હરાયું ઢોર
મહિનાઓ વીત્યા છે. બ્રાહ્મણે કેવળ એક જ કામ કર્યું છે. દન ઊગ્યાથી દન આથમતાં સુધી ગામડે ગામડે એણે આંટા માર્યા છે; એમને ફળિયે જઇ જઇ બૈરાંછોકરાંના કુશળ ખબર પૂછ્યા છે. મધ્યાન્હ જ્યાં થાય તે ગામડે કોઇ પણ એક ઠાકરડાને આંગણેએણે ગાગર ને સીંચણિયું માગી લઇ કૂવે સ્નાન કરેલ છે, ગાગર ભરી લાવીને એ ઘરની ઓસરીએ મંગાળો માંડેલ છે, બે મૂઠીખીચડી માગી લઇ મંગાળે રાંધેલ છે, ખાધેલ છે, લોટો પાણી પીધું છે. વળતા દિવસના મધ્યાન્હ સુધીની નિરાંત કરી લીધેલ છે, પછી ચાલવા માંડેલ છે. જે કોઇ ગામે રાત પડે તે ગામડાના પાટણવાડિયાના વાસમાં કોઇ પણ એક આંગણે રાત ગાળેલ છે. ગોદડું-ખાટલો મળે તો ઠીક છે, નીકર પૃથ્વીમાતાના ખોળે ઘસઘસાટ ઊંઘી લીધું છે. ઉપદેશ કોઇને આપ્યો નથી, આપ્યો છેકેવળ પ્રેમ. એદી પ્રમાદીઓનાં પૂંછડાં ઉમેળીને હાજરીઓ કઢાવવાની અરજીઓ કરાવતા આવે છે અને કોઇ ગામે સ્થિર થાણુંનાખી બેઠા બેઠા રેંટિયો ફેરવે છે. પોતે ગોર છે; યજમાનોને એણે કદી સામે જઇને પૂછ્યું નથી કે, ‘ચોરીલૂંટો કરો છો? શીદ કરોછો?’ પણ યજમાનોએ આગળ આવીને જ્યારે જ્યારે ગોર મહારાજને ખોળે પેટનાં પાપ નાખ્યાં છે, તે તે વેળાએ એણે એક જપ્રવૃત્તિ કરી છે, દોષિત યજમાનને દોરીને વડોદરાના પોલીસ-ખાતામાં સુપરત કરેલ છે અને એને હળવી સજા કે નાના દંડોથીપતાવી ભયાનક બહારવટાંને માર્ગેથી પાછા વાળેલ છે.
એક નાનકડા સ્થિરવાસને એક દહાડે બોરસદ તાલુકાના કઠાણા ગામડામાં આ મહારાજ એક પરસાળે બેઠા બેઠા કાંતી રહ્યાહતા, ત્યારે એક પાટણવાડિયો આવીને શાંતિથી પરસાળની કોરે બેસી ગયો. રેંટિયો ફેરવતા મહારાજે એ ખડોલના ખેડૂતનેઓળખી ખડોલ ગામનાં બૈરાં, છૈયાં, મરદો વગેરે સૌના ખબરઅંતર પૂછ્યા. પછી ચૂપચાપ રેંટિયો ગુંજાવતા રહ્યા. પેલો કંઇકકહેવા આવ્યો છે તે તો મહારાજે કળી લીધું; પણ સામેથી કોઇના પેટની વાત પૂછવાનો મહારાજનો રવૈયો નહોતો.
પોતે જોતા હતા કે આવેતુની જીભ સળવળ સળવળ થઇ રહી હતી. “મહારાજ, લગાર મારે ઘેર આવી જશો ?” છેવટે એ માણસેજ મોં ઉઘાડ્યું. “કેમ, ‘લ્યા ? શું કામ છે !” મહારાજે બીજી પૂણી સાંધતે સાંધતે પૂછ્યું. જરા તમારું કામ પડ્યું છે. મારો સાળોપેલો ખોડિયો છે ના, એને માથે લગાર ચાંદું પડ્યું છે; હીંડો.”
માથે લગાર ચાંદું ! લોકોના રોગપારખુ મહારાજ સમજી ગયા. એણે પૂછ્યું: “ ક્યો ખોડિયો ?”
“કાવીઠાવાળો.”
“વારુ ! જા; આજે તો નહીં આવું. બે દા’ડા પછી આવીશ.”
ખોડિયા કાવીઠાવાળાના બનેવીને વધુ વાતચીત વગર વળાવીને તરત પૂણીઓનું પડીકું બાંધી વાળી, ત્રાક ઉતારી, માળ વીંટીલઇ, રેંટિયો ઠેકાણે મૂકી, ઊઠીને બ્રાહ્મણે માર્ગ પકડ્યો વડોદરાનો.
જઇને ઊભા રહ્યા પોલીસના વડા પાસે. મહારાજને હંમેશાં એમની પ્રવૃત્તિમાં મદદ આપનાર એ મરાઠા હતા. તેમને પોતે ખોડિયાકાવીઠાવાળાની વાત કરી. ખોડિયાએ એક-બે ચોરી-લૂંટોમાં ભાગ લીધો છે એ પોતે પણ જાણતા હતા; છતાં એણે સાહેબનેસમજાવ્યા કે “ જો ખોડિયાને તમે બચાવી શકો તેમ હો,તો હું એને રજૂ કરું.”
”ના, ના! શા સારુ!” સાહેબ જરા જુદા તોરમાં આવીને બોલી ઊઠ્યા, “કહેજો એને કે પેટ ભરી લૂંટો કરે !” એમ કહી એણે મેજ પરપડેલી પોતાની
રિવૉલ્વર પર હાથ મૂક્યો.
મહારાજ એના જવાબમાં ફક્ત નીચું જોઇને ચૂપ રહ્યા.
”કેમ, મારી વાત ગળે નથી ઊતરતી?” સાહેબ થોડી વાર રહીને કંઇક કૂણા પડ્યા. એટલે મહારાજે દર્દભર્યે સ્વરે કહ્યું:
”શું બોલું! બોલવાનું રહેતું નથી.”
”કાં?”
“કાં શું ! તમારી પાસે તો બંદૂક ને ગોળી છે !” પછી પોતે સહેજ પીપળનું પાંદ કંપે એટલી જ હળવાશથી ઉત્તેજિત થઇને કહ્યું, “પેલા બહારવટે ચડીને લોકને રંજાડશે, ત્યારે તમારી બંદૂક-ગોળી કંઇ ખપની નહીં થાય; માટે હું તો આટલું જ કહેવા આવ્યો છું કેઆ ખોડિયો હજુ લાજશરમમાં બેઠો છે, હજુ શરણે આવી જવા માગે છે, ત્યાં જ એને અટકાવી દઇએ.”
“ઠીક ત્યારે, જાઓ; એને રજૂ કરો. થોડાક રૂપિયા દંડ કરાવીને પતાવી દેશું.”
લોખંડી પગ ફરી પાછા વહેતા થયા. એ પગના સ્વાભાવિક રોજિંદા વેગમાં આજે નવી સ્ફૂર્તિ સિંચાઇ ગઇ. એ સ્ફૂર્તિ પૂરનારઅંતરનો ઊંડો ઊંડો ઉલ્લાસ હતો કે, એક જુવાનને બહારવટિયો બની જતો મટાડીને માણસાઇને માર્ગે ચડાવી શકાશે.
ખડોલ ગામે પહોંચીને જ એ પગ અટક્યા. એ હતું ખોડિયા કાવીઠાવાળાના બનેવીનું ગામ. પોતે ગામ બહાર બેસીને ખબરકહેવરાવ્યારાત પડી ગઇ હતી. રાતની પળો, કલાકો ને પહોર આવી આવીને ચાલ્યાં ગયાં; પણ ખડોલવાળો ખોડિયાનો બનેવી નઆવ્યો. ગામમાં હતો, છતાં ન ડોકાયો. પ્રભાતે મહારાજ ભારે હૈયે બોરસદ જવા ચાલી નીકળ્યા.
“એ ઊભા રહો ! ઊભા રહો !” એવો સાદ એમને છેક બોરસદની ભાગોળે પહોંચવા ટાણે પાછળ સંભળાયા. પાછળ એક મોટરગાજતી આવતી હતી. મોટરે મહારાજને આંબી દીધા. અંદરથી ખોડિયાનો બનેવી ઊતરીને દોડતો આવ્યો; કહે, “હીંડો, આમોટરમાં; ખોડિયો તૈયાર છે.” “ક્યાં છે ?”
“ત્રણ જ ગાઉ માથે.”
***
પામોલ ગામની સીમમાં એક ખેતર વચ્ચે ઝાડવું હતું. ઝાડવે ચડીને કોઇક સીમાડા નિહાળતું હતું. મહારાજ પારખી શક્યા : એએક બાઇ હતી. સડેડાટ બાઇ નીચે ઊતરી ગઇ. મોટરે ખેતરે પહોંચી. ખેતર વચ્ચેની ઝૂંપડીએ મહારાજ પહોંચ્યા, અને ખાટલાઉપર એક જુવાનને સૂતેલો જોયો. માથે રાતું ફાળિયું ઓઢી ગયેલો. પાસે પેલી જુવાન ઓરત ઊભી હતી. “કાં, ખોડગંશ ઠાકોર!” મહારાજે ભરનીંદરમાંથી જાગવાનો ડોળ કરતા ખોડિયાને નરમ ટોણો માર્યો : “આખરે તમારો ભેટો થયો ખરો ! બોલો, હવે શુંકરવું છે ?”
“બાપજી, તમે કહો તે.” ઓડિયાળે માથે લાલઘૂમ આંખો ઘુમાવતા લૂંટારાએ જવાબ વાળ્યો. કહું છું કે રજૂ થઇ જા. થોડો દંડ થશે, ભરીશને?”
“હોવે.”
“તો હીંડ.” પણ ખોડિયાની નજર અને પેલી બાઇની નજર—ચારે નજરો મળી ગઇ હતી. એ એક જ પલના દૃષ્ટિ—મેળાપેખોડિયાનો જીવન-પંથ ફેરવી નાખ્યોએ રખાતની બે મોહક આંખોએ ખોડિયાનાં મન, પ્રાણ અને ખોળિયા ફરતો એક કાળમીંઢકિલ્લો ચણી લીધો. એણે જવાબ વાળ્યો: “આજ તો નહીં, કાલે આવીશ; કાવીઠે હાજર રહીશ.”
“ભલે, કાલે સવારે કાવીઠા ગામની ભાગોળને ઓટે હું વાટ જોતો બેસીશ.” એવો વદાડ કરીને મહારાજે વિદાય લીધી.
*
“કેમ અહીં બેઠા છો, બાપજી ?”
“વાટ છે એક જણની.”
કાવીઠા ગામની ભાગોળે, પેટલાદને રસ્તે, એક ઓટા પર બેઠેલા મહારાજને વહેલા પ્રભાતે સીમમાં જતાં લોક પગે લાગી લગીનેપૂછતાં જાય છે, “કેમ અહીં બેઠા છો ?”
પ્રત્યેકને એ દૂબળું મોં ચમકતી આંખે ને મલકાતે મોંએ જવાબ વાળે છે કે, “વાટ છે એક જણની.”
મધ્યાન્હ થયો. સીમમાંથી લોકો પાછાં વળ્યાં. તેમણે મહારાજને ત્યાં ને ત્યાં
બેઠેલા દીઠા. પ્રત્યેક જણ પૂછતું ગયું :
“હજુ શું કોઇની રાહ છે ?”
ડોકું હલાવીને મહારાજે પોતાની શરમ અને ગ્લાનિ છુપાવી. પણ પછી તો પોતે ઊઠ્યા. કોઇ ચોરની જેમ ગામમાં ગયા. ખોડિયોરહેતો હતો તે મહોલ્લામાં પેઠા. કોઇક મળે તેને પૂછે કે “પેલો ખોડિયો કંઇ રહે છે? “ તો
તેનો જવાબ વાળ્યા વગર જ માણસ પસાર થાય. ખોડિયાના નામમાત્રથી પણ આ ગરીબ લોકો છેટાં નાસી રહેલ છે; ખોડિયાનાંપાપોના પડછાયામાં આવી જવાનીયે પ્રત્યેકને ઊંડી ફાળ છે. કોઇ કહેતું નથી કે ‘બેસો’ કોઇ પૂછતું નથી કે ‘ક્યાંથી આવ્યા છો? તરસ્યા છો? ભૂખ્યા છો?” લોકારણ્ય સૂનકાર છે. જનપદની જ્યોત ઠરી ગઇ છે. ફળીમાં એક ખાટલો પડેલો તે ઢાળીને મહારાજતો બેઠા. એવામાં એક પાટણવાડિયો નીકળ્યો. એને પૂછ્યું: “ક્યાં છે પેલો ખોડિયો ? ”
“એ તો ખબર નથી. મહારાજ.”
“વારુ, કહેજે એને કે હું આવ્યો હતો.”
બસ, આટલું જ પોતાનાથી કહી શકાયું આપદા તો મોટી હતી, પણ એ તો અંદર છુપાવવાની હતી. ગોવાળ જાણે એક ધણછૂટાપ્રિય ઢોરને શોધતો હતો. એ ઢોર હરાયું ઢોર થઇ ગયું હતું. એને વાઘ-વરુ ક્યાંક ફાડી ખાશે તો! ગોવાળની બીક સાચી પડી. થોડા દહાડામાં જ એને ખબર પડી કે ખોડિયાને તો એક ભારાડી પાટીદાર ભેટ્યો હતો અને એને ભંભેર્યો હતો કે, “ધોરીટોપીવાળાનો વિશ્વાસ કરીશ નહીં તે કરતાં તો ચાલ.... સાહેબની કને; હું તને માફી અલાવું.” સાહેબ પોલીસના ઊપલા અધિકારીહતા. તેણે ખોડિયાને લઇ આવનાર એ પાટીદારને અઢાર રૂપિયાનો ફેંટો બંધાવ્યોહતો: અને ખોડિયાને નાહાપા ગામના એક લૂંટારાને પકડી આપવાની કામગીરીમાં રોકી લઇને મોટા સરપાવની લાલચ આપી હતી. પોલીસે પાંખમાં ઘાલેલ ખોડિયો ફરી પાછો લૂંટે ચડ્યો હતો. એને રક્ષણ મળ્યું હતું.