તાજેતરમાં ગુજરાતના સુરતના ડુમસ દરિયાકાંઠે સમુદ્રમાં વહી ગયેલો કિશોર 36 કલાક બાદ જીવતો મળી આવતાં રાજ્યમાં આ બનાવને ‘ચમત્કારિક બચાવ’ ગણાવાઈ રહ્યો છે.
ગત શુક્રવારના રોજ ગણેશ વિસર્જનના દિવસે ડુમસ ખાતે સપરિવાર ફરવા ગયેલ સુરતના ગોડાદરા વિસ્તારના 13 વર્ષીય લખન વિકાસ દેવીપૂજક નામનો કિશોર સમુદ્રનાં ધસમસતાં મોજાંમાં તણાઈ ગયો હતો.
આ ઘટના બાદ પરિવારજનો અને રાહતબચાવ દળોએ સ્વપ્નમાંય નહીં વિચાર્યું હોય કે સુરતના ‘બિહામણા ગણાતા કાળા સમુદ્રમાં’થી લખન પૂરા 36 કલાક બાદ જીવિત મળી આવશે.
પરંતુ બન્યું કંઈક એવું જ. બધાની અપેક્ષાઓથી વિપરીત લખન દરિયામાં કલાકો સુધી વહેણ સાથે આગળ વધતો રહ્યો અને વિસર્જિત કરાયેલ ગણેશજીની મૂર્તિના પ્લૅટફૉર્મનું મોટું લાકડું વહી આવતાં તેના પર સવાર થઈ અંતે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો.
બચાવ બાદ જ્યારે લખનનો પરિવાર સાથે પુનર્મિલન થયું ત્યારે ભાવુક દૃશ્યો જોવા મળ્યાં હતાં.
બચાવ થાય ત્યાં સુધી લખને આ લાકડા પર દરિયામાં જ અંધકારમય રાત પણ વિતાવવી પડી.
આખરે આવી ભયજનક પરિસ્થિતિનો કિશોર કઈ રીતે સામનો કરી શક્યો? અને બધી શક્યતાઓથી ઊલટ એ કઈ રીતે કલાકો સુધી દરિયામાંથી જીવિત પરત ફરવામાં સફળ રહ્યો?
લખન સમુદ્રમાં વહી જવાના કારણ વિશે વાત કરતાં કહે છે કે, “હું મારા પરિવાર સાથે ડુમસ દરિયાકાંઠે ફરવા ગયો હતો. દરમિયાન હું અને મારો ભાઈ દરિયામાં નહાઈ રહ્યા હતા. અચાનક મારા ભાઈનો પગ લપસ્યો. મેં તેને ડૂબતા બચાવવાનો પ્રયાસ કર્યો તો હું પોતે દરિયામાં તણાવા લાગ્યો.”
તે એ ક્ષણ યાદ કરતાં કહે છે કે તેમને આસપાસના લોકો પોતાની તસવીરો લેતા દેખાતા હતા. જ્યારે તેને લાગ્યું કે વધારે તરફડિયાં મારવાથી મામલો વધુ બગડશે તો તેણે પોતાનું શરીર ઢીલું મૂકી વહેણ સાથે આગળ વહેવામાં જ ભલું લાગ્યું.
લખન કહે છે કે, “દરિયાના વહેણ સાથે આગળ વધતાં વધતાં રાત પડવા લાગી હતી. એ સમયે તો મને ખૂબ બીક લાગવા માંડી. લાગ્યું કે કદાચ હવે તો નહીં જ બચું. એ દરમિયાન નજીકથી એક પાટિયું વહી જતું દેખાયું, પરંતુ એને પકડું ત્યાં સુધી એ દૂર જતું રહ્યું.”