મંગળવારે સંસદસભ્યોએ નવનિર્મિત સંસદભવનમાં પ્રવેશ કર્યો. જૂની ઇમારત હવે 'સંવિધાન સદન' તરીકે ઓળખાશે. આયોજન પ્રમાણે તેને સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવામાં આવશે.
અપેક્ષા પ્રમાણે જ ચૂંટણીવર્ષમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 33 ટકા મહિલા અનામત આપતું બિલ લોકસભામાં પસાર કરાવ્યું છે. આ ખરડો છેલ્લાં 27 વર્ષથી અટકેલો હતો.
જોકે, મહિલાઓને અનામત આપવાની ચર્ચા બંધારણસભાની ચર્ચા જેટલી જ જૂની છે. જેમાં મહિલાઓને અનામત (સંખ્યાને આધારે) કે ક્વોટા (ટકાને આધારે) આપવા વિશે ચર્ચા કરવામાં આવી હતી.
તેમાં ગુજરાતનાં પ્રતિનિધિ હંસાબહેન મહેતાએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો અને મહિલાઓની લાગણી વ્યક્ત કરી હતી. તેમની માગ પુરુષ સમાન અધિકાર અને ફરજની હતી.
આઝાદી પહેલાં હંસાબહેન સ્વતંત્રતાસેનાની, વિદ્યાર્થીનેતા, મહિલાઅધિકાર કાર્યકર્તા અને સમાજસુધારક હતાં. સ્વતંત્રતા પછી તેમણે માનવઅધિકાર, મહિલાઅધિકાર, શિક્ષણ અને લેખનક્ષેત્રે પોતાનું પ્રદાન આપ્યું હતું.
બંધારણસભાના કુલ 389 સભ્યોમાંથી માત્ર 15 મહિલાસભ્યો હતી. છતાં તેમણે મહિલાઓને અલગ મતદાતા તરીકે જોવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો પણ હતો.
ત્રીજી જુલાઈ, 1897ના રોજ હંસાબહેનનો જન્મ સુરતના ધનાઢ્ય નાગર પરિવારમાં થયો હતો. તેઓ ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા લખનારા નંદશંકર મહેતાનાં પૌત્રી હતાં. તેમના પિતા તત્કાલીન ગાયકવાડ સરકારમાં દીવાન હતા.
ઉચ્ચકુલીન, શિક્ષિત અને સમૃદ્ધ પરિવારમાંથી આવતાં હોવાને કારણે ઉચ્ચઅભ્યાસ કરવામાં તેમને ખાસ મુશ્કેલી નહોતી પડી. છતાં પરણીને ઠરીઠામ થઈ જવાનાં યુવતીઓમાં પ્રવર્તમાન ચલણની સામે તેમણે નવો ચીલો ચાતરવાનો કામ કર્યું હતું.
વર્ષ 1913માં મૅટ્રિકની પરીક્ષા આપી અને બહેનોની શ્રેણીમાં પ્રથમ આવ્યાં. વર્ષ 1918માં તત્ત્વજ્ઞાન વિષય સાથે સ્નાતક થયાં. વર્ષ 1919માં પત્રકારત્વનું શિક્ષણ મેળવવા તેઓ લંડન ગયાં, જ્યાં તેમની મુલાકાત સરોજિની નાયડુ અને રાજકુમારી અમૃતકૌર સાથે થઈ.
હંસાબહેન એક કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે અમેરિકા ગયાં હતાં. ત્યાંથી તેઓ જાપાન ગયાં, જ્યાં તેઓ ભૂકંપમાં ફસાયાં, પરંતુ તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. એ પછી શાંઘાઈ, સિંગાપોર અને કૉલંબોનું ભ્રમણ કરીને વતન પરત ફર્યાં. સ્વદેશમાં સરોજિની નાયડુ મારફત ગાંધીજી સાથે થયેલી મુલાકાત તેમનું જીવન બદલી દેનારી હતી.
વર્ષ 1922માં ગાંધીજીના રંગે રંગાઈને તેઓ દેશ સેવિકા સંઘમાં જોડાયાં હતાં અને વિદેશી કપડાં તથા દારૂની દુકાનની બહાર પિકૅટિંગ (કોઈ કામ થતું રોકવા માટેનો પહેરો) કરતાં. સ્વતંત્રતાની ચળવળ દરમિયાન તેમણે જેલવાસ પણ વેઠ્યો હતો.
રાજકીય કારકિર્દી દરમિયાન હંસાબહેન બૉમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશન અને પ્રાંતીય સભાના સભ્ય પણ બન્યાં હતાં.