વર્ષ 2015માં ચૂંટણીપંચના કામકાજમાં પારદર્શિતા અંગેની અનેક જાહેર હિતની અરજીઓ દાખલ કરવામાં આવી હતી જેના પર આ ચુકાદો અપાયો હતો.
સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે આ બધી અરજીઓની એક સાથે સુનાવણી કરી હતી. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે ચૂંટણી કમિશનરોની નિમણૂક સરકારના નિયંત્રણની બહાર હોવી જોઈએ.
જસ્ટિસ કે.એમ.જોસેફની બંધારણીય બેન્ચે ચુકાદામાં કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર(સીઇસી અને અન્ય ચૂંટણી કમિશનર(ઇસી)ની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા એક સમિતિની સલાહ પર કરવામાં આવે, જેમાં વડા પ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા(અથવા સૌથી મોટા વિપક્ષી દળના નેતા) અને ભારતના મુખ્ય ન્યાયાધીશ સામેલ હોય.
સુપ્રીમ કોર્ટે આ નિમણૂકો અંગે એક કાયદો બનાવવા પણ કહ્યું હતું.
આ નિર્ણય પછી ચોમાસુ સત્રમાં 10 ઑગસ્ટના રોજ મોદી સરકારે રાજ્યસભામાં ‘મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિયુક્તિ, સેવાની શરતો અને અવધિ) બિલ, 2023’ નામનું બિલ પણ રજૂ કર્યું હતું. આ બિલ પર રાજ્યસભામાં જોરદાર હોબાળો થયો હતો.
વિપક્ષે આરોપ લગાવ્યો કે મોદી સરકાર ચૂંટણીપંચને પોતાની કઠપૂતળી બનાવવા માંગે છે. તેમણે આ બિલને ગેરબંધારણીય, મનસ્વી અને અન્યાયી ગણાવી તેનો વિરોધ કર્યો હતો.
સંસદનું વિશેષ સત્ર આવતા સોમવારે એટલે કે 18 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે જે શુક્રવાર, 22 સપ્ટેમ્બર સુધી ચાલશે.
લોકસભા અને રાજ્યસભા દ્વારા જાહેર કરાયેલા બુલેટિનમાં માહિતી આપવામાં આવી છે કે આ વિશેષ સત્રમાં ચર્ચા માટે કયાં બિલ રજૂ કરાશે.
રાજ્યસભાના બુલેટિન અનુસાર સંસદના વિશેષ સત્રમાં ત્રણ બિલ પર ચર્ચા કરવામાં આવશે જ્યારે લોકસભામાં બે બિલ પર ચર્ચા થશે.
રાજ્યસભામાં જે બિલ પર ચર્ચા થશે તેમાં ચૂંટણી કમિશનરની નિમણૂકને લગતું એક બિલ પણ છે, જેને રાજ્યસભામાં પહેલાં પણ રજૂ કરવામાં આવ્યું હતું.