shabd-logo

સ્ત્રીસંભાષણ સંપૂર્ણ નાટક

10 November 2023

2 જોયું 2


સ્ત્રીસંભાષણ


article-image
article-image
article-image
article-image
article-image


કુટુંબ ૧.શેઠ હીરાચંદ, ઉમર વરસ૬૦.તેમની સ્ત્રી શેઠાણી પ્રેમકોરબાઈ, ઉમર વરસ૫૦.બીજી સ્ત્રી 'નવીબાઈ'[૧] , ઉમર વરસ૩૦.પ્રેમકોરનો દીકરો, ઝવેરચંદ, ઉમર વરસ૩૨.તેની વહુ નવલવહુ, ઉમર વરસ૨૧.તેનો દીકરો, મલુકચંદ, ઉમર માસ૬.દીકરે અંબા, ઉમર વરસ૮.


કુટુંબ ૨શેઠ માણેકચંદ, ઉમર વરસ૩૬.શેઠાણી મંછીવહુ, ઉમર વરસ૩૦.તેનો દીકરો તારાચંદ, ઉમર વરસ૮.શેઠેની બેહેન હરકોર બાઈ, ઉમર વરસ૪૦



પ્રકરણ ૧ લું

મંછીવહુ :(માણકચંદ શેઠને કહે છે) સાંભળો છો ?

(ધણીધણિયાણીએ એકબીજાનું નામ લેવાનો ચાલ નથી, માટે સાંભળો છો? એમ કહીને બોલાવે છે.)માણકચંદ :શું કહો છો ?મંછી :હીરાચંદશેઠની હવેલીમાં હાલ ચિત્ર ઘણાં સારાં બનાવ્યાં છે, એમ લોકો કહે છે માટે અમારે જોવા જવાની મરજી છે, તે તમે કહો તો જઈએ.

(બાયડિયોને કોઈને ઘેર જવાની મરજી હોય, તો ધણીની રજા વિના જવાય નહિ.) માણકચંદ :ઠીક છે, પણ આજ તો હીરાચંદ શેઠ પોતાને ઘેર હશે, ને કાલે શાહીબાગમાં જનાર છે, માટે તે ગયા પછી તમે શેઠાણી પાસે જવું હોય તો જજો, કેમકે શેઠ બેઠા હશે, ત્યારે તમારાથી શી રીતે ચિત્ર જોવાશે?

(જે સ્ત્રીની ધણીથી બીજો પુરુષ મોટી ઉમરનો હોય, ત્યારે તેની લાજ કાઢવી પડે છે, માટે તેવો પુરૂષ બેઠો હોય, ત્યાં એ સ્ત્રીએ ઊંચે સાદે બોલાય ચલાય નહિ.)મંછી :(બીજે દહાડે કહે છે) તમે કાલે કહ્યું હતું, કે કાલે જજો તે હવે આજ જઈએ ?માણકચંદ :કોણ કોણ જશો ?​(ઘણું કરીને સ્ત્રીએ કોઈને ઘેર એકલાં જવાય નહિ.)મંછી :હરકોર બા, તારાચંદ, ને હું એ ત્રણે જઈશું.

(નણંદને બા કહેવાનો ચાલ છે)માણકચંદ :ઠીક છે. પણ પહેલું કોઈને મોકલો, તે હીરાચંદની વહુને પુછી આવે કે, અમારે મળવા આવવું છે, તે કયે વખતે આવીએ ?(પહેલી ખબર આપવાનું કારણ, કે ઘરમાં બેઠાં હોય ત્યારે ગમે એવા લૂગડાં પહેર્યાં હોય, તેથી કોઈ આવનાર હોય ત્યારે સારાં લૂગડાં ઘરાણાં પહેરવાનો ચાલ છે.)

પછી ચાકરને પૂછવા મોકલ્યો, તે પૂછી આવ્યો કે, દિવસના બાર ઉપર ત્રણ વાગતે આવવું. (એ વખત ફુરસદની હોય છે. પછી તૈયાર થતાં વાર થઈ, ને બાર ઉપર પાંચ વાગતા હીરાચંદ શેઠને ઘેર પહોંચ્યા.)(મુકરર કરેલા વખતે બાઇડિયો કોઈ દિવસ તે કામ કરે નહિ, કારણ કે તેમનામાં ઘણી સુસ્તી હોય છે.)

ઘરબહાર ઊભાં રહીને ચાકરને કહેવા મોકલ્યો, તેણે જઈને હીરાચંદની વહુને કહ્યું.ચાકર :માણેકચંદ શેઠના ઘરનાં મળવા સારૂ આવ્યાં છે.પ્રેમકોર :ઓ નવલવહુ, ઊઠો ઊઠો, તમે તો હજુ સુધી ચોટલો ગુંથો છો, ને માણેકચંદના ઘરનાં તો આવ્યાં.​(અહીં પણ સુસ્તી ઘણી એમ જાણવું)પ્રેમકોર :(ચાકરને કહે છે) જા, કહીએ કે આવો. પછી પેલાં આવ્યાં; ને જોયું તો હીરાચંદ ઘરમાં બેઠા હતા; એટલે શરમ પામીને બહાર ઊભાં રહ્યાં; એટાલે પ્રમકોર શેઠાણીએ શેઠને કહ્યું કે,

(હીરાચંદની વહુમાં એટલી અકલ ના આવી કે શેઠ ઘરમાં બેઠા છે ને પેલાં શી રીતે આવશે.) પ્રેમકોર :સાંભળો છો ?શેઠ :શું કહે છે ?

(ઘણું કરીને પોતાની સ્ત્રીને માન આપીને બોલાવવાનો ચાલ નથી, માટે શું કહે છે એમ કહે છે પણ શું કહો છો, એમ નથી કહેતા)પ્રેમકોર :ઊઠો ઊઠો,દોકાનમાં જઈને બેસો. માણકચંદના ઘરનાં મળવા આવ્યાં છે. તે બહાર ઊભાં થઈ રહ્યાં છે.

(શેઠ ઊઠીને બહાર ચાલતાં વળી પાછા વળીને બોલ્યા)શેઠ :ઝવેરચંદ !

( દીકરાનું નામ લઈને પોતાની સ્ત્રીને બોલાવવાનો ચાલ છે)પ્રેમકોર :શું કહો છો ?શેઠ :માણકચંદ શેઠનો દીકરો સાથે આવ્યો હોય તો તેના હાથમાં શેર મિઠાઈ આપવી જોઈયે.પ્રેમકોર :સારૂં આપીશું.

પછી શેઠ ગયા એટલે પેલાં ઘરમાં આવ્યાં​પ્રેમકોર :(પોતાના ચાકરને કહે છે) અલ્યા ચાલ્ય ઝટ, અહીં એક નાની જાજમ લાવીને પાથર.ચાકર :પાથરું છું.

માણકચંદની વહુએ પ્રેમકોરબાઈને પગે પડાવા માંડ્યું ( વહુ હોય તે વૃદ્ધ અથવા પોતાથી મોટી હોય તેને પગે પડે છે)પ્રેમકોર :નાના, રહેવા દો; તમે હવે શું મારે પગે પડશો. તમે મારાં જેવડાં કહેવાઓ.પ્રેમકોર :ઓ નવલવહુ, તમે શેઠાણીને પગે પડો.

પછી નવલવહુ પગે પડી. એટલે મંછીવહુ કહે છે કે લ્યો રાખો, ટાઢાંપેટ, વસ્તાંપેટ, દીકરા જણજો, ને ઘર ભરજો!!પ્રેમકોર :આવો આપણે મળીએ, કેમકે ઘણે દહાડે ભેળાં થયાં છીએ.

(એકબીજાને બાથ ભરીને મળવાનો ચાલ છે. તે બારબરીયાંને મળે છે.)મંછી :હા, ઠીક, લ્યો મળીએ. પછી મળ્યાં.પ્રેમકોર :(પોતાના ચાકરને કહે છે) અલ્યા ઊઠને, ત્યારનો શું કરે છે ? જાજમ લાવીને પાથર, સઊ ઊભાં થઈ રહ્યાં છે.)

(ચાકર સુસ્ત, ઘણું કરીને ચાકર કણબી હોય છે.) ચાકર :આવું છું તો ખરો; હું તે એકલો ચેટલુંક કામ કરૂં ? આ થાળીઓ માંજીને આવું છું.

(ચાકરની બેઅદબી)પ્રેમકોર :ઊઠીને પીટ્યા, બળી તારી થાળીયો માંજવી;​બપોરનું કહ્યું હતું, કે આ ઠેકાણે જાજમ પાથરી રાખજે, માણકચંદના ઘરનાં મળવા અવનાર છે.

(ગેરહોશિયાર, કારણ કે પગાર રૂ. ૩)નો હોય છે.)ચાકર :(ગુસ્સામાં ઊભો થયો ને આવી બોલ્યો) આ ઠેકાણે જાજમ હતી તે કુણ લેઈ જ્યું ?પ્રેમકોર :અહીં મેલી હોય ત્યારે કોણ લેઈ જાય તારો બાપ ?ચાકર :હું શું કરૂં, જાજમ તો જડતી નથી, મહીને રૂ ૩) નો પગાર ખાવો, ને કનડાઈને મરી જૈએ છીએ, હું તો મારે ઘેર જઈશ. નથી મારે ચાકરી કરવી.

(ચાકરનો પણ વાંક નહીં કેમકે હમાલનું કામ, ભીસ્તીનું કામ, તથા અરધું બબરચીનું કામ, તે ઉપરાંત પટાવાળાનું કામ પણ તે એકલાને કરવું પડે છે.) મંછી :શું કરવા બીચારા ચાકરને એમ કરો છો ? પાથર્યાનું શું કામ છે ? અહીંયાં હેઠાં બેશીશું.

(કોઈ વખત હેઠળ પાથર્યા વગર બેસવાનો પણ ચાલ છે ખરો.)પ્રેમકોર :હેઠાં તે બેસાય ? લાવને પીટ્યા, જે હોય તે લાવીને પાથર.ચાકર :આ ગાડીનો પડદો છે તે કહો તો પાથરૂં.નવલવહુ :આ જો, આ ઘંટી હેઠે નાની જાજમ પડી, લે પાથર.પ્રેમકોર :ઘંટી હેઠળ કોણે જાજમ મેલી હતી ?ચાકર :મેં મેલી હશે, પણ ભૂલી જ્યો.

(પછી જાજમ પાથરી, તે ઉપર સૌ બેઠાં; ચાકર​થાળીયો માંજવા બેઠો.)પ્રેમકોર :બાર ઉપર ત્રણ વાગતે આવવાનું હતું, ને કેમ મોડાં આવ્યાં ?મંછી :માથા ગુંથવા રહ્યાં ત્યાં વાર લાગી, ને વળી અમારે [૧]બા બહુ થાંથાં છે.હરકોર :હું તો તમારા પહેલી પરવારી હતી; પણ તમે મારા ભાઈને પૂછવા જ્યાં, ત્યાં પોરની પોર વાર થૈ જૈ ને શું ?પ્રેમકોર :જુઓ નણંદ વિના એટલું કોણ કહે ?

(નણંદનો મશકરી કરવાનો હક છે)અંબા :ઓ મોટીમા.

(મોટીમા એટલે બાપની મા)

હું માણકચંદ કાકને ઘેર ગઈ હતી, તે માણકચંદ કાકા ને મંછી કાકી બંને ખુરશીઓ ઉપર જોડા જોડ બેઠાં હતાં

(એ રીતે જાહેરાંત બેસવાનો ચાલ નથી. છાની રીતે બેઠાં હશે, તે અંબાએ દીઠાં હશે.)મંછી :(હશીને બોલ્યાં) મરો તમે અંબાબહેન, બહુ ચાવળાં દેખાઓ છો ને શું ? તમે મરવા અવ્યા છો કે જીવવા ?

(દીકરીને મરો એમ કહેવાય, દીકરાને ન કહેવાય. લોકો કહે છે, કે બહુ ચાવળું એટલે હોશિયાર છોકરૂં, હોય તે ઝાજું જીવે નહિ.)પ્રેમકોર :રસોઈઓ રાખ્યો છે કે તમે રાંધો છો ?

(બાયડીયોની વાતોમાં મુખ્ય તો રસોઈની વતા​હોય છે. ને પછી છોકરાંની, તે પછી ઘરેણું પહેરવાની, શિવાય કામણ ટુમણની, ભૂત વગેરેની તથા લડાઈની.)મંછી :એક બ્રાહ્મણને રાખ્યો હતો પણ બ્રાહ્મણનું રાંધ્યું તો બ્રાહ્મણ ખાય, કે ભેંશ ખાય; તમારા દીયરને પણ કાંઈ ઠીક પડ્યું નહિ. માટે તેને કહાડે મેલીને એક વાણીઆને હમણાં રાખ્યો છે.પ્રેમકોર :અમારે પણ નેમાના બાપને કોઈની કરેલી રસોઈ ભાવતી નથી, મને કહે છે કે મને તો તારા હાથની જ રસોઈ ભાવે છે.

(પોતાને સારી રસોઈ કરતાંઆવડે છે એવી મગરૂરી બતાવી.)મંછી :મારા જેઠે હવે ઘડપણનો રોટલો કે રોટલી તો નહી ચવાતું હોય ?પ્રેમકોર :શેનું ચવાય દાંત બધાય હલે છે, માટે શીરો ખવાય, અથવા બાજરીના રોટલાનો ગરભલો નાના છોકરાંને ખવરાવીએ એવો ખાઈ શકે.મંછી :મારા પીયરના ગામમાં એક વાણીયાની દીકરી નવ વર્ષની આ વર્ષમાં પરણી, તેનો વર એવડો હતો.પ્રેમકોર :તૈં શું છે ? મારે છોકરાં ન થયાં હોય તો તમારા જેઠ આજ પરણે કે નહિ?મંછી :ત્યારે આ તમારા પર સોક્ય આવેલી, તે તમારે છોકરાંની ખોટ હતી ?​પ્રેમકોર :છોકરાં તો મારે થતાં, પણ જીવતાં નહિ; માટે છોકરાંની ખોટ ખરી, ને નાનપણમાં મારે એમની સાથે ઝાઝું બનતું નહિ, એટલે મારા ઉપર સોક્ય લાવ્યા.

(સોક્ય એટલે ધણીની બીજી ઓરત)મંછી :તમારી સોક્યને ને તમારે બને છે ?પ્રેમકોર :બને તો એવું જ તો; સોક્યોને કોઈને બન્યું છે તે બને ?હરકોર :તમારે સોક્ય આવ્યા પછી ઝવેરચંદ આવ્યા કે ?પ્રેમકોર :અરે મા, પથરા એટલા દેવ કર્યા, ત્યારે ઝવેરચંદનું મોં દીઠું છે.

(મતલબ કે દુનિયામાં જેટલા પથરાનો હિસાબ છે એટાલા દેવોની માનતા કરી હતી.)મંછી :હા બાઈ હા, દીકરા તો દેવને દુર્લભ છે, દીકરા કેને ઘેર છે?હરકોર :એવું છે કે જ્યાં ખાવા પીવા નહિ હોય , ત્યાં નરાં છોકરાં હશે. ને ખાવાપીવાનું સુખ હશે, ત્યાં એક દીકરીયે નહિ હોય.

(ગૂજરાતમાં એવું બહુ છે કે મજૂર લોકોને છોકરાં પણ ઘણાં હોય છે. ને પૈસાદાર નથી હોતાં)મંછી :મારે આ એક દીકરો તારાચંદ છે, તે સારૂ કેટલીક બાધાઓ રાખેલી છે. અંબાજીએ જઈને માથાના વાઅ ઉતરાવ્યા, તાબુતની વખતમાં ફકીર કરીએ છીએ, જમીયલાશાપીરને મલીદો કર્યો, એવી એવી હજાર બાધાઓ રાખી પણ હરરોજ માંદો ને માંદો રહે છે.​હરકોર :બાઈ, કાકાબળિયાનો માલ છે.નવલવહુ :ત્યાર પછી તમારે કાંઈ છોકરાં નથી થયાં ?મંછી :ત્યાર પછી બે કસુવાવડો થઈ.

(કસુવાવડ એટલે ગર્ભના મહિના પૂરા ન થતાં જનમીને મરી જાય તે)પ્રેમકોર :હમણાં કાંઈ આશા છે ?

(ફરજન થવાનો સંભવ છે)મંછી :હા, છે.પ્રેમકોર :ભલે બાઈ ભલે, નાહ્યાં કેટલું થયું ? (રૂતુસ્નાન ક્યારે કર્યું છે?)મંછી :આવતી પાંચમે ચોથો મહિનો અધવારશે.હરકોર :ઝવેરચંદ શેઠની વહુને કાંઈ આશા છે કે?પ્રેમકોર :અરે બાઈ, એમને પણ આ મલુકચંદ અવતર્યા પછી બે કસુવાવડો થઈ, એક બે વાર વાએ ગયું, ને ત્યાર પછી બીજો દીકરો છ મહિનાનો થયો છે.

(વાએ ગયું એટલે બે ત્રણ મહિનાનો ગરભ પડી જાય તે)}}નવલવહુ :હરકોરબાઈ તમારે શાં છોકરાં છે?હરકોર :મારે દીકરિયો પથરા ચાર છે.

(એ દીકરીને પથરો કહે છે)પ્રેમકોર :દીકરો એકે નથી થયો ?હરકોર :એક દીકરો છ મહિનાનો થઈને પછો વળી ગયો છે . (મરી ગયો)​મંછી :(નવલને પૂછે છે) મલુકચંદ કેટલા વરાસનો થયો?નવલવહુ :વરસ તો મને ગણતાં આવડતાં નથી, પણ એટલું સાંભરે છે કે ટીડ આવ્યાં હતાં, એ વરસે મલુકચંદ પેટમાં હતો.પ્રેમકોર :ત્યારે દશ વરસનો થયો હશે.નવલ :(હરકોરને પૂછે છે) તમારો દીકરો જીવતો હોય તો આજ કેવડો હોય?હરકોર :અરે બાઈ, મોટો બધો હોય, મારી કાકી મરી ગયાં ત્યારે તે છ મહિનાનો હતો.પ્રેમકોર :અરે મા, કાંઈ દીકરા આવે રાચ્યાં ? શીળી, તાવ, ઓરી , અછબડા હજાર હજાર રોગ છે, તેમાંથી ઉગરે ત્યારે ખરૂં.

(એટલે ભરૂંસાથી ખુશી ન થવું)મંછી :નવલ વહુનું શરીર કેમ પીળું લાગે છે ?પ્રેમકોર :એમનું શરીર કસુવાવડને રોગે એવું થઈ ગયું છે.મંછી :અરરર, કસુવાવડ તો બહુ વસમી; કહેવત છે કે " સો સુવાવડ, ને એક કસુવાવડ."પ્રેમકોર :તમારી આંખ્યો કેમ રાતી છે ?મંછી :મારી આંખ્યો દુખવા આવી છે.પ્રેમકોર :આંખ્યોનું દરદ તો બહુ વસમું છે.પ્રેમકોર :ઝવેરચંદ છ વરસ થઆં આંખ્યો દુખે છે, કંઈ કંઈ ઓસડ કર્યો પણ ફેર પડતો નથી.હરકોર :કાંઈ ઘરનું બાહરનું હોય, માટે કોઈ જાણતું હોય​તેને પૂછાવીએ નહિ?

(ઘરનું ભૂત અથવા બહારનું ભૂત પીડા કરતું હોય)પ્રેમકોર :એક દહાડો શાસ્ત્રી પાઠ બેસાર્યો હતો, તે અમારી કાકીજી અવગતીયાં થયા છે, તે નવલવહુના શરીરમાં આવીને ધુણ્યાં હતાં, ને કહ્યું, કે મારો ગોખલો ઘરમાં કરીને મને બેસારો, તે બેસાર્યો છે, રોજ ધૂપ દીવો કરીયે છીયે, પણ આંખ્યોએ તો કાંઈ ફેર પડતો નથી. (એટલી વાત થઈ ત્યાં પાનાચંદ ઘોડીયામાં સુતો હતો, તે રોવા લાગ્યો)નવલ :ઓ અંબા, ઉઠ ઘુમણી ઘાલ્ય, ભાઈ જાગ્યો.અંબા :(ઊઠી ઘુમણી ઘાલવા ગઈ, પણ પાનાચંદ છાનો રહ્યો નહીં, એટલે બોલી કે) આ તો નથી ઊંઘી જતો હું શું કરૂં?પ્રેમકોર :હાલરડાં ગાતી જા ને હીંચોળતી જા, એટલે ઊંઘી જશે.


અંબા હાલરડાં ગાય છે.



હાલોને વાલો, ભાઈને ઘુમણીયો ઘાલો;
ભાઈ મારો અટારો, ઘીને ખીચડી ચટાડો;
ભાઈ મારો હેવૈયો, ભાઈને ભાવે શેવૈયો;
શેવ પડી છે શેરીમાં, ભઈ રમે છે દેરીમાં;
દેરીયે દેરીયે દીવા કરૂં, ભાઈ મારાનો વિવા કરૂં;
ભાઈ મારો છે વણઝારો, શેરસોનેથી શણગારો;
ભાઈને કોઈયે દીઠો, ફુલવાડીમાં પેઠો;
ફુલની વાડીયો વેડાવો, ભાઈને ઘેર તેડાવો;
ભાઈ મારો છે ડાહ્યો, પાટલે બેશી નાહ્યો.​


પાટલો ગયો ખશીને, ભાઈ ઉઠ્યો હશીને;
કુતરાં જાજો કમાડ, ભાઈને રોતો રમાડ;
સુઈ રે , હાલ્ય હાલ્ય.(છોડી હોય તો બેનને ઘુમણીયો ઘાલો, બેન મારી અટારી, ઘીને ખીચડી ચટાડી. એ વગેરે રીતે ગાય છે.)અંબા :એ માડી, આ તો નથી ઉંઘતો.નવલ :ઊતાવળા હીંચકા નાંખ, ને હાલો ગાતી જા, એટલે ઊંઘી જશે.


વળી અંબા ગાવા લાગી



હાલ્યવાલ્યને હુવા, લાડવા લાવશે ભાઈના ફુવા;
ફુવાના શા આંકા, લાડવા લાવશે ભાઈના કાકા;
કાકાના શા મામા, લાડવા લાવશે ભાઈના મામા;
મામાની શી ઓક, લાડવા લાવશે ગામના લોક;
લોકની શી પેર, લઆડવા કરશું આપણે ઘેર;
ઘરમાં નથી ઘી ને ગોળ, લાડવા કરશું આપણે પોર;
અલો લો લો લો હાલ્ય હાલ્ય.અંબા :સુઈ રહે, નહિ તો બાઘડો બોલે છે, તે હમણાં આવીને લઈ જશે.પ્રેમકોર :ઝાઝી વારથી સુતો છે, તે હવે નહીં ઊંઘે. લ્યો નવલ વહુ ધવરાવો.નવલવહુ :ઓ અંબા, અહીંયાં લાવ્ય, એને ધવરાવું.


(અંબાએ લાવીને આપ્યો.)​મંછી :આવો ભાઈ હું તેડું કે ?નવલવહુ :જાઓ ભા, કાકી પાસે જશો ? ને ફઈને પગે લાગો.હરકોર :(છોકરાને માથે હાથ ફેરવીને આશીષ આપે છે) જીવતો રહેજે, ને સો વરસનો ઘરડો ડોસો થજે, ને તારાં માબાપની ચાકરી કરજે ભાઈ એમ કહીને મીઠડાં લીધાં.મંછી :ચીકાને અફીણ કરાવો છોકે ?

(નાના છોકરાને ચીકો, અથવા કીકો, હલ્યો, ને છોડીને હલી અથવા કીકી કહે છે)પ્રેમકોર :ના અફીણ નથી કરાવતાં; બત્રીશ વાનાની બાળા ગોળીયો કરી છે, તે એક સવારે ને એક સાંજે, કરાવીયે છીએ. (બાળકને તેજાનાની ગોળી ખવરાવે છે, સુખાકારીથી સુઈ રહેવાને વાસ્તે.)

(નવલવહુએ ધવરાવવા માંડ્યો)હરકોર :છોકરાના મ્હો ઉપર સૈડાકાનો છેડો ઓઢાડો બાપા, ઊઘાડે મ્હોડે ધવરાવીએ નહિ. કોઈની નજર કેવી હોય ને કોઈની કેવી હોય; બાળકને નજર લાગતાં વાર ન લાગે.

(સાડીનો છેડો જે માથા ઉપરથી આવેલો નીચે કમરમાં ખોસે છે, તેને સૈડકો કહે છે.)પ્રેમકોર :આપણે તો કહી કહીને થાક્યાં મા; આપણું કહ્યું માનતી નથી, એટલે મેં તો હવે કહેવું પડતું મેલ્યું. વેળાકવેળા નેવાં તળે બેશીને ધવરાવે છે, ઊંબરા ઉપર આતવાર મંગળવારે બેશીને ધવરાવે છે, કાંઇ કહેવાની​જ વાત નહિ.હરકોર :અરર, એમ કરીએ નહિ; બાઈ એ તો ફૂલ કહેવાય; એનાં તો ઘણાં રખોપાં કરવાં જોઇયે. છોકરાં ઉછરેવાં તો મુશ્કેલ છે. અને વળી છાણા ઉપર છાણું ભાગીએ નહિ; દીવે દીવો કરીએ નહિ, આડી સળી રાખીએ; હાથો હાથ મીઠું લઇએ દઇએ નહિ; આતવારે કે મંગળવારે માથાબોળ ન્હાઈએ નહિ; અને પગે પગ ધોઈએ નહિ; કેમકે એ તો અપશુકન કહેવાય.મંછી :એક માદળીયું, ને વજરગોટા, ચીકાની કોટમાં રાખ્યા હોય, નહિ તો વાઘનો નખ મઢાવીને રાખ્યો હોય તો નજર લાગે નહિ.હરકોર :ઝાઝું છોકરાને બહાર ન લેઈ જવા દેઈએ, ને દેરે અપાસરે લેઈ જઈએ તો કાને મેશનું ટપકું કરીયે.

(કોઈ ગાલે પણ ટપકું કરે છે.)મંછી :લાવો લાવો હું તેડું, મને બહુ વહાલો લાગે છે. (પછી તેણે તેડ્યો; એટલે છોકરો તેના ખોળામાં હગ્યો.)નવલ :અરે અરે તમારી સાડી બગડી.મંછી :કાંઈ ફિકર નહિ, મારે શુકન થયા; હાઇ તારી વાણી ફળજો.

(મતલબ કે મારે પણ દીકરો આવજો ને આ રીતે લૂગડાં બગાડજો.)

(નવલવહુએ છોકરાને લીધો, ને ચાકર ને કહે છે.)નવલવહુ :અલ્યા પાણી લાવ્ય, ભાઈને પખાળીએ.​(ધોઈએ)ચાકર :લાવું છું.

(પછી પાણી લાવ્યો, ચાકર રેડે છે, ને નવલવહુ ધુએ છે.)નવલવહુ :અરર, ટાઢું પાણી છે, ઊંનું પાણી નથી ?ચાકર :ઊંનું નથી.નવલવહુ :શા વાસ્તે ઊંનું નથી રાખતો ? રોજરોજ કહીએ છિયે, કે ઊંનું પાણી રાખજે, પણ રાખતો નથી.ચાકર :રાછ્યુંતું પણ ઠરી જ્યું.નવલવહુ :તો પીટ્યા, ઈનામણિયા હેઠે બે લાકડાં હમેશાં સળગતાં રાખીએ નહિ ?ચાકર :હવેથી રાછીશ.નવલવહુ :બળ્યું તારૂં રાખવું, રોજ કહેવું ને રોજ એનું એ છે.પ્રેમકોર :મંછીવહુ, ઊઠો એ સાડી કહાડી નાંખો, ને બીજી સાડી નવલવહુની પહેરો, તમારી સાડી ધોવરાવીને ઘેર પહોંચાડીશું.મંછી :કાંઈ બીજી સાડીનું કામ નથી. થોડોક છેડો બગડ્યો છે, તે ધોઈ નાંખી એટલે થયું. (પછી ધોઈ નાંખ્યો) પાછાં બેશીને વાતો કરે છે.પ્રેમકોર :તમારે શું શું ઘરાણું છે ?મંછી :સાંકળાં છે, કલ્લાં છે, પાટિયાં છે, ને હમણાં અમારે ઘેર વીવા હતા ત્યારે મેં રોઈને હઠ લીધો, ત્યારે બસેં રૂપિયાની એક જવમાળા કરાવી.

(ગરીબ અથવા તવંગર સ્ત્રી વીવાહની વખતે​ઘણું કરીને ઘરાણાં લૂગડાં સારૂં ટંટો લઈ બેસે છે.)હરકોર :નવલવહુને શું શું ઘરાણું છે ?પ્રેમકોર :એમને પણ મોરલ્યું છે તે છે, ને હમણાં વળી એક ચંદનહાર સારૂ છ મહિના થયાં લડાઈ કરતી હતી, તે કરાવ્યો છે.મંછી :જોઈએ કેવો ચંદનહાર છે?નવલવહુ :જુઓ આવો.મંછી :વાહ વાહ, બહુ સારો ઘાટા છે. કેટલા રૂપિઆનો થયો ?પ્રેમકોર :કેટલા રૂપિઆમાં તો આપણે શું સમજીએ? ભાયડા જાણે; પણ કાંઈક કહે છે કે તો ખરા કે રૂ. ૫૦૦નો થયો છે.મંછી :આજ વાત; હવે હું રાત્યે વાળુટાણે કહીશ કે આવો ચંદનહાર મારે વાસ્તે કરાવો.નવલવહુ :હા, ઠીક છે, મારા કાકાજીને રૂપિઆ ઘણાય છે, એક દહાડો, અબોલા લેશો એટલે જખમારીને કરાવશે.

(ધણીનો કાકો તે કાકોજી કહેવાય. અબોલા એટાલે બોલવું નહિ.)હરકોર :અરે અબોલાની શી વાત કહો છો; હમણાં પંદર દહાડા સુધી અબોલા રહ્યા હતા, તે ઘણી મુશ્કેલીથી એક સોનાની સાંકળી કરાવી આપી, ને અબોલા ભાગ્યા છે.તારાચંદ :મા. ચાલોને હવે આપણે ઘેર જઈયે.મંછી :હમણાં જઈયે છિયે.​


"વળી ઘડીએક થઈ એટલે."તારાચંદ :ઉઠોને હવે તો ઘેર જઇયે.

(બાઇડિયોની વાતો ખૂટે નહિ, વાસ્તે તેનો ઘણી વિચાર કરીને નાનું છોકરૂં હોય તેને સાથે મોકલે છે, મતલબ કે ઝાઝીવાર થશે એટલે છોકરૂં રોવા લાગશે, એટલે ઊઠીને ઘેર આવશે.)મંછી :ઓ મલુકચંદ, આ તારાચંદને રમવા તેડી જા.મલુકચંદ :ચાલ્ય ચાલ્ય આપણે રમિયે, ને મારે ભણવાની પાટી તને દેખાડું. પછી બંને જણ આઘા ગયા.તારચંદ :આ લેખણ કેની છે ?મલુકચંદ :અડીશ નહિ, અડીશ નહિ, એ તો ભાગી જાય. મારી લેખણ છે.તારાચંદ :આ તો મારી લેખણ.મલુકચંદ :લાવ ગધાડીના મારી છે.

(ગધાડીના દીકરા)તારાચંદ :તું ગધાડીનો.મલુકચંદ :તારો બાપ ગધાડીનો.તારાચંદ :તારી માનું નાતરૂં.મલુકચંદ :તારી માનું નાતરૂં, રાંડના જો તું આ જઈને મારી મોટી માને કહી દેઊં છું.તારાચંદ :જા, કહી દે ને, તારી મોટી મા શું કરશે ?મલુકચંદ :ઓ મોટી મા, આ તારિયો મને ગાળો દે છે.

(બેઅદબીથી બોલતાં હેમચંદનો હીમલો, પ્રેમચંદનો​પ્રેમલો, તારાચંદનો તારિયો, એ તીતે બોલાય છે. જ્યારે કોઈ ઉપસ્થનું નામ લે છે ત્યારે એમ કહેવાય છે કે એભૂંડું બોલે છે.)તારાચંદ :મને ગધાડીનો કહ્યો, ને વળી.મલુકચંદ :મને મા સામી ભુંડાબોલી ગાળ દીધી.તારાચંદ :તેં મને મા સામી ભૂંડાબોલી ગાળ દીધી કે?પ્રેમકોર :(મલુકચંદને કહે છે) તારી મા તો એની ભાભી થાય, તે ભૂંડબોલી ગાળ એ તો દે, પણ એની મા તો તારે કાકીમા થાય, તેને તેં ભુંડાબોલી ગાળ દેવાય નહિ.

(દીયરનો તથા ભાણેજનો મશકરી કરવાનો તથા ગાળ દેવાનો , હસવા બોલવાનો ચાલ છે, પણ એ ચાલ ખરાબ છે.)}}મલુકચંદ :એ મારી મા સામી ગાળ દેશે તો હું એની મા સામી ગાળ દેઈશ.મંછી :લ્યો હવે તો ઊઠીશું. ઘેર વાટ જોતા હશે.પ્રેમકોર :હમણાં જવાય છે. બેઠાં છો, શી ઉતાવળ છે ? તમે અહીંયા ક્યારે આવો છો ?હરકોર :પેલા સામા ઘરમાં બેઠાં છે તે કોણ છે ?પ્રેમકોર :એ અમારે બેન.

(સોક્યને બેન કહે છે.)નવલ :તમારી સોક્ય ?

(ઘણું કરીને સોક્યની સાથે બોલવાનો વહેવાર ન હોય. કારણ કે લડાઈ હોય છે)​પ્રેમકોર :હા, એ.હરકોર :તમે એની સાથે બોલો છો કે નહિ ?પ્રેમકોર :હું તો મારે બોલું છું, પણ એ તો અમારા ઉપર બહુ ઝેર રાખે છે, ને એને કામણટુમણ પણ બહુ આવડે છે. એક દહાડો ઝવેરચંદે એને ઘેર જઈને પાણી પીધું હશે, તે દહાડાથી ઝવેરચંદની આંખ્યો દુખવા આવી છે, તે પાંચ વર્ષ થયાં પણ મટતી જ નથી. કોણ જાણે રાંડે શું કર્યું છે.

( છોકરૂં માંદુ થાય અથવા ધણીને કાંઈ રોગ થાય ત્યારે અણમાનીતી સ્ત્રીને માથે કામણ કર્યાની અફવાઈ લોકમાં ચાલે છે.)નવલ :એમનું પીયર કીયે ગામ છે?પ્રેમકોર :વડોદરામાં બળ્યું છે.હરકોર :ત્યારે તો, હોય જ તો, વડોદરૂં તો કામરૂપ દેશ જેવું છે. અમારી પડોશણ એક વડોદરાની છે, તેણે પોતાના ધણીને વશ કરવા સારૂ કામણ કર્યાં હતાં, તે કામણ અવળાં પડ્યાં , તેથી ધણીનો જીવ ફરી ગયો છે, ને તે નરગ ચુંથતો થયો છે.

(ગામડાની બાઈડિયો કરતાં શહેરની બાઈડિયો કામણ વધુ જાણે એવું લોકો કહે છે, કારણકે શહેરમાં જતિ વીગેરે જાદુખોર ઘણાં હોય છે.)પ્રેમકોર :હા બાઈ હા, આણે પણ નાનપણમાં ઘણુંએ કર્યું હતું, તમને શું કહું ?હરકોર :એ તમારી સોક્યે અમને દીઠાં ને તે અહીં આવે છે.​પ્રેમકોર :(પોતાને સોક્યને આવતી દેખીને કહે છે) આવોને.નવી :હા આવ્યાં. આજ તો માણેકચંદ શેઠની વહુ, ને હરકોરબાઈ મળવા આવ્યાં છે કે શું?હરકોર :હા આજ તો કહ્યું કે મળી આવીએ, ઘરમાં બેશી રહે દહાડો શે ખૂટતો નથી.નવલ :કેમ કોટમાં ઘરાણું કાંઈ પહેર્યું નથી.

(ઘરેણું ઘરમાં તો હોય પણ જેનું મન ધણીથી ઊદાશ હોય, તે સ્ત્રી પેહેરતી નથી.)નવી :ઠીક છે, જેને ધણીનું માન હોય, તેને ઘરાણું જોઈએ, અમારે તો વાહ વાહ.

(મતલબ કે પ્રેમકોર માનીતી છે, વાસ્તે તેને ઘરાણું કરાવે છે, ને મારે વાસ્તે નથી કરાવતા.)

હીરાચંદ શેઠે જ્યારે એ ટોળીમાં નવીને જતી દીઠી ત્યારે વિચાર કર્યો, કે હવે તરત ઉઠીને સઉ સઉને ઠેકાણે જાય તો સારૂં, નહિ તો માંહોમાંહી લડીને ઉઠશે.

(બાઈડિયો ઝાઝી વાર સુધી ભેળી થઈને બેસે, તો ઘણું કરીને માંહોમાંહી લડીને ઉઠે, ને વળી બે સોક્યો તો જરૂર લડે.)શેઠ :ઓ ઝવેરચંદ.ઝવેરચંદ :જી.

(મોટું માણસ બોલાવે ત્યારે જવાબ દેતાં જી કહેવાનો ચાલ છે.)શેઠ :તારી માને જઈને કહે, કે હવે વાળુની વખત થઈ છે​માટે માણકચંદ શેઠની વહુને એમને ઘેર જવા દ્યો.ઝવેરચંદ :મા, ઓ મા.પ્રેમકોર :શું છે ?ઝવેરચંદ :મારો બાપો કહે છે કે, હવે વાળુની વખત થઈ છે. માટે માણેકચંદ શેઠની વહુને એમને ઘેર જવા દ્યો.પ્રેમકોર :હમણાં જાય છે.ઝવેરચંદ :(શેઠને કહે છે) કહ્યું.શેઠ :કહ્યું પણ એમ નહિ ઊઠે, બાઈડિયોની વાતો ખૂટે નહીં, ને ઝાઝીવાર બેસવા દેવામાં કાંઈ માલ નથી. મરદ પાંચ ભેળા થઈને બેસે તો કોઈનું ઘર મંડાવીને ઉઠે, ને રાંડો પાંચ ભેળી થઈને બેસે તો કોઈનું ઘર ભગાવીને ઉઠે.

(મતલબ કે કોઈ કુંવારો હોય, તેના વીવાહની વાત ચલાવે, ને સ્ત્રીઓ ઘરાણાં વીગેરેની વાતો ચલાવીને, કોઈ સ્ત્રી પાસે થોડું ઘરેણું હોય, તે પોતાના ધણી સાથે ઘેર જઈને ટંટો લઈ બેસે.)ઝવેરચંદ :હા એ વાત સાચી છે.શેઠ :જા જઈને કહે કે ચોવીઆરની વખત થઈ જાય છે.ઝવેરચંદ :ઓ મા, મારા બાપાને ચોવીઆરની વખત વહી જાય છે. (શ્રાવક લોકો દિવસ આથમ્યા પછી ખાવું-પીવું વિગેરે ૨૪ પ્રકારના આહાર બંધ કરે છે તેનું નામ ચોવીસ આહાર)​પ્રેમકોર :ઊઠે છે, એટલી વારમાં શું આકળા થાય છે ?હરકોર :લ્યો હવેતો ઊઠીશું. અમારે પણ વાળુનું અસુર થાય છે.પ્રેમકોર :બેસોબેસો એ તો છોને કહેતા, કાંઈ અસુર થતું નથી. હજી તો ઘણીએ વેળા છે.તારાચંદ :ના, ના, માડી, હવે તો ઘેર ચાલો, મને નથી ગમતું. (એમ કહીને રોવા માંડ્યું.)નવલવહુ :હવે તો તારાચંદ રૂએ છે માટે જઈશું.પ્રેમકોર :ઓ ઝવેરચંદ.ઝવેરચંદ :શું કહો છો?પ્રેમકોર :તારા બાપને કહે કે માણકચંદના દીકરાના હાથમાં મીઠાઈ શેર આપવી છે, તે મગાવી આપો.ઝવેરચંદ :બાપા, મીઠાઈ શેર મગાવે છે.શેઠ :રહી રહીને અત્યારે કેમ કહ્યું ? જાજા, કંદોઈની દુકાનેથી મગાવી આપ.

(ઝવેરચંદે મીઠાઈ લાવીને પોતાની માને આપી.)પ્રેમકોર :લે તારાચંદ.મંછીવહુ :ના ના, મીઠાઈની શી જરૂર છે ?પ્રેમકોર :એમ તો હોય ? તારાચંદ અહિયાં ક્યારે આવે છે.નવલવહુ :હરકોર બા, હવેલીમાં ચિત્ર જોઈશું કે નહિ.હરકોર :હવે અત્યારે ચિત્ર જોવા ક્યાં રહીયે ? રાત્ય પડવા આવી છે.

(બાઈડીઓ વાતો કરવા બેસે ત્યારે જે કામે આવ્યાં હોય તે કામ ભૂલી જાય.)​પ્રેમકોર :ચિત્ર જોવાનું હોય, ત્યારે તો વેળા છતાં આવવું હતું.નવલવહુ :લ્યો ચાલો હવે, વળી કોઈ દહાડો આવીશું.હરકોર :પ્રેમકોરબાઈ, બેસો હવે અમે જઈશું.પ્રેમકોર :ચાલો તો ખરાં, અમારી ખડકી સુધી તો આવીએ. (ખડકી સુધી ગયા.)પ્રેમકોર :હરકોરબાઈ, માણેકચંદ શેઠને મારી આશીશ કહેજો.હરકોર :હો, કહીશું.મંછી :બેસો.

(ચૌટા વિગેરે રસ્તામાં ચાલતાં બાઈડિયો જુદી પડે ત્યારે એક બીજીને બેસો એમ કહેવાનો ચાલ છે.)પ્રેમકોર :તમે આવજો.મંછી :હો, આવીશું, તમે આવજો.હરકોર :આવજો, બેસો.શેઠ :આટલી બધી શી વાતો કરી ?પ્રેમકોર :આવ્યાં હોય, તેને ઉઠાડી મુકિયે કે શું?માણકચંદ :ચીતર જોઈ આવ્યાં કે?મંછી :શું ચીતર જુએ, ત્યાં જઈને બેઠાં, ત્યાં તો સાંજ પડી ગઈ.માણકચંદ :વાતો કરવા બેઠાં હશો, તે બાઈડિયોની વાતનો શે પાર આવે ?



પ્રકરણ બીજું

(બીજે દહાડે ગામડાનો ખેડુત શેલડીઓનો ભારો માણકચંદ શેઠને વાસ્તે લાવ્યો.)ખેડુત :(સીપાઇને કહે છે.) માણકચંદ શેઠ ઘેર છે કે ? આ શેલડીઓ આપવી છે.સીપાઈ :શેઠ તોવાડીએ પધાર્યા છે, ને શેઠાણી ઘેર છે, માટે તેમની પાસે લઈ જા.ખેડુત :લ્યો શેઠાણી સાહેબ, આ શેલડીઓ, હું તમારે વાસ્તે લાવ્યો છું.શેઠાણી :પેલી બાઈડી કોણ છે ?ખેડુત :એ તો અમારી ઘરવાળી છે.શેઠાણી :તમારી વહુ છે ?ખેડુત :હા.

એક અંગ્રેજી કાગળ મારી પાસે છે, તે મારે કોઈને વંચાવવો છે, તે કેને વંચાવું ?}}શેઠાણી :સામા ઘરમાં એક અંગ્રેજી ભણેલો વાણિયો રહે છે, તેને વંચાવ.ખેડુત :એ વાણીઆનું નામ શું છે ?શેઠાણી :એનું નામ મારાથી લેવાય એવું નથી, તારાચંદના બાપના નામે નામ છે.ખેડુત :એનું નામ માણકચંદ શેઠ છે !શેઠાણી :ચંદ નહીં, લાલ કહેવાય છે.​ખેડુત :એનું નામ માણકચંદલાલ છે ?શેઠાણી :ઓ તારાચંદ, અહીં આવ્ય. પેલો અંગ્રેજી ભણેલો તારા બાપને નામે નામ છે, તેનું નામ આ પટેલને કહે.તારાચંદ :"માણકલાલ."શેઠાણી :હા, એ.

તમારા ઘરવાળાં કેમ વેગળાં ઉભાં થઈ રહ્યાં છે ?ખેડુત :માથે આવી છે.શેઠાણી :અટકાવ આવ્યો છે ?ખેડુત :હા.શેઠાણી :આજ કેટલા દહાડા થયા છે ?

(ચોથે દહાડે નાહ્યા પછી અડકાય ત્યાં સુધી ભંગીયાની પેઠે વેગળે રહે છે.)ખેડુત :રસ્તામાં આવતાં અળગી થઈ.શેઠાણી :શી ચિંતા છે ? અહીં બોલાવો, વેગળે આવીને બેસશે.ખેડુત :અલી.

(ગરીબ લોકો પોતાની સ્ત્રીને અલી કહીને બોલાવે છે.)પટલાણી :શું છે ?ખેડુત :શેઠાણી તને બોલાવે છે, માટે તું અહીં આવીને વેગળી બેશ, ને હું આ શેલડીઓની બીજી ભારી છે તે હીરાચંદ શેઠને ઘેર આપી આવું.

(પટલાણી શેઠાણી પાસે બેઠીને ખેડુત હીરાચંદ શેઠને ઘેર ગયો.)ખેડુત :લ્યો શેઠ આ શેલડીઓ તમારે વાસ્તે લાવ્યો છું.​અંબા :બાપા, કાલે મારી ઢીંગલીનો વિવા કરવો છે, તે બધી મારી ગોઠણો ભેળી થશે, તે અમે આ શેલડીઓની જમણવાર કરીશું.

(લૂગડાની પૂતળી તથા પૂતળો પરણાવાની છોડીઓ રમત કરે છે.)હીરાચંદ :ઠીક છે, પણ મલુકચંદનો ભાગ પાડજો.મલુકચંદ :મારા ભાગની શેલડિયો મને આપો. હું પણ મારા ગોઠીઆઓને માંહીથી વહેંચી આપીશ.હીરાચંદ :પારકાં છોઅકરાંને ખવરાવી દેશો નહિ, તમે ખાજો.અંબા :બાપા, એક રંગેત પૂતળી, ને એક લૂગડાની સારી ઢીંગલી ને એક ઢીંગલો, મારે રમવાને માગવી આપો.મલુકચંદ :બાપા મારે વાસ્તે એક ભમરડો, ચકરડી ને કોયલ મગાવી આપો.અંબા :મારે વાસ્તે રૂપાળા દાંતના કુકા (પડા) મગાવી અપજો. (ગામ વળાની સીમમાં ભીમની બેનના પડા છે.)શેઠ :સારૂં, માગાવી આપીશું.પેમકોર :પટેલ, તમે ક્યારે આવ્યા ? સારા છો કે ?

(મુલાકાત થતાં સારા છો ? એમ પૂછવાનો ચાલ છે.)પટેલ :હમણાં હું આવ્યો છું. તમે સારાં છો ?પ્રેમકોર :અહીં આવો, કેમ બે દહાડા પહેલા આવ્યા નહીં ?પટેલ :અમારા ગામમાં મોતીચંદ વાણીઓ મરી જ્યો, એટલે હું આવી શક્યો નહીં.પ્રેમકોર :બોલોમાં, બોલોમાં, એ તો મારો પીત્રાઈ કાકો થાય​છે, તે મારે એનું સ્નાન આવે.

(કોઈ સગો ગુજરી ગયો હોય એવું સાંભળવાથી અભડાય છે.)પટેલ :અરે રામ, રામ, મને શી ખબર કે તમારે કાકો થતો હશે ? હવે તો તમે અભડાયાં.પ્રેમકોર :ઓ ઝવેરચંદ, તમારે પણ સ્નાન કરવું પડશે.ઝવેરચંદ :કોણ મરી ગયું ?પ્રેમકોર :લૂગડાં ઉતારો એટલે કહું.

(જ્યારે કોઈને ગુજરી ગયાનું કહેવું હોય, ત્યારે પ્રથમ લૂગડાં ઉતરાવીને કહે છે, કારણ કે તે લૂગડાં ધોવાં ન પડે.)ઝવેરવંદ :મારા બાપ તરફનું છે કે તમારી તરફનું છે ?

(મતલબ કે બાપના સગાનું છે કે માના પીયરના સગાનું છે.)પ્રેમકોર :મારા પીયરની તરફનું છે.ઝવેરચંદ :કોઈ ઘરડું બુઢું છે, બાળતાલનું છે, કે જુવાન મરી ગયું છે ?

(ઘરડાનું તથા બાળતાલનું મરણ ઝાઝી દીલગીરીનું ન હોય.)પ્રેમકોર :છે તો ઘરડાબુઢાનું.ઝવેરચંદ :કાણ માંડવી પડે એવું છે કે ?

(નજીકનું સગું હોય તો કાણ માંડવી પડે. કાણ એટલે સ‌ઉ સગાંવહાલાં ભેળાં થઈને રોતાં​રોતાં નદીયે નાહાવા જાય છે તે.)પ્રેમકોર :ના, ના, એવાંની કેટલાંએકની કાણ્યો માંડીયે ? ઝાઝાં સગાં તે મહિનામાં બે ત્રણ કાણ્યો માંડવી પડે છે.હીરાચંદ :મારે સ્નાન આવે એવું છે કે ?

(સ્ત્રીનું નજદીકનું સગું હોય તો ધણીને સ્નાન આવે નહીં તો ના આવે.)પ્રેમકોર :જાણ્યામાં તો તમારે તો નહીં આવતું હોય; ને ઝવેરચંદને આવે.હીરાચંદ :ઝવેરચંદ તું વેગળો જા. એટલે મને કહેશે.

(કારણ કે ઝવેરચંદ સાંભળે તો અભડાય.)

(ઝવેરચંદ વેગળે ગયો.)પ્રેમકોર :મારો પીતરાઈ કાકો મોતીચંદ ગુજરી ગયો.હીરાચંદ :ઓહો, એમાં તે શું. એ તો તારા બાપની દશમી પેહેડીએ હશે, તેનું સ્નાન ઝવેરચંદને તે શેનું આવે ? એ તો તારે જ આવે, માટે તું અભડાઈ, તે હવે નાહી લે.પ્રેમકોર :ઓ નવલવહુ, પાણી લાવો, ને ખાળે મેલો, હું નાહી લેઉ.નવલવહુ :લ્યો, આ પાણી નાહી લ્યો.પ્રેમકોર :વહુ, જુઓ મારૂં શરીર ક્યાંઈ કોરૂં રહ્યું છે ?

(શરીર બધું ભીજાયું નહોય તો, જેને અડકે તે અભડાય.)નવલવહુ :ના કોરૂં તો નથી રહ્યું. પણ તમે થોડુંક રૂવો તો ખરાં, રોયા વિના સ્નાન વળે નહીં.

(લોકો કહે છે કે રોયા વિના સ્નાન વળે નહીં.​કોઈ સ્ત્રીની શોક્ય મરી જાય, ત્યારે તે સ્ત્રી ઘણી ખુશી થાય. પણ તેનું સ્નાન કરતાં રોવું જોઈએ ખરૂં.)પ્રેમકોર :હા. એ તો ખરૂં. પણ મને એકલાં રોતાં શરમ લાગે છે.

(નહાવાનું મરણું હોય, ત્યારે ઝાઝાં ભેળાં થઈને રૂવે)નવલવહુ :એમાં શેની શરમ, સ્નાન કરવું તે રોયા વિના ચાલે નહીં.પ્રેમકોર :પછી રોવા માંડ્યું.


(તે નીચે પ્રમાણે)



"મારા ભાગ્વાન બાપરે, તમે તો વખત પહોંચે વહી ગયા."
"તમને તો રામજીના ઘરનાં, તેડાં આવ્યાં રે, મારા દેવચંદ,"
"વીરાને વહેલો ઘેર મોકલજો, તમારાં કારજ કરવાં છે રે,"
"ઓ + દેવચંદભઈ, કાકો ત્યાં આવ્યા છે, તેની ચાકરી કરજો
"બાપની શીખામણ માનીને વહેલા ઘેર આવજો, તારા"
"ઠામ ખાલી પડ્યાં છે. મારા મલુકચંદની જાનમાં, તારા વિના
"કેમ ચાલશે.

(બાઈડીયો પારકે ઘેર મ્હોવાળવા જાય ત્યારે પણ પોતાનું વહાલું સગું કોઈ મરી ગએલું હોય, તેને સંભારીને રૂવે છે, કારણ કે આંખ્યોમાં આંસુ તે વિના આવે નહીં.)નવલવહુ :લ્યો હવે છાનાં રહો થયું. (પછે છાની રહી.)હીરાચંદ :હવે તારા કાકાનું સ્નાન કર્યું તેનો શોગ પાળીશ નહીં ? (શોગ પાળે તે નાતમાં જમવા ન જાય, કસુંબલ લૂગડાં ન પહેરે, ગોળ, ખાંડ, સાકર, ન ખાય)​પ્રેમકોર :એ તો આ વખતમાં ભાગ્યવાન થઈ ગયા, દીકરાને ઘેર દીકરા છે. એવી આડીવાડી મુકીને ગયા. એમનો શોગ હોય નહીં.હીરાચંદ :પણ તારી કાકી રાંડી ખરી કે નહીં ?પ્રેમકોર :તે તો શું કરે, ધણી દીકરા પહેલાં, ચુંદડી મોડિયે જઈએ એવાં તો ક્યાંથી નશિબ હોય ?

(ધણી જીવતાં જે સ્ત્રી મરે તેની લાશને ચુંદડી મોડીઓ ઓઢાડીને બાળવા લઈ જાય છે.)હીરાચંદ :તારે ત્યાં કાણે જવું પડશે કે ?

(કોઈ સગું મરી જાય તેને ઘેર રોવા-કુટવા જવાનો ચાલ છે.)પ્રેમકોર :હું, ને ઝવેરચંદ એક દહાડો કાણે જઈ આવીશું, તમે ઘેર રહેજો.


પ્રકરણ ત્રીજું

મંછી  :તમારી કોટમાં શું રામનામા છે કે શ્રીનાથજીનાં પગલાં છે ?પટલાણી :આ તો શોક્ય પગલુ છે.મંછી  :તમારે શોક્ય મરી ગઈ છે કે શું ?પટલાણી :મારે બે શોક્ય મરી ગઈ છે ને હુંતો ત્રીજી છું. એક શોક્યપગલું ભાગી ગયું છે; તે ફરીથી કરાવવું છે. (જેટલી સોક્યો મરી ગઈ હોય તેટલાં શોક્યપગલાં કોટમાં રાખે છે કારણ કે તે ભૂત થાય તો નડે નહીં)

(એટલી વાત થઈ ત્યાં પેલો પટેલ આવ્યો.)મંછી  :આ તમારે ઘરવાળ આવ્યા.પટલાણી :હવે તો અમે ઘેર જઈશું.મંછી  :વળી કોઈ દહાડે આવજો.પટલાણી :શા સારૂ નહીં આવીએ ? આહીં અમારૂં ઘર છે.

(મતલબ કે તમારૂં ઘર છે તે અમારૂં જ છે.)મંછી  :હજારવાર.

(પછી પટેલ-પટલાણી ગયાં.)

(મંછીવહુએ સાંભળ્યું કે પ્રેમકોરબાઈનો પિત્રાઈ કાકો ગુજરી ગયા એટલે બે ત્રણ બાઈડીઓને લઈને સાંજ ઉપતર હીરાચંદ શેઠને ઘેર મોહો વાળવા ગયાં.)

(જેનું સગું ગુજરી ગયું હોય તેને ઘેર મોહોબતવાળી સ્ત્રીયો સાંજ ઉપર રોવા જાય છે.)મંછી  :(હીરાચંદશેઠના ચાકરને પુછે છે) શેઠાણીનો કાકો મરી ગયા તે આજ મોહો વાળશે કે ?

(જે દહાડે દીકરાને નિશાળે બેસાર્યો હોય, અથવા સગાઈ કરી હોય, કોઈ ગામ જનાર હોય, તો તે દહાડે મોહોવાળતાં નથી.)ચાકર  :હીરાચંદ શેઠે ધોળેરે જવાના છે તે આજ પસ્તાનું કરવાનું છે માટે આજ તો મોહો નહીં વાળે.પ્રેમકોર :આવો, આવો મંછીબાઈ આવો.મંછી  :હા આવ્યાં.પ્રેમકોર :આજ તો મોહો નથી વાળવાં.​મંછી  :અમને તો તમારે ચાકરે કહ્યું. તમારો કાકો કેટલા વરસના હતા.પ્રેમકોર :હતા તો ઘરડા, પણ તેમના દીકરાઓને ઓથ હતી.મંછી  :જો બાઈ એવું ખરૂં જ તો, સો વરસે કાળ પડે તોપણ વસમો લાગે.પ્રેમકોર :દીકરા છે તે ડોસાને અજવાળશે, ને સારૂં ખરચ પાણી કરશે.મંછી  :ઠીક ત્યારે અમે જમવા આવીશું.પ્રેમકોર :સમ ખાઓ જોઈએ.મંછી  :ધરમના સમ.પ્રેમકોર :મારા સમ ખાઓ.મંછી  :તમારા સમ તો ખવાય ?પ્રેમકોર :ધર્મના સમ તો તમે કદાપિ, જુઠા ખાતાં હો ત્યારે.

(જ્યારે દોસ્તીની રાહે સોગન દેવા હોય ત્યારે પોતાના ઘરના માણસના દે છે ને જ્યારે સામા વડિયાને દેવા હોય ત્યારે તેના ઘરના માણસના દે છે.)મંછી  :એમાં શા પાંચ પઇશા મળવાના છે તે ધર્મના જુઠા સમ ખાઈએ. તારાચંદનો બાપ મોકલશે તો આવીશું.પ્રેમકોર :નહીં નહીં, મશ્કરી નહીં, તમારે જરૂર આવવું જોઈએ. ન આવો તો તમને ઝવેરચંદના સમ.મંછી  :અરર, ખમા કરે, ઝવેરચંદને; એવા સમ શા વાસ્તે દો છો ? હું આવીશ.પ્રેમકોર :તારાચંદને સાથે લાવજો, એ તો વિવાહ જેવું કહેવાય.મંછી  :સારૂં લાવીશ; શેનું ખરચ કરશે ?​પ્રેમકોર :જાણ્યામાં તો સાતેવાનાની સુખડી કરશે.

(લાડવા, પેંડા, બરફી, જલેબી, સુતરફેણી, ઘેબર, ખાજાં)મંછી  :હા ? ત્યારે તો બહુ સારૂં.નવલવહુ :બાઈજી.

(સાસુને બાઈજી કહે છે.)પ્રેમકોર :હાં.નવલવહુ :મને તેડી જશો કે ઘેર મુકી જશો ?પ્રેમકોર :તમારો વર કહે તેમ કરજો બાપા.

જે બાયડી ધણીની મનાતી થઈ, તે પછી સાસુનું કહ્યું કાંઈ માને છે ?નવલવહુ :શું તમારૂં કહ્યું હું નથી માનતી ?પ્રેમકોર :બધુંએ માનો છો.

(મતલબ કે કાંઈ નથી માનતી.)મલુકચંદ :મા, મને જમવા મોકલીશ કે નહીં ?નવલવહુ :તારા મોટા બાપા જાણે.મલુકચંદ :હમણાં ને હમણાં તું જઈને મારા મોટા બાપને કહે.નવલવહુ :મેર મેર પીટ્યા, હું તે તારા મોટા બાપને ક્યાં કહેવા જઈશ.

(સ્ત્રીની વરસ ૪૦ની ઉંમર થાય ત્યાં સુધી સસરા સાથે વાતચીત કરવાનો ચાલ નથી.)મંછી  :અરરર, જીભ તો વાઢ્યા જેવી દેખાય છે, દીકરા જેવી​દેહીને એવી ગાળ શું કરવા દેતાં હશો ?નવલવહુ :ત્યારે જુવો છો કે નહીં ? કેવું બોલે છે ?મંછી  :એ તો સમજતો નથી, તે ગમે તેમ બોલે.અંબા  :ત્યારે મારા બાપાને જઈને તું કહેને, મને મોકલે.નવલવહુ :બધું ગોત્ર ગાંડું છે, તેમાં શું.

(વર સાથે પણ જાહેરાંત બોલવાનો ચાલ નથી પણ અંબાએ ઘણીવાર વાત કરતાં દીઠું હશે, તેથી એવું કહ્યું.)પ્રેમકોર :અમારા ગોત્રમાં કોઈ ગાડું નથી. એ તો વીસ વસા મોસાળના.મંછી  :વહુનું નામ નવલવહુ છે કે કાંઇ બીજું હતું ?પ્રેમકોર :એમનું પીયરનું નામ તો તેજકોર છે. પણ મારી નણંદ એક તેજકોર હતી. વાસ્તે એ નામ ફેરવીને નવલવહુ પાડ્યું.મંછી  :એવું શું કરવા નામ પાડ્યું. સાસરામાં તો ઘણું કરીને, રૂપાળીવહુ, મોંઘીવહુ, દીવાળીવહુ, એવાં નામ પાડ્યાનો ચાલ છે ને ?પ્રેમકોર :હા એ તો ખરું. પણ એ તો બધાંય નામ અમારા કુટુંબમાં છે, ને નવલવહુ નામ શું ખોટું છે ?મંછી  :ના એ પણ ઠીક છે.મંછી  :તમારી સોક્યને કાંઇ છોકરાં થયાં હતાં કે નહીં ?પ્રેમકોર :મારા નીસાસા લાગ્યા, તે રાંડની કુખજ ફાટી નહીં.

(કુખ એ શબ્દ બે અદબીનો ગણાતો નથી, કોઈ​સમે મા, દીકરાને કહે છે કે, તું મારી કુખે જનમ્યો હોઉં તો ફલાણું કામ કરીશ નહીં.)મંછી  :નહાય છે ખરાં કે નહીં ?પ્રેમકોર :અટકાવ તો મહીને મહીને આવે છે.

(એટલી વાત થઈ રહી ત્યાં એક કોલણ એક મરદની સાથે લડી)પ્રેમકોર :ચાલો ચાલો કોઈકને લડાઈ થઈ. બારીએથી જોઈયે.કોળણ  :હત મારા પીટા.

(પીટવું એટલે મરનારની પછવાડે કુટવું)મરદ  :પીટ તારા ભાઈને.કોળણ  :તારો ઓસલો કુટું.

(ઓસલો એટલે કુટવું, કાણ, અથવા રાજીઆ.)મરદ  :કુટ તારા બાપનો ઓસલો.કોળણ  :મારા રડ્યા, પાઘડી બળ્યા,મરદ  :પાઘડી બળ્યો તારો ભાઈ, રાંડ ગધાડી.કોળણ  :રાંડ ગધાડી તારી મા.મરદ  :હત, તને નાતરે દઊં.કોળણ  :નાતરે દે તારી બેનને.મરદ  :તને હાલાલખોર પરણે.કોળણ  :પરણે તારી હોય તેને.

(એ કોળણ નો ધણી આવી પહોંચ્યો.)ધણી  :રાંડના, બાઈડી સાથે શું લડે છે. આવ્ય લડવું હોય તો મારી પાસે.મરદ  :રાંડના તું શું કરનાર છું.​પ્રેમકોર :મુવા પીટા, ભુંડું બોલશે, હવે ચાલો આપણે ઘરમાં બેશીએ.

(પછી ઘરમાં જઈ બેઠાં.)મંછી  :પીટ્યા કોળી નાળીને કાંઈ લાજ નહીં. પોતાની બહેન દીકરી ઊભી હોય, ને ગમે તેમ બોલે.પ્રેમકોર :અરે એ તો લડાઈ થાય, ત્યારે કોળીની બાઈડીઓ, પણ બેફાટ ભુંડું બોલે.

(હીરાચંદ શેઠ બારીએ આવીને પેલા કોળીઓને કહે છે.)હીરાચંદ :અલ્યા, રાંડે જણાયો, અહિંયાં શું એલફેલ બોલો છો ? કાંઈ વિચાર રાખો છો કે નહીં. કે આતે વસ્તી છે કે ઉજડ ?ધણી  :જુવો શેઠ સાહેબ, આ છીનાળનો મારી બાઈડી સાથે લડે છે.મરદ  :જુવો જુવો મને ગાળ દે છે.શેઠ  :અલ્યા કોઈ સીપાઈ છે કે ? આ કૂતરીનાઓને અહિંયાંથી કહાડી મુકો.

(પછી સીપાઈએ કહાડી મેલ્યા.)



પ્રકરણ ચોથું

મંછી  :આ નવલવહુના પગમાં કલ્લાં કેટલાં રૂપૈયાનાં છે.પ્રેમકોર :સો રૂપૈયાનાં, પોલાં છે.મંછી  :સો તે કેટલા, હશે ?પ્રેમકોર :પાંચ વીસો એટલે સો કહેવાય.​મંછી  :નહીં, નહીં, સાત વીસે સો હશે. કેમ કે એક કણબી પાસેથી એક રુપૈયાના કડબના પુળા અમારે ઘેર સો લીધા હતા, તે સાત વીસોયે સો ગણ્યા હતા.પ્રેમકોર :એ તો નાતે નાતની સોયો જુદીઓ હોય. વાણીયાની પાંચવીસે સો થાય. ને કણબીની સાતવીસે સો થાય, ને કોળીના પુળા અમારે ઘેર લીધા હતા, તે નવ વીસે સો ગણ્યા હતા.


(એ રીતનો શિરસ્તો છે ખરો)

એટલી વાત થઈ ત્યાં પાનાચંદે ઘોડીયામાં સુતાં સુતાં વા સંચર કર્યો.પ્રેમકોર :નવલવહુ, પાનાચંદને પગે કરો નહીં તો હગશે.

(બાળકને બે પગ ઉપર બેસારીને ઝાડે ફેરવે છે.)નવલવહુ :હમણાં મેં પગે કર્યો હતો, પણ હગતો નથી.મંછી  :હેઠ બાળોતીઊં રાખ્યું છે કે નહીં ?

(બાળકની તળે લૂગડું રાખે છે તે બાળપોતીઊં, તે બાળોતીયું)નવલવહુ :હા રાખ્યું છે.મંછી  :ત્યારે શી ફીકર છે ? છોકરાને ખોળામાં ધવરાવવા લેઈએ તોપણ બાળોતીયું હેઠળ રાખીએ.નવલવહુ :તે રાખ્યું છે.મંછી  :આ ઘોડીયું રાખ્યું છે, તેથી પારણું હોય તો સારૂં. કેમકે છોકરૂં સુખેથી સુઈ રેહે.​(ઘોડીયું એટલે લૂગડાની ખોઈ, ને પારણું રસીથી ભરેલું હોય છે તે.)પ્રેમકોર :હીરાચંદ :આવો મહારાજ, ક્યાંથી આવ્યા ?બ્રાહ્મણ :ડભોડેથી મોતીચંદ સંઘવીના ખરચની કંકોતરી છે.હીરાચંદ :મેલો કેમ મોકલ્યો નહોતો ?બ્રાહ્મણ :કહ્યું કે શેઠના ઘરમાં કોઈને સ્નાન નહિ આવતું હોય તેથી, મેલો ન લખ્યો.હીરાચંદ :લાવો જોઈએ કંકોતરી.બ્રાહ્મણ :લ્યો.


શેઠ વાંચે છે.⁠સ્વસ્તશ્રી અમદાવાદ મહાશુભસ્થાને પુજ્યારાધે, શેઠજી શ્રીપાંચ હીરાચંદ અમરચંદ, જોગ્ય એતાનશ્રી, ડભોડેથી લા. સંઘવી પાનાચંદ ઝવેરચંદના જુહાર વાંચજો.​બીજું સંઘવી મોતીચંદ નહાનચંદનું ખરચ માહા વદી ૫ ગુરૂવારનું નીરધાર્યું છે, તે ઉપર સાથ સરવેને તેડીને વહેલા આવજો. તમો આવે રૂડુ દીસસે. સવંત ૧૯૧૨ ના માહા સુદ ૫.પ્રેમકોર :કંકોતરીમાં કંકુના છાંટા કેમ નથી ?હીરાચંદ :ખરચની કકોતરીમાં કંકુ નહોય.બ્રાહ્મણ :મને કહ્યું છે કે, શેઠને કહેવું કે જો નહીં આવો તો, અમારે તમારે પાણી પીવાનો વહેવાર રહેશે નહિ, ને માણસ પચાસ સાથે લાવજો.હીરાચંદ :મારે ધોળેરે જવાનું આજ મુહુરત છે.બ્રાહ્મણ :ધોળેરે જવાય નહીં. સગાનું કામ કાંઈ રોજ રોજ આવતું નથી.પ્રેમકોર :તમારાથી ધોળેરે નહીં જવાય, ને ખરચે આવવું પડશે.હીરાચંદ :ઠીક, પણ કે દહાડે ખરચ છે ? ઝવેરચંદ, કંકોતરી વાંચો જોઈએ.ઝવેરચંદ :વાંચીને કહે છે, માહા સુદ ૫ લખી છે.હીરાચંદ :આજ શી તથ થઈ ?ઝવેરચંદ :આજ તો ૩ છે પણ પાંચમ કે દહાડે છે ?હીરાચંદ :કોઈ ટીપણા વાળાને બોલાવો. પછી ટીપણાવાળા બ્રાહ્મણને બોલાવ્યો.હીરાચંદ :મહારાજ, પાંચમ કે દહાડે છે ?ટીપણાવાળો બ્રાહ્મણ :આજ ત્રીજ દસ ઘડી છે. તે ઉપરાંત​ચોથ છે. ને કાલે ચોથ સાત ઘડી છે, તે ઉપરાંત પાંચમ છે. ને પરમ દહાડે પાંચમ ૪ ઘડી છે.હીરાચંદ :ત્યારે સાચી પાંચમ કે દહાડે છે ?ટીપણાવાળો બ્રાહ્મણ :શ્રાધ કાળની તો કાલે છે, ને ઉદયાત તો પરમ દહાડે છે.

(જે તિથિ બપોરે હોય, તે તિથિનું શ્રાધ તે દહાડે થાય, અને કેટલાંક કામમાં સૂરજ ઉગતી વખત જે તિથિ હોય તે ગણાય છે.)હીરાચંદ :ત્યારે ખરચ કાલ હશે કે પરમ દહાડે ?ઝવેરચંદ :મારે પોહો કરવો છે તે સારૂ ગોરજીને મેં પૂછ્યું હતું તો કહે શાવકની પાંચમ તો કાલ છે.

(ઉપવાસમાં શાવક લોકો રાત્રીયે જે તિથિ હોય તે ગણે છે.)હીરાચંદ :જુઓ જુઓ કંકોતરીમાં વાર લખ્યો છે કે નહીં ?ઝવેરચંદ :પાંચમ ને ગુરૂવાર લખ્યો છે.હીરાચંદ :ત્યારે શું, આજ મંગળવાર ને કાલે બુધવાર, ને પરમ દહાડે ગુરૂવાર છે. ત્યારે કાલનો દહાડો વચમાં રહ્યો; કંકોતરી પણ મોડી આવી, કોઈને લૂગડાં શીવડાવવાં હશે, કોઈને ઘરાણું ધોવરાવવું હશે, તે રીતે એક દહાડામાં થશે ?ઝવેરચંદ :કેને કેને સાથે આવવાનું કહીશું ?હીરાચંદ :આપણા કુટુંબમાં ઘરદીઠ એક એક માણસને કહેવું. એટલે પચાસ-સાઠ માણસ થશે.

(પછી એટલું માણસ લેઈને પાંચમને દહાડે​પહોર દિવસ ચડતાં ડભોડે પહોંચ્યાં.)હીરાચંદ :બાઈડીઓને ઝટ ગામમાં જવા દો, પછી આપણે જઈએ.

(પછી બાઈડીઓ રોતીરોતી ગામમાં ગઈ, ને મરનારના ઘર પાસે જઈને કૂટણાં કુટ્યાં ને ઘરમાં બેશીને મોહોવાળ્યાં, પછી ભાયડા રોતારોતા ગામમાં ચાલ્યા. માથે ઓઢીને રોવાની રીત્ય કે, હીરાચંદ. મારા વાલેશરી સગારે, એ, એ, એ,ઝવેરચંદ :મારા મામારે, એ, એ, એ,બીજા લોકો :ઓ, ઓ, ઓ,

(એ રીતે રોતા, રોતા, મરનારના ઘર પાસે જઈને બેઠા, એટલે તેના ઘરના આદમિયોએ, આવીને કહ્યું કે છાના રહો, છાના રહો; (પેહેલાં બીજા લોકો છાના રહ્યા, પછી ઝવેરચંદશેઠ છાના રહ્યા, સહુથી છેલ્લા હીરાચંદશેઠ છાના રહ્યા; પછી પાણીના કોગળા કરાવ્યા.)ઘરધણી :ચાલો, ચાલો, જમવા. ઝટ અસુર થયાં છે. પછી જમવા ગયા. (પેલી બાઈડીઓ રૂવે છે, તેમાંની એક જણી રોતી રોતી બીજીના કાનમાં કહે છે, આ ઘરમાં તો મોતીચંદ સંઘવી રહે છે ને તે કેમ જણાતા નથી ?બીજી બાઈડી :ત્યારે તમે રોઈરોઈને આંખો રાતી ચોળ કરી છે, તે અત્યાર સુધી કેને રોયાં.પેલી :એ જ મરી ગયા કે ? મેં તો જાણ્યું કોઈક બીજું મરી ગયું હશે.

(કેટલાંએક પોતાને ઘેર પાછાં જશે, ત્યાંહાં સુધી પણ જાણશે નહીં કે કોણ મરી ગયું.)}}​

⁠પછી ચઢાઉતરી સગણ પ્રમાણે છાની રહિયો. છેલી મરનારની ઓરત રૂવેછે કે,
⁠વાલારે, તમેતો, મને એકલી મુકીને ગયા, મારી ભળામણો કેને દેઇ ગયારે, તમને કેના ભરૂંસા આવ્યા, હું બળી ગઇરે.પ્રેમકોર :છાનાંરહો, છાનાંરહો, હવે એમાંનું કાંઇ દેખવાનું નથી. એ રીતે ઝાઝીવાર કહ્યું એટલે છાની રહી.

ઘરધણી. ચાલો ચાલો, હવે ભાયડા જમી ઉઠ્યા. બાઇડીઓ જમવા બેસો (પછી જમવા ગયાં.)પ્રેમકાર :ના મારેતો નથી જમવું, હુંતો શોગ પાળીશ.કાકી :ના મા, તમારે શોગ હોય નહીં. તમે મારૂં છોકરૂં

કહોવાઓ. એતો ભાગ્યશાળી થઇ ગયા. એમનો શોગ શ્યો? (પછી જમવા ગયાં. બીજે દિવસે હીરાચંદશેઠ વગેરેએ એમના દીકરાને પાધડીયો બંધાવી, ખરચ બહુ સારૂં કર્યું, એવાં વખાણુ કરીને સઉ સઊને ગામ વીદાય થયાં.

(રસ્તામાં ચાલતાં ચાલતાં બાઇડિયો વાત કરેછે)મંછી :હાય, હાય, શેઠાણી, તમારા કાકાના દીકરાની વહુને

તો કુટતાંએ નથી આવડતું. (બરાબર સૌની સાથે હાથ કુટતાં પડવો જોઈએ.)પ્રેમકાર :ગામડામાં તો જે તે કોઇક દહાડે કુટવું પડે, તે શાનું આવડે.?

(જેને કુટતાં રોતાં આવડે તે બાયડી હોશિયાર​ગણાય છે,)હરકોર :અરે મોહોવાળતાંએ પણ નથી આવડતું તો !

(રોતાં વચન બોલવાં તે.)મંછી :જલેબી તો ઠીક થઈતી, પણ લાડવામાં ખાંડ

ઓછી હતી.પ્રેમકાર :કંદોઇમાં વાંક, નહીતો જે ધણી ખર્ચ કરવા

બેઠો તે કાંઇ કોશર કરેછે ? એ વગેરે વાતા કરતાં ગામમાં પહોંચ્યાં. પછી સઉ સઊણને ઘેર ગયાં.


સમાપ્ત.


3
લેખ
દલપતરામના લખેલા નટકો
0.0
જેને ગૂજરાતી બોલી અથવા ચાલ ચલગત સારી પેઠે જાણવાની મરજી હોય, તેણે આવી ચોપડી ધ્યાન લગાડીને વાંચવી કેમકે એક દક્ષણી માણસ પોતાના મનમાં એવું ધારતો હતો કે હું ગૂજરાતમાં ઝાઝાં વરસ રહ્યો છું, તેથી ગૂજરાતી ભાષા તથા ચાલચલગત સારી પેઠે જાણું છું; એવું કોઈ ગૂજરાતી માણસ આગળ તેણે કહ્યાથી, પેલા ગૂજરાતીએ દક્ષણીને કહ્યું કે, તમે ગૂજરાતીમાં સરકારી કામમાં રહેલા માટે જેટલા શબ્દો સરકારી કામમાં આવ્યા હશે, તેટાલા તમે જાણતા હશો. પણ અમારા ઘરમાં બાઇડિયો, છોકરાં, શી રીતે બોલે છે તે જ્યારે તમારા જાણવામાં હોય, ત્યારે તમે ગૂજરાતી ભાષા સારી પેઠે જાણો છો એમ કહેવાય. માટે તે તમે જાણતા હો તો કહો કે "ઘૂમણી ઘાલવી" એટલે શું ? પછી તેનો અર્થ પેલા દક્ષણીના સમજવામાં આવ્યો નહિ. માટે ગૂજરાતી ભાષા, તથા ચાલ વિષે જાણવા સારૂ સાહેબ મોસુફને વાસ્તે આ વર્ણન કલ્પના કરીને મેં બનાવ્યું છે.
1

સ્ત્રીસંભાષણ સંપૂર્ણ નાટક

10 November 2023
1
0
0

સ્ત્રીસંભાષણ કુટુંબ ૧.શેઠ હીરાચંદ, ઉમર વરસ૬૦.તેમની સ્ત્રી શેઠાણી પ્રેમકોરબાઈ, ઉમર વરસ૫૦.બીજી સ્ત્રી 'નવીબાઈ'[૧] , ઉમર વરસ૩૦.પ્રેમકોરનો દીકરો, ઝવેરચંદ, ઉમર વરસ૩૨.તેની વહુ નવલવહુ, ઉમર વ

2

લક્ષ્મી નાટક સંપૂર્ણ નાટક

10 November 2023
2
0
0

પ્રસ્તાવના વિક્રમાજીતના જન્મથી પેહેલાં આશરે સાડાત્રણસેં વર્ષ ઉપર ગ્રીક લોકના દેશમાં આથેનાઇ નામે મોટું નગર હતું અને સર્વે ઠેકાણે ગ્રીક લોકો ઘણા જ વિદ્યાવાળા હતા તો પણ આથેનાઇ નગરના લોક જેવા ડાહ્યા લોક

3

ગંગાબાઈ અને જમનાબાઈની વાત

11 November 2023
1
0
0

ગંગાબાઈ અને જમનાબાઈની વાત આ વાર્તામાં ભોળાં માણસને સારી, તથા નરસી , સોબતની અસર વેહેલી થવાનો દાખલો છે. દોહરો ભોળા જન વિદ્યા ભણી, વેહેમ તજી વખણાય; વેહેમીના સહવાસથી , વળિ તે વેહેમી થાય. ૧ એક શહે

---

એક પુસ્તક વાંચો