- તો લગ્ન કેમ કર્યું?
ભાલ-નળકાંઠાના ગમમાં એક ઓડને ત્યાં જવાનું થયેલું. તેની સ્ત્રી બહુ સુશીલ, પવિત્ર ને પ્રેમાળ. એણે પ્રેમપૂર્વક સત્કાર કર્યો. થોડી વારપછી, જ્યાં બેઠી હતી ત્યાંથી કંઇક લેવા એ ખસી. એ ખસતી હતી ત્યાં મારી નજર એના પગ ઉપર પડી. પગ પાતળા દોરડી જેવા હતા. મેં સહજ પૂછ્યું,”કેમ બહેન, તમારે પગ નથી શું?”
મારા પ્રશ્નનો ઉત્તર આપવાને બદલ એણે પાસે ઊભેલા પોતાના પતિ તરફ આંગળી કરીને કહ્યું : “પૂછી જુઓ એમને, કદી કાંઇ દુ:ખ દીધુંહોય તો ! હું દળું છું, રસોઇ કરું છું, વાસણ માંજું છું, ઘર પણ લીંપું છું. માત્ર પાણી એમને ભરવું પડે છે.”
ત્યાં એના પતિએ કહ્યું: “મહારાજ, એને પૂછી જુઓ કે કદી દુ:ખ પડવા દીધું છે? મેં એને બધે જાત્રા કરાવી છે. ગાડી મળી ત્યાં ગાડી, મોટર મળી ત્યાં મોટર; પાલીતાણા ગયો ત્યારે ખભે બેસાડીને ડુંગર ઉપર લઇ ગયો
હતો ને બધે દર્શન કરાવ્યાં હતાં.”
હું તો આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયો. મેં પેલા ઓડને પૂછ્યું, “તમે લગ્ન કર્યાં તે પહેલાં આ બાઇ અપંગ છે એ જાણતા હતા ?”
“હા જી,” ઓડે કહ્યું.
“તો લગ્ન કેમ કર્યું?”
“મને થયું કે આ બિચારીની સેવા કોણ કરશે ? આખી જિંદગી દુ:ખી થશે. એટલે એની સેવા કરવા મેં તેની સાથે લગ્ન કર્યું.
પ્રતાપવંશી
અમારે એક મોતીભાઇ ડોસા હતા. 1930ની લડતમાં બીજા ઘણાને પકડ્યા પણ એમને રાખી દીધા. એક દિવસ એ પત્રિકા વાંચતાપકડાયા. પોલીસવડાને એની વૃદ્ધાવસ્થા દેખી દયા આવી. એના પરનો ખટલો રોળી-ટોળી નાખવા માટે પૂછ્યું: “કેમ ડોસા, આ પત્રિકાતો તમને કોઇએ મોકલી હતી ને?” ડોસાએ જવાબ દીધો, “શું કહો છો ? મોકલે? કોઇક મને મોકલે? શી વાત કરો છો! હું તો રીતસરએનો ગ્રાહક છું. હું, સાહેબ, આજકાલનો નથી 1922 થી સત્યાગ્રહી છું.” એમ ગુનો કબૂલ કરી જેલમાં ગયેલા. બહાર આવ્યા પછીજમીનો તો ઝૂંટવાઇ ગયેલી. પોતે વૃદ્ધ ને જીર્ણ બનેલા. અમે એમને મદદ આપવા કહ્યું ત્યારે એ રોષ કરીને બોલી ઊઠેલા કે, “હું મદદ લઉં! હું પારકે પૈસે નિર્વાહ કરું! મને જાણો છો? હું તો રાણા પ્રતાપનો વંશજ છું!” દૈવ જાણે શાથી એમણે પોતાને પ્રતાપવંશી કહ્યા. પણ એ મોતીડોસાની તદ્દન બેહાલી વચ્ચે પણ એમના આવા અરમાનથી એની કુલીનતા પ્રકાશી ઊઠી. એને ઘેર સારાવાળાએ કન્યા આપી, ને એનીકન્યા સારાવળાએ રાખી.
રવિશંકર વ્યાસ (મહારાજ)