તામિલનાડુના મુખ્ય મંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને રાજ્ય સરકારમાં મંત્રી ઉદયનિધિ સ્ટાલિનની ‘સનાતન ધર્મ’ અંગેની ટિપ્પણી પર સતત વિવાદ ચાલી રહ્યો છે.
ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિને 2 સપ્ટેમ્બરના રોજ તામિલનાડુમાં આયોજિત એક કાર્યક્રમમાં સનાતન ધર્મને અનેક ‘સામાજિક બદીઓ માટે જવાબદાર ઠેરવતાં એ સમાજને ખતમ કરવાની વાત કરી હતી.’
તેમણે કહ્યું હતું કે, “સનાતન ધર્મ એ લોકોને જાતિ અને ધર્મના નામે વિભાજિત કરનારો વિચાર છે, જેને ખતમ કરવાનું કામ એ માનવતા અને સમાનતા પ્રોત્સાહિત કરવા જેવું છે.”
તેમણે એવું પણ કહ્યું કે, “જેવી રીતે આપણે મચ્છર, ડેન્ગ્યૂ, મલેરિયા અને કોરોનાને ખતમ કરીએ છીએ, એવી જ રીતે સનાતન ધર્મનો વિરોધ કરવો એટલું જ પૂરતું નથી. તેને સમાજમાંથી સંપૂર્ણપણે ખતમ કરી દેવો જોઈએ.”
આ નિવેદન અંગે આરએસએસ, ભાજપ અને દક્ષિણપંથી જૂથમાંથી આકરી પ્રતિક્રિયા આવી છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું, “આ આપણા ધર્મ પર હુમલો છે.”
તેમજ ભાજપના આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ (અગાઉનું ટ્વિટર) પર લખ્યું કે, “ઉદયનિધિએ સનાતન ધર્મને મલેરિયા અને ડેન્ગ્યૂ સાથે જોડ્યો. તેમનું માનવું છે કે ન માત્ર એનો વિરોધ થવો જોઈએ બલકે તેને ખતમ કરી નાખવો જોઈએ. સંક્ષિપ્તમાં કહીએ તો આ ભારતના 80 ટકા લોકોની કતલનું આહ્વાન છે, કારણ કે તેઓ સનાતન ધર્મનું પાલન કરે છે.”
પરંતુ ઉદયનિધિએ કહ્યું કે તેમણે સમાજના પ્રતાડિત અને હાંસિયે ધકેલાયેલા લોકો માટે અવાજ ઉઠાવ્યો છે, જેઓ સનાતન ધર્મને કારણે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે.
તેમણે કહ્યું, “અમે અમારી વાત પર કાયમ છીએ અને ગમે એ કાયદાકીય પડકારનો સામનો કરવા માટે પણ તૈયાર છીએ. અમે દ્રવિડ ભૂમિથી સનાતન ધર્મને હઠાવવા માટે પ્રતિબદ્ધ છીએ અને આ વાતથી એક ઇંચ પણ પીછેહઠ નથી કરવાના.”