‘સાધો...’ આપણા ગામ... નગરથી થોડે દૂર કોઈ ને કોઈ દેવસ્થાન; મંદિર, મહાદેવ; મઠ કે આશ્રમ આજ સુધી હતા. આજે ય ક્યાંક ક્યાંક છે. તેના પૂજારી; મહંત કે સ્વામીઓ, તેમના સ્થાને રહી ઉંબર પરના દીવાની જેમ અંદર-બહાર અર્થાત્ આત્મકલ્યાણ સાથોસાથ લોકકલ્યાણનો અજવાસ તેમના વિસ્તારમાં પાથરતા. સમાજથી દૂર રહી; સામાજિક વ્યવહારોથી પર રહી જીવતા આ સાધુ; સંતો, મહંતોની ભૂમિકા પ્રાચીન ઋષિપરંપરાના અને ગુરુકુળના આચાર્ય જેવી હતી. જે; એમના શિષ્યોએ અને અનુયાયીઓને સ્વસ્થ જીવન માટે કેળવતા. આવાં ધર્મસ્થાનો; આવાં સંત-વ્યક્તિત્વો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર હતાં. || બરાબર આવી વ્યવસ્થામાં અકસ્માતે આવી ગયેલ વ્યક્તિ જે તે સ્થાનને; પદને; પરંપરાને પાત્ર ઠરવા માટે પોતાને જે રીતે તૈયાર કરે છે તેની; તથા બચપણ; યુવાની અને પ્રૌઢાવસ્થાના સમયગાળામાં કથાનાયકને થતાં દ્વંદ્વ; દ્વિધા અને અવઢવની, ચિંતા અને ચિંતનની આ કથા છે. કથાની અનુભૂતિ અને અભિવ્યક્તિ નરી નકરી સચ્ચાઈભરી છે. સુખસગવડ અને ઐશ્વર્ય સામાન્ય માણસને અલભ્ય છે, પણ જેને સુલભ છે તેને, એ સુખસગવડ અને ઐશ્વર્ય વચ્ચે પણ ‘જળકમળવત્’ રહેવાની શરત પાળતી ભગવી સાધુતાની પડછે, જીવી રહેલા નાયકના અંતરમનમાં થતાં ખળભળાટ અને ઊથલપાથલનું અહીં આલેખન છે. || આઝાદી પૂર્વે રાજસત્તાની સમાંતરે જબરો પ્રભાવ હતો. દશનામ ગોસ્વામી સંપ્રદાય પણ તેના સંતો, મહંતોના સંયમી જીવન અને સેવાકાર્યો થકી સમાજમાં આદર અને શ્રદ્ધાને પાત્ર હતા. આઝાદી પછી બદલાયેલી સમાજવ્યવસ્થામાં તમામ ધર્મ અને સંપ્રદાય, આધુનિક ટૅક્નૉલૉજીના પ્રભાવે એકકોર રહી ગયા. જેનો સૂર્ય સદીપૂર્વે મધ્યાહ્ને હતો, તે હવે અસ્તાચળે છે. ‘સાધો...’ એક કાલ્પનિક નવલકથા છે. સાધુજીવનની સાવ જ નવીન દુનિયામાં લઈ જતી આ ભારતીય કથા વાચકોને ગમશે. Read more