હવામાન વિભાગની અગાહીના પગલે ગત રોજથી વડોદરા શહેરમાં ધીમીધારે વરસાદ વરસતા વરસાદી માહોલ સર્જાયો છે. ગઈકાલે આખો દિવસ શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. તો મોડી સાંજથી આખી રાત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
બીજી તરફ નર્મદા નદીમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે વડોદરાના કરજણ, ડભોઇ અને શિનોર તાલુકાના ગામડાઓમાં નીચાણવાળા સ્થળે રહેતા લોકોને સલામત સ્થળે ખસી જાવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. ગત મોડીરાત્રે વડોદરાના કરજણ તાલુકાના નાની સ્યાર ગામમાં ફસાયેલ 16 વ્યક્તિઓનું NDRF દેવદૂત બની રેસ્ક્યૂ કર્યું હતું. નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધતા વડોદરા જિલ્લાના ત્રણ તાલુકામાંથી 1487 નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે.
આ ઉપરાંત કડાણા ડેમમાં નવા નીરની આવક થતાં પાંચ લાખ ક્યુસેક પાણી છોડવાની સંભાવના છે, તેથી મહી નદી આસપાસ આવેલા વડોદરા જિલ્લાના ગામોના લોકોને સલામત સ્થળે જવા માટે અને નદીના કિનારે ન જવા વડોદરા કલેકટર અતુલ ગોરેએ વિનંતી કરી છે.