કોલંબોનું આર. પ્રેમદાસા સ્ટેડિયમ એશિયા કપની એક બ્લૉકબસ્ટર ફાઇનલ મૅચનું સાક્ષી બની રહ્યું છે. એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકાએ ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, મૅચ હતી 50 ઓવરની, પીચ હતી સ્પિનર્સને મદદ કરે એવી, પરંતુ મૅચ શરૂ થઈ અને 15 ઓવરમાં શ્રીલંકાના દસ બૅટ્સમૅન 51 રન પણ ન નોંધાવી શક્યા. ભારતે સાતમી ઓવરમાં જીત માટે જરૂરી 51 રન નોંધાવી આ મુકાબલો પોતાને નામ કરી લીધો છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે નવમી વખત એશિયા કપ ફાઇનલ રમાઈ રહી છે. આ પ્રથમ વખત હશે કે 22 ખેલાડી મેદાન ઉપર 50-50 ઓવર રમવા ઊતર્યા, પરંતુ બેટિંગ કરનારી ટીમના 11 ખેલાડી 50 રનમાં જ પેવેલિયન ભેગા થઈ ગયા અને મૅચ 50 ઓવર તો દૂર 20 ઓવર સુધી પણ ન રમાઈ શકી.
એશિયા કપ ટૂર્નામૅન્ટની ફાઇનલનો પ્લૅયર ઑફ ધ મૅચનું પુરસ્કાર મોહમ્મદ સિરાજના નામે રહ્યું, એટલું જ નહીં તેમણે પોતાનો પુરસ્કારની રાશી ત્યાં હાજર ગ્રાઉન્ડ મૅનની ટીમને આપી દીધી. તેમના મતે જો ગ્રાઉન્ડને સંભાળનાર લોકો ન હોત તો આ ટૂર્નામૅન્ટ થવી શક્ય ન હોતી.
ભારતના ઑલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને કૅચ ઑફ મૅચનું પુરસ્કાર મળ્યું, તો ભારતના સ્પિનર કુલદીપ યાદવને એશિયા કપ પ્લૅયર ઑફ ધ સિરિઝનું પુરસ્કાર મળ્યું. આપને જણાવી દઈએ કે કુલદીપ યાદવે ભારત તરફથી રમતા આ ટૂર્નામૅન્ટમાં નવ વિકેટ ઝડપી જેમાં પાકિસ્તાન સામેની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરનારા શ્રીલંકાએ ખૂબ જ નબળી શરૂઆત કરી અને પછી એ ઊભી જ ન થઈ શકી.
જોકે શ્રીલંકાની શરૂઆત નબળી રહી એના કરતાં એમ કહેવાય કે ભારતના મોહમ્મદ સિરાજે પ્રારંભિક ઓવરોમાં જ તરખાટ મચાવીને સાત ઓવરમાં 6 વિકેટો ઝડપી લીધી. જે તેમની કારકિર્દીનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ બની રહ્યો. એટલું જ નહીં આ મૅચ સાથે તેમની કારકિર્દીની 50 વિકેટો પણ નોઁધાવી દીધી છે.
સાથે જસપ્રિત બુમરાહે પણ એક વિકેટ ઝડપી તો હાર્દિક પંડ્યાએ પણ 3 વિકેટ પોતાને નામ કરી અને શ્રીલંકાની ટીમ 16મી ઓવરમાં દસ વિકેટો ખોઈને માત્ર 50 રન કરી સંકેલાઈ ગઈ.