કૅનેડા અને ભારતના સંબંધોનો તણાવ ચરમસીમાએ પહોંચતો દેખાઈ રહ્યો છે.
જી20 શિખરસંમેલનમાં ભાગ લેવા આવેલા કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાનું ખાનગી વિમાન ખરાબ થવાના કારણે બે દિવસ સુધી ભારતમાં જ ફસાયેલા રહ્યા હતા.
પરંતુ તેમના કૅનેડાની ધરતી પર પગ મૂકતાં જ સમાચાર આવ્યા કે કૅનેડાએ ભારત સાથેના ટ્રેડ મિશનને અટકાવી દીધું છે.
કૅનેડિયન વાણિજ્ય મંત્રી મૅરી એનજીના પ્રવક્તાએ શુક્રવારે જણાવ્યું કે કૅનેડાએ દ્વિપક્ષીય મુક્ત વેપારની સમજૂતી અંગે વાતચીત અટકાવી દીધી છે.
જી20 સંમેલન દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો વચ્ચે ‘કટુ’ વાતચીત થઈ હતી.
ભારતના વડા પ્રધાન કૅનેડામાં શીખ અલગાવવાદીઓના ‘આંદોલન’ અને ભારતીય રાજદ્વારી વિરુદ્ધ હિંસાને પ્રોત્સાહિત કરતી ઘટનાઓ અંગે નારાજ હતા. જ્યારે જસ્ટિન ટ્રુડો પ્રમાણે ભારત કૅનેડાના આંતરિક રાજકારણના મામલામાં દખલ કરી રહ્યું છે.