all that libidinous veneer over them which is meant to dazzle and catch into its flame the unlearned worldly sinking soul in order that she may rise there from like the phœnix into the heaven of Devotion. Is then this a lewd religion as they say ? Is this mere worship of the fetish as they say ? Most certainly not. As I understand and realize the depth of this sweet girl's heart, she is not more distant from the highest purity and the abstractest devotion than Cowper was when he loved and worshipped the Eternal Fair in his Olney hymn. The girl's vision is at this moment stretched over the vistas of Infinity and Beauty and Love far beyond this man - manufactured Idol, far beyond this Temple of clay and stone, exactly like the vision of Byron's Dying Gladiator looking at his distant Dacian dame and children as if they were present before his eyes in the midst of the Roman audience against whom he had closed them. Her ideal is sweet and harmless, and has all the pleasure and sport which they in the West get from their balls and dances ! If there be no vice in the latter, surely there is none in this – the former. And have my countrymen a right to object to all this as being a wrong side of religion ? No –no-not until the generation that frowns at this can boast of the birth of a new poet of God whose fervor of soul shall be able to soar as high as does the spirit of this song in the child ! And - the Christian missionaries - ? I think I realize what must always make them fail in a country so rich in the light of the Heart., Their only chance lies in waiting until our people become colour-blind on this their light-some land. Are they destined to be so blind ? No - this sweet girl says - No. Keshab Chunder's last stage, too, says – No ! Evil will be that day for India when these temples of divine raptures will have been turned into the soul-less laboratories and workshops of materialistic ideals ! Science I love ! – but not at the cost of this - the sweet living heaven of the poverty-stricken angels of my country. Can't give them up for the highest blessings of the Western civilization ! Poor sweet angels ! You shall live through the din and the turmoil that the world wakes with !”
વિચાર થઈ રહ્યા. કુમુદનું મધુરી-સ્વરૂપ સાંભર્યું, જિજ્ઞાસા સુતેલી જાગી. મન ચંચળ થયું. પગ અસ્વસ્થ થયા. મ્હોટેથી બોલાયું.
“વિહારપુરી, આપણે ચાલશું?”
“જી મહારાજ, ભલે ચાલો.”
સરસ્વતીચંદ્ર વિના સર્વ જણે દેવને પ્રણામ કર્યા. એ અને તે સર્વ જણ પાછા ફર્યા અને મંદિર બ્હાર નીકળ્યા. સામી ચંદ્રાવલી મળી. તેને જોઈ વિહારપુરી આગળ નીકળી ગયો. એ પણ એની પાછળ છેટે ઉંચું જોયા વિના ચાલી ગઈ. ચાલતાં ચાલતાં કંઈક વિચાર થતાં પાછી ફરી, રાધેદાસને પકડી પાડી ઉભી રાખી પુછવા લાગી.
“રાધેદાસજી, ભક્તિમૈયા માર્ગમાં દૃષ્ટ થઈ?”
"હા, હવે તો તે યદુશૃંગ ઉપર પ્હોચી હશે?"
“એની સાથે મ્હારી મધુરી હતી ?”
સરસ્વતીચંદ્ર ઉત્તર સાંભળવા ઉભો.
“કોઈ નવીન ગૃહસ્થ કન્યા તો હતી.”
"તે શ્રાન્ત હતી કે અશ્રાન્ત હતી?"
"અમે આવ્યા ત્યારે બેઠી હતી. જુદા પડ્યા ત્યારે એને તેડી લીધી હતી. એ કન્યા કોણ છે ?" "તમ પુરુષ જાતિની કઠોરતાનો ભોગ થઈ પડેલી એ બાપડી ડુબતી ડુબતી માતાને શરણ આવી જીવી છે."
"જ્યાં ત્યાં અમ પુરુષોનો જ દોષ?"
"છે તે છે."
"એકના દોષને માટે સર્વને દૂષિત ગણવા યોગ્ય નથી."
"રાધેદાસ, ઉત્કર્ષના લોભને હું દોષ કેમ કહું ? જે લાભ મ્હેં રખાવ્યો તેને હું દોષ કેમ કહું ? પણ આપણે આ વાત પડતી જ મુકવી. બિન્દુમતીને દીઠી?"
"મંદિરમાં છે ઠાકોરજી જોડે પ્રણય અને અભિનય કરતી હતી."
"પુરુષનો પ્રણય કરવા કરતાં આ વસ્તુ સારી."
"સત્ય બોલે ત્યાં ના કેમ ક્હેવાય ?"
રાધેદાસ બ્હાર ચાલ્યો. ચંદ્રાવલી અંદર ચાલી. સરસ્વતીચંદ્ર રાધેદાસથી આગળ ચાલતો હતો. વિહારપુરી સઉથી આગળ નીકળી ગયો હતો અને આમની વાટ જોતો માર્ગમાં ઉભો હતો.
ચંદ્રાવલીને બિન્દુમતી સામી મળી અને ભેટી પડી બોલી.
"મૈયા, વિહારપુરી જોડે નવીન કોણ હતું !"
"આપણે શી ચિન્તા !"
"તેની આકૃતિ રમણીય હતી."
"ત્હારે ક્યાં પુરુષનું કામ છે?"
"હું તો સહજ પુછું છું. એ ઘણું કરીને વિષ્ણુદાસજીના અતિથિ છે."
"હેં ! ત્યારે તો આપણે તેનું કામ છે - મધુરીની કથા ત્હેં સાંભળી છે કની ?"
"તે પુરુષ આ ?"
"એમ જ હોવું જોઈએ."
"સૂર્ય ગયે પદ્મિની મીંચાય છે તે યોગ્ય જ છે. મધુરીનાં દુઃખની મધુરતા અને તીવ્રતા હવે સમજાય છે."
"બચ્ચા, તું માજીનું મંદિર બે દિવસ જાળવીશ?"
"હા. કેમ ?"
"મધુરી વિષે મ્હારો જીવ ઉંચો હતો - તે હવે વધારે ઉંચો થયો -"
"તે યદુશૃંગ જવા ધારો છો?"
"હા."
"પણ વિહાર - " “મ્હારે તેનું શું કામ છે? મધુરીને સુખ કરી પાછી આવીશ.”
“ભલે. જાવ ત્યારે.”
“કોઈ સ્ત્રીયોને ત્હારી સાથે ર્હેવાનું કહીશ.”
“કયારે જશે ?”
“તે બેટ જઈને નિર્ણય કરીશું.”
“ભલે.”
“અથવા – બિન્દુબેટા, તું પણ મ્હારી સાથે જ ચાલજે, મંદિર કોને સોંપીશું.”
“કેમ વિચાર ફેરવ્યો ?”
“શરીર એકલું પડે ત્યારે કાળજું હાથમાં ન ર્હે — તો વિપરીત થાય. બેટા, જેને એવું ભય હોય તેણે કોઈ ન મળે તો બોલતું બાળક પણ સંગતમાં રાખવું.”
“માશી, સાધુજનોનો કાળ સર્વદા મનને આમ અંકુશમાં રાખવામાં જ જતો હશે ?”
“સંસારમાં જન્મ લેનાર સર્વને માટે એ સાધુચરિત ઉચિત છે, તો સાધુનો આ ભેખ ધરે તેનું તો પુછવું શું?”
“પણ વિવાહિત જનોને એ પ્રયાસની આવશ્યકતા નહી ર્હેતી હોય?”
મન્દ સ્મિત કરી, મુગ્ધાને ચુમ્બન કરી, તેને વાંસે જરીક થાબડી, ચંદ્રાવલી બોલી.
“બેટા, અનેક ભોગ અને ભોગનાં સાધન હાથમાં છે તેને પણ સંતોષ દુર્લભ છે તે પામવાને આવું સાધુચરિત જોઈએ છીયે તો ત્હારા જેવી આ ન્હાની સરખી કોમળ દેહલતિકાને શ્રી અલખ ભગવાનના અશરીર યોગથી તમે ર્હેવા માટે કેટલું જાગૃત ર્હેવું પડે વારું ? બેટા બિન્દુ, તું અને મધુરીના વયમાં બહુ ફેર નથી. ત્હારી સાથે એ મન મુકી વાત કરશે ને એને સુખી કરવામાં તું સાધનભૂત થાય તો એ પુણ્ય ત્હારે ઓછું નથી. માટે પણ મ્હારી સાથે ચાલ. મન ઉપર જય, માજીનો યોગ, અને અન્ય જીવોને સુખી કરવા: એ ત્રણ કામ પુરાંથાય તો સાધુજીવનનું ફળ પૂર્ણ મળ્યું ગણવું.”