એ સગળા ચાલતા શિરસ્તા પ્રમાણે, એક રમુજી નાટક જેવું એ મામેરાનું પુસ્તક, તેણે કવિતામાં રચેલું છે. તેમજ ઓખાહરણની થોડીક વાત ઊપરથી ગણો વિસ્તાર કરીને, તેણે સરસ પુસ્તક બનાવેલું છે. એ કવિયે સંસ્કૃતમાંથી રસ અલંકારના ગ્રંથ જોયેલા હોય, એવું જણાય છે. કારણ કે મુગ્ધા, મધ્યા વગેરે સ્ત્રિયોના ભાવ તથા સ્વપ્નદર્શન, ચિત્રદર્શન અને ગુરૂલઘુમાન, સંયોગશ્રૃંગાર, વિયોગશ્રૃંગાર, તથા નવરસ વગેરે ઘણી સારી રીતે તેણે વરણવી દેખાડવા છે. ઓખાહરણની રસીકવાત જાણીને, તેના પછી બીજા કેટલાકએક કવિયોને એ જ વિષે કવિતા કરી. પણ પ્રેમાનંદની કવિતા જેવી કોઈથી બની શકી નથી. પ્રેમાનંદની વખત સુધી ગુજરાતીભાષામાં પિંગળના કાયદા પ્રમાણે છંદ રચવાનો ચાલ નહોતો, એવું જણાય છે. તેથી તેણે ગાવાની સેહેલી દેશિયોમાં ગ્રંથો રચેલા છે. પણ તેણે વાણીની મીઠાશની હદ વાળી છે. એવી કવિતા જોડવાની શક્તિ, પરમેશ્વરની બખશીશ આપેલી ગણાય છે; એમ આખી દુનિયાના કવિયો લખી ગયા છે. ગુજરાતીભાષા બોલનારા લાખો માણસો થઈ ગયા, અને હાલમાં પણ છે; અને કવિતાનો અભ્યાસ આખી ઉમ્મર સુધી કરનાર કેટલાએક થઈ ગયા; પણ પ્રેમાનંદને વિસારિયે, એવી કોઈની વાણી સાંભળવામાં આવી નથી. જો મેહેનત કરવાથી એવી કવિતા આવડતી હોત, તો હું પણ પ્રેમાનંદના જેવો કવિ થાત. પણ તેનો જેવો થયાની કોઈ દિવસે મારી આશા નથી; એ હું ખરાદિલથી કહું છું.
0 ફોલવર્સ
7 પુસ્તકો