ખાલિસ્તાન - ઑપરેશન બ્લૂ સ્ટાર : ભારતને તોડીને અલગ દેશ બનાવવા શીખોએ જ્યારે હથિયાર ઉઠાવ્યાં
પંજાબમાં અલગ ખાલિસ્તાનની માગ સાથે શરૂ થયેલી ઝુંબેશમાં ઑપરેશન બ્લૂ સ્ટાર એક એવો લોહિયાળ અધ્યાય છે જેણે ભારતના રાજકારણની દિશા બદલી નાખી હતી.
તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા અને શીખ વિરોધી રમખાણો ભારતમાં કૉંગ્રેસના ઇતિહાસના મહત્ત્વના અધ્યાય રહ્યા છે. અલગ ખાલિસ્તાનની માગ સાથે જરનૈલસિંહ ભિંડરેવાલાંએ શરૂ કરેલી આ ઝુંબેશના પડઘા દાયકાઓ સુધી ભારતના રાજકારણમાં પડ્યા છે.
ત્યારે અહીં ખાલિસ્તાન શું છે અને શું છે એનો ઇતિહાસ એ અંગે માહિતી અપાઈ રહી છે.
પંજાબ સમસ્યાની શરૂઆત 1970ના દાયકામાં અકાલી રાજકારણમાં ખેંચતાણ અને અકાલીઓ દ્વારા પંજાબને લગતી વિવિધ માગણીઓના કારણે થઈ હતી.
અકાલી દળની માગણી હતી કે ભારત સરકાર માત્ર સંરક્ષણ, વિદેશનીતિ, સંદેશાવ્યવહાર અને કરન્સી પર પોતાનો અધિકાર રાખે. બાકી બધી ચીજો પર રાજ્યોનો અધિકાર હોવો જોઈએ.
અકાલીઓ ભારતના ઉત્તર ભાગમાં સ્વાયત્તા પણ ઇચ્છતા હતા. અકાલીઓએ પંજાબને લગતી ઘણી માગણીઓ કરી, જેમ કે ચંદીગઢ માત્ર પંજાબની રાજધાની રહે, પંજાબીભાષી વિસ્તારો પંજાબમાં સમાવવામાં આવે, નદીનાં પાણીની વહેંચણી મુદ્દે સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય લેવામાં આવે, સેનામાં શીખોની ભરતી અંગે લાગુ થયેલી કથિત ટોચમર્યાદા દૂર કરવામાં આવે, વગેરે.
13 એપ્રિલ, 1978ના દિવસે અકાલી કાર્યકર્તાઓ અને તેમના હરીફો નિરંકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ, જેમાં 13 અકાલી કાર્યકર્તા માર્યા ગયા. તે સમયે શીખ ધર્મપ્રચારની સંસ્થાના પ્રમુખ જરનૈલ સિંહ ભિંડરાંવાલેએ ઉગ્ર વિરોધમાં આગેવાની લીધી.
ઘણા નિષ્ણાતોના મતે અહીંથી જ પંજાબમાં કટ્ટરવાદી ચળવળનાં બીજ રોપાયાં હતાં. એવો આરોપ પણ મૂકવામાં આવ્યો કે અકાલી દળના પ્રભાવને ઘટાડવા માટે કૉંગ્રેસે શીખ પ્રચારક ભિંડરાંવાલેનો પરોક્ષ રીતે ઉપયોગ કર્યો અને તેમને પ્રોત્સાહન આપ્યું. જોકે આ આરોપો અંગે ઘણા મતભેદ છે.
અકાલી દળ રાજકીય મુખ્યધારામાં રહીને પંજાબ અને શીખોની માગણીઓ મૂકતું હતું. પરંતુ તેનું વલણ નરમ ગણવામાં આવતું હતું. બીજી તરફ ભિંડરાંવાલેએ આ મુદ્દો પોતાના હસ્તક કર્યો અને કેન્દ્ર સરકારને દોષી ગણાવવાનું શરૂ કર્યું.
તેઓ વિવાદાસ્પદ રાજકીય મુદ્દા અને ધર્મ તથા તેની મર્યાદા અંગે નિયમિત ભાષણો આપવા લાગ્યા. ઘણા લોકો તેમનાં ભાષણોને ઉશ્કેરણીજનક માનતા હતા, જ્યારે કેટલાક લોકોને તેમાં શીખ સમુદાયની વાજબી માગણીઓ દેખાતી હતી.
ભિંડરાંવાલે અને તેમના સાથીદારો સુવર્ણમંદિરમાં છુપાયેલા હતા ત્યારે હરમિંદર સાહિબ પરિસર પર ભારતીય સેનાએ કાર્યવાહી કરી હતી, જેને ઑપરેશર બ્લૂસ્ટાર નામ અપાયું હતું.
ઑપરેશન બ્લૂસ્ટારના કમાન્ડર મેજર જનરલ કે એસ બ્રારનું કહેવું હતું કે તેમને મળેલી માહિતી પ્રમાણે કટ્ટરવાદીઓ થોડા જ દિવસોમાં અલગ ખાલિસ્તાનની રચનાની જાહેરાત કરવાના હતા તેથી ઑપરેશન તાત્કાલિક કરવું જરૂરી હતું.
વર્ષ 1982માં ભિંડરાંવાલે ચોક મહેતા ગુરુદ્વારા છોડીને સુવર્ણમંદિર પરિસરમાં ગુરુ નાનક નિવાસ અને ત્યારપછી શીખોના સર્વોચ્ચ ધાર્મિક સંસ્થા અકાલ તખ્તમાંથી પણ પોતાના વિચારો વ્યક્ત કરવા લાગ્યા.
એપ્રિલ 1983માં પંજાબ પોલીસના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ એ. એસ. અટવાલને હરિમંદિર સાહેબ પરિસરમાં જાહેરમાં સેંકડો સુરક્ષા કર્મચારીઓની હાજરીમાં ઠાર મારવામાં આવ્યા.
તેઓ મંદિરમાં માથું ટેકવીને બહાર આવી રહ્યા હતા ત્યારે જ ગોળીબાર થયો હતો. ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ કે. પી. એસ. ગિલની તપાસમાં જાણવા મળ્યું કે અટવાલના મૃત્યુ પછી બે કલાક સુધી તેમનો મૃતદેહ પડ્યો રહ્યો હતો.
પોલીસનું મનોબળ આટલી હદે નબળું પડી ગયું હતું. થોડા દિવસો પછી પંજાબ રોડવેઝની એક બસમાં ઘૂસીને બંદૂકધારીઓએ હિંદુ મુસાફરોને અલગ પાડીને ઠાર માર્યા. ત્યારબાદ ઇંદિરા ગાંધી સરકારે પંજાબમાંથી દરબારા સિંહની કૉંગ્રેસ સરકારને બરખાસ્ત કરી દીધી અને રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું.
1984માં ઑપરેશન બ્લૂસ્ટાર કરવામાં આવ્યું તેનાથી ત્રણ મહિના પહેલા પંજાબમાં વિવિધ હિંસક ઘટનાઓમાં 298 લોકો માર્યા ગયા હતા.