જ્યારે ભારત 2011ના વિશ્વકપની સેમિફાઇનલમાં પહોંચ્યું અને મોહાલીમાં તેનો પાકિસ્તાન સાથે મુકાબલો થશે એ નક્કી થઈ ગયું ત્યારે તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહે એ મૅચ જોવા માટે પાકિસ્તાનના વડા પ્રધાન યુસુફ રઝા ગિલાનીને મોહાલી આમંત્રિત કર્યા હતા.
મૅચના દિવસે એટલે કે 30 માર્ચના રોજ ભારત અને પાકિસ્તાનનાં ઘણાં રાજ્યોએ રજા જાહેર કરી દીધી હતી જેથી વધુને વધુ લોકો ટીવી પર મૅચ જોઈ શકે. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 260 રન બનાવ્યા હતા.
સચિન તેંડુલકરે 85 રન બનાવ્યા હતા, પરંતુ તેમને થર્ડ અમ્પાયર અને પાકિસ્તાની ફિલ્ડરોએ તેમાં ઘણી મદદ કરી હતી. જ્યારે તેઓ 23 રન પર હતા ત્યારે અમ્પાયર ગોલ્ડે તેને એલબીડબલ્યુ આઉટ જાહેર કર્યા હતા પરંતુ થર્ડ અમ્પાયરે કહ્યું કે બૉલ લેગ સ્ટમ્પથી બહાર જઈ રહ્યો હતો.
આ પછી પાકિસ્તાની ફિલ્ડરોએ ચાર વખત તેમનો કૅચ છોડ્યો હતો. જવાબમાં પાકિસ્તાની ટીમે બે વિકેટ ગુમાવીને 103 રન બનાવી લીધા હતા. 42મી ઑવરમાં તેમનો સ્કોર હતો 7 વિકેટ ગુમાવીને 184 રન. પરંતુ ત્યારે જ પાકિસ્તાની ટીમના કૅપ્ટન શાહિદ આફ્રિદીએ હરભજનસિંહના બૉલને ફટકારવાના પ્રયાસમાં કૅચ આપી દીધો. ત્યારપછી ભારત આ મૅચ 29 રને જીતી ગયું હતું.
સચીન તેંડુલકર જ્યારે શ્રીલંકા સામેની ફાઈનલ મૅચ રમવા મુંબઈ પહોંચ્યા ત્યારે તેમના કાનમાં રવિ શાસ્ત્રીના શબ્દો ગૂંજતા હતા કે આ મૅચમાં ધોની કરતાં તમારા પર વધુ દબાણ હશે , કારણ કે મુંબઈ અને ભારતના દર્શકો માત્ર જીતવા ઈચ્છતા નથી. તેઓ વર્લ્ડકપ ઉપરાંત ઇચ્છશે કે તમે તમારા હોમગ્રાઉન્ડમાં સદી પણ ફટકારો.
મૅચના એક દિવસ પહેલાં જ મહેન્દ્રસિંહ ધોનીને એક વ્યક્તિનો ફૉન આવ્યો જેને તે ઓળખતા હતા પરંતુ તેઓ ફોન પર તેમનો અવાજ ઓળખી શક્યા ન હતા. એ વ્યક્તિનું નામ હતું વિનોદ કાંબલી. કાંબલી ફૉન પર રડી રહ્યા હતા.
તેમણે ધોનીને કહ્યું, “કાલની રાત એ તારી હશે, કરવી પડશે, તું જ જીતીશ.” તેમણે યાદ કર્યું કે કેવી રીતે ભારતીય ચાહકોએ તેને 1996માં શ્રીલંકા સામે સેમિફાઇનલ હારવા બદલ ક્યારેય માફ ના કર્યા. ફોન મૂકતાં પહેલાં તેમણે કહ્યું, "આ વખતે તારે જીતવું જ પડશે."
જ્યારે મૅચ રેફરી જૅફ ક્રોએ ટૉસ માટે સિક્કો ઉછાળ્યો તો શ્રીલંકાના કૅપ્ટને ‘હેડ્સ’ કહ્યું પરંતુ પ્રેક્ષકોના ડરને કારણે તેઓ સંગાકારાનો અવાજ ન સાંભળી શક્યા. એટલે ટૉસ ફરીથી ઉછાળવામાં આવ્યો. શ્રીલંકા ટોસ જીત્યું અને સંગાકારાએ બેટિંગ પસંદ કરવામાં જરાય મોડું ન કર્યું.
શ્રીલંકાની ઇનિંગ દરમિયાન મોટા ભાગના સમયમાં ભારત નિયંત્રણમાં હતું. શ્રીલંકાની ટીમે 5 વિકેટે 182 રન બનાવી લીધા હતા. પરંતુ મહેલા જયવર્ધનેએ 103 રનની અણનમ ઇનિંગ્ઝ રમતાં સ્કોર 274 સુધી પહોંચાડી દીધો હતો.
સચીન તેંડુલકર તેમની આત્મકથા ‘પ્લેઇંગ ઇટ્સ માય વે’માં લખે છે, “અમે યુવરાજસિંહના કારણે મૅચમાં કમબેક કર્યું હતું કારણ કે તેણે સંગાકારાને 48 રને આઉટ કર્યાં. ઝહીર ખાન એક પછી એક ત્રણ મેડન ઑવર ફેંકી, પરંતુ મહેલા જયવર્ધનેની સદી પછી શ્રીલંકાએ જે લક્ષ્ય આપ્યું તે ભારત માટે સહેલું ન હતું.”